Shiva Mahimna Stotram Questions and Answers
પ્રો.ડૉ.મીના એસ.વ્યાસ
શિવમહિમ્ન: સ્તોત્ર:
પ્ર-૧
સ્તોત્રકાવ્યનો ઉદ્દ્ભવ જણાવો.
જવાબ:-
૧.સ્તોત્ર સાહિત્ય: ઉદ્દ્ગમ અને વિકાસ
માનવજીવનના ઉદ્દગમ કાળથી જ
અનેક પ્રકારની અનિશ્ચિતતાઓ અને સંતાપોની વચ્ચે જીવતો માનવ કોઈ ને કોઈ સ્વરૂપે દૈવી
તત્વની ઉપાસના કરતો રહ્યો છે. માનવ સંસ્કૃતિના વિકાસની સાથે સાથે જ એની આ દૈવી
તત્વની ઉપાસનામાં પણ વિકાસ થતો રહ્યો છે. ભક્તિનો સંબંધ માનવાના હ્રદય સાથે છે અને
કાવ્ય માનવમનની અદમ્ય ઊર્મિઓનો આવિષ્કાર ગણાય છે એટલે જગતમાં કાવ્ય નિષ્પન્ન થયું
ત્યારથી જ સ્તોત્ર કવિતા પણ અસ્તિત્વમાં આવી એમ કહી શકાય તેમ છે. આપણા પ્રાચીનમાં
પ્રાચીન સાહિત્ય ગ્રંથ ઋગ્વેદમાં અનેક દેવોની ભાવસભર સ્તુતિઓ પ્રાપ્ત થાય છે. આપણા
પૂર્વજ આર્યો નિરંતર પ્રકૃતિના સાન્નિધ્યમાં રહેતા, તેથી પ્રકૃતિનાં ભવ્ય સ્વરૂપોમાં એમણે
દૈવી તત્વોની કલ્પના કરી હતી. અગ્નિ, ઇન્દ્ર, વરુણ, મરુત, ઉષા, પર્જન્ય આ બધા દેવો પ્રાકૃતિક તત્વોનું
પ્રતિનિધિત્વ ધરાવતા હતા. જુદી જુદી જાતિઓ સાથે સંઘર્ષ ખેલતા રહેલા આર્યોને
વારંવાર પોતાના યોગક્ષેમ માટે આ પ્રાકૃતિક દેવોનું આલંબન લેવું પડતું અને કવિ એ
દેવો પાસે પોતાના ભૌતિક યાચનાઓની સાથે સાથે જ જે તે દેવનો મહિમા અને સામર્થ્ય પણ
ભાવપૂર્વક પ્રગટ કરતો અને એમાંથી એક વિશિષ્ટ પ્રકારનું સ્તોત્ર કાવ્ય રચાતું.
ઋગ્વેદનાં આ પ્રકારનાં સૂક્તો આપણા સ્તોત્ર સાહિત્યનું જ પ્રારંભનું અને બુનિયાદી
સ્વરૂપ છે અને એમાં પ્રાપ્ત થતી આ લાક્ષણિક્તાઓ જ વધારે સ્પષ્ટ સ્વરૂપે પ્રશિષ્ટ
સંસ્કૃતત ભાષાનાં અનેક સ્તોત્રોમાં મળી આવે છે.
વૈદિક કાળ દરમ્યાન અને પછી તત્વજ્ઞાનનો
વિકાસ થતાં અને દેવદેવીઓની કલ્પના વધારે વિશદ તેમજ મૂર્તસ્વરૂપ ધારણા કરતી ગઈ તેમ
તેમ સ્તોત્રકાવ્યનું સ્વરૂપ પણ વધારે પરિષ્કૃત અને સ્પષ્ટ થવા લાગ્યું.
પ્રશિષ્ટભાષાના આદિકાવ્ય રામાયણ અને મહાભારતમાં પ્રસંગોપાત જુદા જુદા દેવતાઓની
સ્તુતિમાં આ સ્તોત્રકાવ્યનું સ્વરૂપ વધુ ને વધુ વિશદ થયું. અલબત, આ કોઈ એક પ્રસંગ કે ઘટનાના અંગ રૂપેજ
લખાયેલાં હતાં તો પણ તે એટલાં સ્વયં સંપૂર્ણ હતાં કે રામાયણના 'આદિત્યહ્રદય' કે મહાભારતના ‘વિષ્ણુસહસ્ત્રહ્રદય’ જેવાં સ્તોત્રો એક જુદી જ અસ્મિતા
મેળવી શક્યાં. પુરાણ સાહિત્યમાં તો સ્વાભાવિક રીતે જ જે તે દેવ કે દેવીના
માહાત્મ્યવર્ણનમાં આ પ્રકારની સ્તુતિઓ રચાય એટ્લે માર્કન્ડેય પુરાણમાં દેવોએ કરેલી
“દુર્ગાસ્તુતિ”,
ભવિષ્યપુરણનું
“આદિત્યહ્રદયસ્તોત્ર” કે સપ્તશતી (ચંડીપાઠ)ની “શક્રાદય: સ્તુતિ” ખૂબ પ્રસિદ્ધિ
પામ્યાં. સ્તોત્રકાવ્યોમાં તત્વજ્ઞાનનો વિનિયોગ પણ થવા લાગ્યો. ભાગવતમાંનું
“વેદસ્તુતિ” આવી જ એક ઊંચા તત્વવિચારની ભૂમિકાએ
લખાયેલું સ્તોત્રકાવ્ય છે. પૌરાણિક યુગમાં ભક્તિમાર્ગ વધુ લોકપ્રિય બનતાં તેમજ
ભક્તિઆંદોલન વધુ વ્યાપક બનતાં સ્તોત્રકાવ્યોની રચના વધુ પ્રમાણમાં થવા લાગી.
મહાકાવ્યોની રચાનામાં સ્થળે જે
તે દેવતાઓના સંદર્ભને ઉપર્યુક્ત એવી સ્તુતિ કરવાનું શરૂ થતાં સ્તોત્રકાવ્યમાં
કાવ્યતત્વ તેમજ કાવ્યતત્વ તેમજ કાવ્યકાવ્ય-ચમત્કૃતિઓને પણ સ્થાન મળતું રહ્યું.
જુદા જુદા અલંકારવૈભવ અને અર્થચમત્કૃતિઓ દ્વ્રારા આરાધ્ય દેવનું મહિમાગાન ગાવાની
પ્રેરણા કવિઓને મળી અને આમ મહાકાવ્યના એક ભાગ તરિકે, છતાં સ્વતંત્ર રીતે આસ્વાદી શકાય એવી
પણ કેટલીક સ્તોત્ર કંડિકાઓ અસ્તિત્વમાં આવી. બુદ્ધચરિતના સતરમા શ્લોકમાં ભગવાન
બુદ્ધની સ્તુતિ,
કુમારસંભવના બીજા
સર્ગમાં પ્રાપ્ત થતી બ્રહ્માની સ્તુતિ તેમજ રધુવંશના દસમા સર્ગમાં મળતી વિષ્ણુની
સ્તુતિ આનાં રમણીય ઉદાહરણો છે. ભારવિના કિરાતાર્જુનીયમમાં અર્જુને કરેલી શિવની
સ્તુતિ, માધના શિશુપાલવધમાં
ભીષ્મપિતામહે કરેલી ચંડીની દીર્ઘસ્તુતિ પણ સ્તોત્ર કાવ્યના આદર્શ નમૂના છે.
મહાકાવ્યોમાંની આ સ્તુતિઓએ સ્તોત્રસાહિત્યના સંપૂર્ણ સ્વરૂપને જન્મ આપ્યો અને
એમાંથી પ્રેરણા મેળવીને કવિઓએ સ્વતંત્ર સ્તોત્રકાવ્યોની રચના પણ કરવા લાગી.
શિવસંપ્રદાયને લગતાં સ્તોત્રોમાં દસમી
શતાબ્દીમાં થઈ ગયેલા ભક્તકવિ પુષ્પદંતનું – “શિવમહિમ્ન:સ્તોત્ર” ઘણું જ પ્રસિદ્ધ
અને વ્યાપક બનેલું છે. અલબત એની શૈલી પાંડિત્યપૂર્ણ છે છતાં એમાં કેટલાક ગહન
વિચારો અને અર્થો સુંદર શૈલીમાં અભિવ્યક્ત થયા છે. આ ઉપરાંત બીજાં પ્રસિદ્ધિ શૈવ
સ્તોત્રોમાં કાશ્મીરના ઉત્પલદેવનું “સ્તોત્રાવલી”
જગદ્ધર ભટ્ટની “સ્તુતિકુસુમાંજલિ” નારાયણ પંડિતની “શિવસ્તુતિ” અને ગોકુલનાથનું “શિવશતક”
જાણીતાં છે. વૈષ્ણવ સંપ્રદાયમાં જાણીતાં બનેલાં સ્તોત્રો કુલશેખરનું “મુકુંદમાલાસ્તોત્ર”
અને યમુનાચાર્યનું “આલબન્દાર સ્તોત્ર” નોંધપાત્ર છે, ૧૧મી શતાબ્દીના “લીલાશુક” કે બિલ્વમંગલનું
“કૃષ્ણલીલામૃત” કૃષ્ણભક્તિનું કાવ્યમય નિરૂપણ કરતા શ્લોકોનો સંગ્રહ છે. અન્ય
વૈષ્ણવ સ્તોત્રોમાં મધુસુદન સરસ્વતીનું “આનંદમંદાકિની”, માદવ ભદ્રનું “દાનલીલા” તેમજ પંડિતરાજ
જગન્નાથની વિષ્ણુની સ્તુતિ કરતી “કરુણાલહરી’ અને લક્ષ્મીની સ્તુતિ કરતી “લક્ષ્મીલહરી”
પણ પ્રખ્યાત છે.
ભક્તિભાવ ઉપરાંત સાહિત્યિક
ચમત્કૃતિઓથી યુક્ત એવાં જે કેટલાંક સ્તોત્રકાવ્યો સંસ્કૃત સાહિત્યમાં નોંધપાત્ર છે
એમાં બાણનું “ચંડીશતક” અને મયૂરનું “સૂર્યશતક” પ્રસિદ્ધ છે. અલબત એમાં લાંબા-લાંબા
સમાસો, દીર્ધ શબ્દપ્રયોગો અને જટિલ
વાક્યરચનાઓ દ્રષ્ટિગોચર થાય છે અને આથી જ ડૉ. ડે કહે છે “એમાં ભક્તિ ભાવની
અપેક્ષાએ પાંડિત્ય પ્રદર્શન વધારે છે.”
સ્તોત્રસાહિત્યની આ વિપુલતા
અને વિવિધતાને કારણે જ વિવેચકોએ કાવ્યનાં પ્રયોજનોમાં શિવેતરક્ષતયે એટલે કે
“અમંગળનો નાશ કરવા માટે કાવ્ય” એ પ્રયોજનનો પણ સમાવેશ કરવો પડ્યો છે. મુખ્ય-મુખ્ય
દેવતાઓ ઉપરાંત બીજાં પણ અનેક દેવદેવીઓની સ્તુતિ કરતાં સ્તોત્ર રચાતા રહ્યાં.
કેટલાંક પૌરાણિક પાત્રો અને ઋષિ મુનિઓને નામે પણ કાવ્યો ચઢાવવામાં આવ્યાં. જેમ કે
રાવણનું શિવતાંડવસ્તોત્ર,
ઉપમન્યુની
શિવસ્તુતિ વગેરે. આ ઉપરાંત યાજ્ઞવલ્કય, વાલ્મીકિ, વ્યાસ વગેરેને નામે પણ કાવ્યો કાવ્યમય
છે એમ કહિ શકાસે નહિ. કેટલાંક સ્તોત્રો તો જે તે દેવતાઓનાં સહજ નામોની યાદી જેવાં
જ ચે અને એમાં કોઈ ઊંડો સાહિત્યિક ઉન્મેષ પણ નથી.
સંસ્કૃત સાહિત્યમાં દરેક
સાહિત્યિક પ્રકારના વિકાસમાં જેમ અવનતિકાળ આવ્યો છે તેમ સ્તોરકાવ્યોની પરંપરામાં
પણ એક અવનતિયુગ દ્રષ્ટિગોચર થાય છે. પુરાણોમાં દેવોની કલ્પના જેમ વધુને વધુ મૂર્ત
થતી ગઈ તેમ સ્તોત્રકાવ્યોમાં પણ આરાધ્ય
દેવોના અંગ ઉપાંગો અને એમની ચેષ્ટાઓનું મનોરમ વર્ણન કરવાનો પ્રારંભ થયો. સ્તોત્ર
ને સાહિત્યિક સ્પર્શ આપવાની ઈચ્છાને કારણે લૌકિક ભાવોનું નિરૂપણ દેવદેવીઓમાં પણ
આરોપ[ઇત થવા માંડ્યું. દા.ત. “મૂકપંચશતી”માં કવિ મૂકે દેવીનાં ચરણ, કટાક્ષ અને મંદસ્મિત ઉપર જ લાંબા-લાંબા
ચંદોમાં શતક શ્લોકોની રચના કરી. દેવીની વિવિધ મુદ્રાઓનું પણ વૈવિધ્યસભર વર્ણન થવા
લાગ્યું. સાથે-સાથે તાંત્રિક વિધાનો પ્રધાન પ્રભાવ પણ આમાં પડવા
લાગ્યો.સ્તોત્રકાવ્યોમાં પણ શૃંગારભાવોના આ સમાવેશને કારણે સ્તોત્રકાવ્યો જાણે
એનું અસલ સ્વરૂપ ગુમાવી બેઠાં અને સ્તુતિ તો કાવ્યસ્વરૂપનું આલંબનમાત્ર બની રહી.
આને કારણે ભક્તિશૃગાંરયુક્ત સ્તોત્રોનો એક નવો પ્રવાહ શરૂ થયો. રાધા અને કૃષ્ણ
ચરિત્ર આને માટે ઘણાં અનુકૂળ બની રહ્યાં. જયદેવ જેવા કવિને હાથે “ગીતાગોવિંદ”
જેવાં કેટકાંક ભવનામય કાવ્યોનું સર્જન થયું પણ નબળા કવિઓને હાથે નિંદ્ય સ્થૂળતાએ
પ્રવેશ કર્યો. ઉતરોતર વિકાસ પામતી રહેલી આ પરંપરા સ્તોત્રોમાં એની પરાકાષ્ઠાએ
પહોંચી. કેટલાંક અંત્યંત દ્રામ્ય કહી શકાય તેવાં માત્ર દેખાવનાં સ્તોત્ર કાવ્યોં
બની રહ્યાં. દા.ત. લક્ષ્મણકવિએ માત્ર ચંડીના પયોધર ઉપર જ ૫૦ શ્લોકો રચ્યાં. શ્રી
આર.જી. ભાંડારકર આની ટીકા કરતાં લખે છે. “જ્યારે સ્ત્રીતત્વને મૂર્ત સ્વરૂપ આપીને
અને એક વિશિષ્ટ આરાધનાનું કેન્દ્ર બનાવવામાં આવે છે ત્યારે આ પ્રકારના જઘન્ય
આચારોનો પ્રાદુભાવ અનિવાર્ય બની રહે છે. ત્રિપુરસુન્દરીના સ્વરૂપમાં દુર્ગાની
ઉપાસના પણ આ સ્વરૂપમાં પરિણમી છે.”
આ પ્રમાણે ઋગ્વેદકાળમાં
નિર્વ્યાજ સરળતાથી પ્રદટતો રહેલો ભક્તિભાવ સાંસ્કૃતિક અને સાહિત્યિક વિકાસની સાથે
અધિક પરિશ્કૃત સ્વરૂપમાં પ્રદટતો રહ્યો. વિપુલ અને વૈવિધ્યસભર સ્તોત્રકાળમાં અને
યુગબળોએ પણ અસર કરી અને એની પરંપરા તત્કાલીન યુગ બળનાં પ્રતિબિંબ ઝીલતી ચાલતી રહી.
પ્ર-૨ પુષ્પદંત વિશેની દંતકથાઓ જણાવો
પુષ્પદંતના જીવનની માહિતી આપો.
જવાબ:- કહે
છે કે “પુષ્પદંત” નામનો ગંધર્વોનો રાજા કોઈ બાહુ નામના રાજાના ઉધાનમાંથી હંમેશાં
પુષ્પો ચોરી જતો હતો. એનામાં અંતર્ધાન થઈ જવાની કે રહેવાની શક્તિ હોવાથી તેને પકડી
શકાતો નહોતો. બાહુ રાજાને ખ્યાલ આવી ગયો કે કોઈ અંતર્હિત રહી શકવાની શક્તિવાળો
દૈવી માણસ જ આ પુષ્પો ચોરી જતો હોવો જોઈએ. એણે સાંભળ્યું હતું કે શિવનિર્માલ્યને
ઓળંગવાથી થનારા પાપને કારણે વ્યક્તિની આ પ્રકારની દિવ્યશક્તિનો હ્રાસ થાય છે. આથી
એણે ઉધાનમાર્ગમાં શિવનિર્માલ્ય વેર્યાં. નિત્યક્રમ પ્રમાણે પુષ્પદંત પુષ્પોની ચોરી
કરવા આવ્યો અને એનાથી શિવનિર્માલ્યનનું ઉલ્લંઘન થયું. શિવનિર્માલ્યને ઓળંગવાના આ
અપરાધને કારણે એની અંતર્ધાન થવાની શક્તિ નષ્ટ થઈ. પોતાના સિદ્ધ સ્વભાવબળથી તેને
સમજાયું કે તેનાથી શિવનિર્માલ્ય ઓળંગવાનો મહાપરાધ થયો છે. તેણે ભગવાન શિવની અત્યંત
ભાવસભર સ્તુતિ કરતું આ સ્તવન રચી કાઢ્યું અને અંતે શિવકૃપાથી પોતાની પૂર્વ સ્થિતિ
પ્રાપ્ત કરવા સમર્થ થયો. મહિમ્ન:સ્તોત્રના માહાત્મ્યમાં પણ સ: ખલિ નિજમહિમ્નો
ભ્રષ્ટ ઇવાસ્ય રોષાત સ્તવનમિદમકાર્ષીદ દિવ્યદિવ્યં મહિમ્ન: આ આખ્યાનિકને પુષ્ટિ
આપે છે.
બીજી એક આખ્યાયિક પ્રમાણે પુષ્પદંત મહાદેવજીનો એક પરમ પ્રીતિપાત્ર ગણ
હતો. એકવાર શિવપાર્વતી એકાંતમાં વિનોદ
ગોષ્ઠી કરતાં હતાં ત્યારે પાર્વતીજીએ શિવને એક એવી અપૂર્વ કથા કહેવાનું કહ્યું કે
જે પહેલાં કોય્યે કોઈને ન કહી હોય. શિવજીએ આજુબાજુ કોઈ છે તો નહિ ને એની
ખાત્રી કરાવી અને એમનો વાર્તાલાપ ચાલતો હોય ત્યારે કોઈને અંદર નહિ આવવા દેવા દ્વ્રારપાળ નંદીને સૂચના આપી. વાર્તાલાપ ચાલતો હતો તે દરમ્યાન પુષ્પદંત ત્યાં આવ્યો. નંદીએ તેને અંદર ન જવા સમજાવ્યો, આથી પુષ્પદંત પોતાની અંતર્ધાન થવાની શક્તિનો ઉપયોગ કરીને શિવપાર્વતી
સમીપ પહોંચી ગયો અને શિવ દ્વ્રારા કહેવાતી અપૂર્વ કથા સાંભળી ગયો. એ વાત તેણે ઘેર આવીને પોતાની પત્ની જયાને કહી. જયાએ એ વાત બીજે દિવસે પાર્વતીને કહી. પાર્વતીએ શિવને કહ્યું કે તમે મને જે વાત કહી હતી તે તમે કહેતા હતા
તેમ અપૂર્વ તો નથી જ કારણ કે આ વાત તો પુષ્પદંતની પત્ની જયા જાણે છે. શિવ વિચારમાં પડી ગયા કે તે કેવી રીતે બની શકે? તેમણે ધ્યાન ધરીને જાણ્યું કે
પુષ્પદંતે શિવની સ્તુતિ કરી અને ક્ષમા યાચી. પાર્વતીએ એમના
શાપનું વિમોચન કરતાં કહ્યું કે કુબેરના શાપને પદભ્રષ્ટ થયેલો સુપ્રતીક નામનો યક્ષ
વિંધ્યપર્વત ઉપર કર્ણભૂતિ નામના પિશાચરૂપે જન્મ્યો છે. તારે ને એને મિત્રતા થશે. તું એને એ વાત
કહીશ ત્યારે તું તારું અસલ સ્વરૂપ પ્રાપ્ત કરીશ. કહે છે કે આ પુષ્પદંત પૃથ્વી ઉપર
વરરુચિ કાત્યાયરૂપે જન્મ્યા અને એમણે પાણિનિના પ્રસિદ્ધ વ્યાકરણગ્રંથ
સૂત્રાષ્ટાધ્યાયી ઉપર વાર્તિક લખ્યાં.
ગુણાઢ્યની બૃહત્કથાને આધારે રચાયેલા
સોમદેવના કથાસરિત-સાગરમાં પુષ્પદંત સથે સંબંધિત બે ત્રણ
આખ્યાયિકાઓ મલી આવે છે. જેમાં એની પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયાની
વાતનો સર્વ સામાન્ય ઉલ્લેખ છે. આમ છતાં આ પુષ્પદંત કોણ હતો? ક્યાં જન્મ્યો હતો ? અને ક્યારે થઈ
ગયો ? એ વિશે આપણને કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. પુષ્પદંત
નામનો ખરેખર કોઈ કવિ હતો કે આ કોઈ કાલ્પનિક નામ હશે એવો સંદેહ પણ ઊભો કરવામાં
આવ્યો છે. સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ લખનારા શ્રી કીથ વગેરે વિદ્ધાનોને મતે આ
સ્તોત્રના રચયિતાનું નામ ખરેખર પુષ્પદંત નહિ હોય પણ એણે આ સ્તોત્ર પોતાના
આશ્રયદાતા રાજવીને નામે પ્રસિદ્ધ કર્યું હોય એમ જણાય છે. ઘણા
વિદ્વાનો આ મતને અનુમોદન આપે છે. પણ સ્તોત્રના રચયિતા કવિને આપણે પુષ્પદંત તરીકે જ
ઓળખીએ અને એની એક નિર્મળ મનના પરમ શિવભક્ત તરીકે કલ્પના બાંધીએ તો એમાં કંઈ અનુચિત
નથી.
પ્ર-૩
ટૂંકનોંધ
(૧) શિવત્વ
અને વિવિધ દર્શનો
જવાબ:- મહાકવિ
પુષ્પદંત કહે છે કે આ જગતમાં પરમતત્વને પામવા માટેના અનેક આધ્યાત્મિક માર્ગો છે.
એમાં એક ચે વેદત્રયીનો માર્ગ, ત્રણ વેદો ઋગ્વેદ, યજુર્વેદ અને સામદેવ. આ ઉપરાંત પ્રસ્થાનત્રયી, બ્રહ્મસૂત્ર,
ગીતા અને ઉપનિષદોને પ્રમાણભૂત માનનારા વેદંતીઓનો માર્ગ, કપિલમુનિનું સાંખ્યશાસ્ત્ર, પાતંજલ યોગ, શૈવ મત કે વૈષ્ણવમત એમ ઈશ્વરને પામવાના જુદા જુદા મતો પ્રવૃત થયા છે
ત્યારે કોઈ અમુક માર્ગને ચઢિયાતો માને છે તો વળી કોઈ બીજા માર્ગને હિતકારિ માને
છે. આ જગતમાં માણસો ભિન્નભિન્ન રુચિના હોય છે એટલે રુચિના ભેદને કારણે સરળ કે વક્ર
એમ વિવિધ માર્ગોને ધારણ કરનારા પુરુષોને અંતે તો જેમ બધી નદીઓ સાગરને મળે એમ આપ જ
પ્રાપ્ત થાઓ છો.
કવિ
પુષ્પદંતને મતે વેદાંતીઓ, સાંખ્યમાર્ગીઓ, પાતંજલ
યોગમાર્ગીઓ અ.નું અંતિમ લક્ષ્ય તો એક જ હોય છે અમે તે છે ઈશ્વર તત્વની પ્રાપ્તિ.
આમાં કેટલાક માર્ગ સરળ છે; જેમ કે ભક્તિ માર્ગ તો વળી
જ્ઞાનમાર્ગ જટિલ છે. પ્રત્યેક માણસ પોતાની રુચિ પ્રમાણે આમાંથી સરળ કે અઘરો માર્ગ
પસંદ કરે છે. કહેવાયું છે કે ભિન્નરૂચિહ્રિ લોક: એટકે કે લોકોની રુચિ ભિન્ન ભિન્ન
હોય છે. આ ઉપરાંત તુણ્ડે તુણ્ડે મતિર્ભિત્રો એમ પણ કહેવાયું છે. માણસ પોતાની રુચિ
પ્રમાણે ગમે તે કોઈપણ માર્ગનું ગુણગાન કરે અંતે તો એ બધાનું લક્ષ્ય શિવજી જ છે.
જેમ એક જ સાગરને જુદી જુદી નદીઓ જુદા જુદા માર્ગ મળે છે એમ આ બધા જ સાંપ્રદાયિક
માર્ગો કે દર્શનો અંતે શિવજીને જ પ્રાપ્ત કરી આપે છે. તમામ નદીઓ અંતે સાગરને મળે
છે એવી અહીં આપવામાં આવેલી ઉપમા અત્યંત અનુરૂપ છે અને કવિ પ્રતિભાનો નિર્દેશ કરે
છે.
(૨) શિવજીની
સામગ્રી
જવાબ:- શિવ
પરમ યોગી છે. એમના આધ્યાત્મિક ઐશ્વર્યનો કોઈ પાર નથી પણ એમનું રહનસહન ખૂબ સાદું
અને સરળ છે. એમનું વાહન છે એક પોઠિયો. સમાધિમાં બેઠા હોય ત્યારે બગલમાં રાખવાની એક
ટેકણ લાંકડી, આયુધ તરીકે પરશુ, મૃગચર્મ, શરીરે લગાવવા માટેની ભસ્મ, આભૂષણરૂપે સંર્પ અને એક
ખોપરી. હે વરદાન આપનાર ભગવાન શિવ! આપની તંત્રસાધનામાં આટલી જ વસ્તુઓ સાધનરૂપ છે
અને છતાં દેવતાઓએ જે સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે તે તો આપના કૃપા કટાક્ષથી જ. જે માણસો
આત્મરત હોય છે, નિજાનંદી હોય છે, એમને
વિષયોરૂપી ઝાંઝળાનાં જળ (ભમાવી) શક્તાં નથી.
કવિએ
અહીં ભગવાન શિવની ઘરવખરીની સ્થૂળ સામગ્રીની યાદી રજૂ કરી છે. ભગવાન શિવ અકિંચન છે.
એમનાં ઉપકરણો અત્યંત અલ્પ છે અને નજેવાં છે પણ એનો અર્થ એવો નથી કે એ એમની મર્યાદા
છે. એમનામાં અપાર સમૃદ્ધિ આપવાનું ઐશ્વર્ય છે. એમની કૃપાથી જ જુદા જુદા દેવો
પોતાનું ઐશ્વર્ય મેળવી શક્યા છે. શિવ પરમયોગી છે. એમને આત્મસાક્ષાત્કાર થયેલો છે
અને માટે જ એ હંમેશાં આત્મરત તેમજ નિજાનંદી હોઈ વિષયોનાં સુખ એમને આકર્ષી શક્તાં
નથી. કવિ વિષયોના સુખને ઝાંઝવાના જળ સાથે સરખાવે છે. ઉનાળામાં રણભૂમિમાં મૃગનેં
જ્યાં ખોટું પાણી દેખાયા કરે છે અને તે એની પાછળ ભટકી ભટકીને મોતને ભેટે છે અને જે
આત્મસંતુષ્ટ છે એમને વિષયોનું આવું સુખ ક્યારે પણૅ આકર્ષી શક્તું નથી. શિવ સ્વયં
સાદા છે પણ એમનું ઐશ્વર્ય અપાર છે એ બતાવતાં મહાકવિ કાલિદાસે માલવિકાગ્નિમિત્રની
નાન્દીમાં કહ્યું છે. “ઇકૈશ્વર્યે સ્થિતોડપિ પ્રણતબહુફલે ય: સ્વયં કૃતિવાસા:” છે.
શિવ પોતે ચર્મ ધારણ કરનાર હોવા છતાં એમને પ્રણામ કરનારને બહુ ફળ આપી શકે એવા અપાર
ઐશ્વર્યવાળા છે. વળી જે સ્વયં શક્તિસંપન્ન છે એમને કોઈ ઉપકરણો કે સાધનોની મર્યાદા
નડતી નથી. મહાકવિ ભર્તૃહરિ કહે છે કે “ક્રિયાસિદ્ધિ: સત્વે ભવતિ મહતાં નોપકરણે”
મહાન માણસોની ક્રિયાની સફળતાનો આધાર એમની શક્તિ ઉપર રહેલો છે, એમનાં સાધનો ઉપર નહિ.
(૩) શિવનું
સ્વયંપ્રભુત્વ
જવાબ:- પુષ્પદંત
ભગવાન સદાશિવની સ્તુતિ કરતાં આગળ કહે છે કે હે પર્વતેશ ! અગ્નિના પુંજ જેવા
શરીરવાળા તમારા ઐશ્વર્યનો પ્રયત્નપૂર્વક તાગ મેળવવા માટે બ્રહ્મા તે તેજરૂપી
થાંભલાની ઉપર અને વિષ્ણુ નીચે ગયા. બ્રહ્મા અને વિષ્ણુ એક બીજા સાથે પોતાનું
ચઢિયાતાપણું પૂરવાર કરવા માટે વાદે ચઢ્યા હતા. તેઓ કોણ મોટું ? એ બાબતમાં પોતે નિર્ણય કરી શક્યા નહિ. એમની પરિમિતતા અને મોહ દૂર કરવા
માટે શિવે સ્વયં પ્રગટીને આદિભાગ શોધવા માટે ઉપર ગયા અને વિષ્ણુ ભગવાન એનું મૂળ
શોધવા માટે નીચે ગયા. શિવસ્વરૂપનો તાગ મેળવવા માટે તે બંને પોતપોતાની રીતે પ્રયત્ન
કરતા રહ્યા. તે પણૅ તે બંનેમાંથી કોઈ આ શિવતત્વનું આદિ કે અંત જાણી શક્યા નહિ. એ
પછી એમણે ભક્તિ અને શ્રદ્ધાથી યુક્ત થઈને શિવજીની સ્તુતિ કરી અને પછી તેઓ જાતે જ
શાંત થઈ ગયા. બ્રહ્મા અને શિવનું આ ઉદાહરણ એ બાબત પ્રસ્થાપિત કરે છે કે આપની ભક્તિ
વહેલી કે મોડી ફળે છે જ એમાં કોઈ શંકા નથી.
(૪) રાવણને
વરદાન
જવાબ:- ભગવાન
શિવનો મહિમા ગાતા કવિ પુષ્પદંત રાવણની શિવભક્તિનો સંદર્ભ રજુ કરે છે. રાવણે શિવની
ઉત્કટ ભક્તિ કરી હતી. શિવની પૂજા કરતી વખતે એણે પોતાના મસ્તક રૂપી કમળની મુણ્ડમાળા
શિવનાં ચરણોમાં રજૂ કરી હતી. શિવનાં ચરણૅકમળોની આ દ્રઢ ભક્તિને
પરિણામસ્વરૂપે શિવજીએ પ્રસન્ન થઈને રાવણને દસમુખ અને વીસ ભુજઓ આપી. વળી એ ભુજાઓમાં
અપ્રતિમ એવી શક્તિ અને સામર્થ્ય આપ્યાં. આ શક્તિના સામર્થ્યને કારણે રાવણે કોઈની
પણ સાથે વેરનો પ્રસંગ ઊભો થવા દીધા સિવાય જ ત્રણે ભુવનોને જીતી લીધાં. આ
ત્રિભુવનવિજેતા બન્યા પછી પણ રાવણને ચેન ન પડ્યું કારણ કે યુદ્ધભૂમિમાં હંમેશાં
લડવા માટે તત્પર એવા બાહુઓ એ કોઈની સાથે અજમાવી જોવા માગતો હતો. જ્યારે એને પોતાની
બરોબરીનો કોઈ સમર્થ યોદ્ધો પ્રાપ્ત થયો નહી ત્યારે એણે શિવ સાથે યુદ્ધ કરવાનું જ
વિચાર્યું અને શિવના કૈલાસપર્વતને ઉન્મૂલિત કરવા ચાલ્યો. એનું શું પરિમાણ આવ્યું
તે આ પછીના શ્લોકમાં કવિએ વર્ણવ્યું છે.
(૫) શિવની
કૃપાદ્રષ્ટિ
જવાબ:- રાવણની જેમ બાણાસુરને પણ ભગવાન શિવે એના તપથી
પ્રસન્ન થઈને હજાર ભુજાઓ આપી હતી અને પ્રત્યેક ભુજામાં હજાર હાથીઓનું બળ મૂક્યું
હતું. આ ભુજાઓના બળથી એણે ત્રણે ભુવનોને દાસ જેવાં બનાવી મૂક્યાં હતાં. ઈન્દ્રની
અત્યંત વૈભવશાળી સમૃદ્ધિને પણ ઉતારી પાડી હતી. બાણાસુર આ બધું કરી શક્યો એનું કારણ
કવિને મન એકજ છે અને તે એ કે બાણાસુરની ભગવાન સદાશિવનાં ચરણોમાં નિત્યભક્તિ હતી.
તે મનથી હંમેશાં શિવના ચરણોમાં નિવાસ કરતો હતો. બાણાસુરના ઉદાહરણ દ્વારા કવિ એક
સત્ય તારવે છે કે તમારા ચરણોમાં મસ્તક નમાવવાની ક્રિયા કોને ઉન્નતિ આપતી નથી ? જે કોઈ ભગવાન શિવનાં ચરણોમાં મસ્તક નમાવે છે તેનો ઉત્કર્ષ અચૂક થાય છે.
(૬) શિવનું
વિષપાન
જવાબ:- સમુદ્રમાંથી અમૃત મેળવવા માટે દેવો અને દાનવોએ
સમુદ્રમંથન દરમ્યાન એક તબક્કે એમાંથી હળાહળ ઝેર મળી આવ્યું. આ હળાહળ ઝેરનો
તાત્કાલિક નિકાલ કરવામાં ન આવે તો ત્રણે ભુવનોનો તાત્કાલિક જ નાશ થાય. આમ એકાએક
અને અચાનક બ્રહ્માંડૅનો નાશ ઊભો થવાના પ્રસંગથી દેવો અને દાનવો ભયભીત થઈ ગયા. આ
અત્યંત કાતીલ ઝેર પચવવાની શક્તિ એક માત્ર પરમયોગી શિવમાંજ હતી. દેવો અને દાનવો
એમને શરણે ગયા અને આ ઝેર પચાવી જવાની વિનંતી કરી. સૃષ્ટિ માટે હંમેશાં સદય એવા
ભગવાન શિવે એમની વિનંતીનો સ્વીકાર કર્યો અને તે હળાહળ ઝેર પી ગયા. યોગબળને કારણે
આવું કાતીલ ઝેર તેઓ પચાવી તો ગયા પણ એ ઝેર કંઠની નીચે ઉતારતી વખતે એમનો કંઠ શ્યામ
વાદળી થઈ ગયો અને ત્યારથી તે નીલકંઠ કહેવાયા.
ભગવાન
શિવના સાકાર સ્વરૂપમાં એમના આ શ્યામ દાગનો ઉલ્લેખ કરતાં કવિ એક સુંદર કલ્પના કરે
છે. કવિ કહે છે કે આ કાળો દાઘ પણ શિવસ્વરૂપમાં તો શોભાપ્રદ જ છે કારણ કે ભુવનોના
કોઈપણ પ્રકારના ભયનો નાશ કરવાનો જેને શોખ હોય એવા મહાનુભાવોને માટે તો આ પ્રકારનો
કોઈક શારીરિક વિકાર પણ પ્રશંસનીય બની રહે છે કારણ કે એ એમના પરોપકારી અભિગમનો ઘાતક
બની રહે છે.
(૭) કામવિજય
જવાબ:-શિવનાં
એક પછી એક અલૌકિક સામર્થ્યોનું વર્ણન કરતાં કવિ પુષ્પદંત શિવે કામદેવ ઉપર કરેલ
અસાધારણ વિજયનું કાવ્યમય વર્ણન કરે છે. કવિ કહે છે કે મનુષ્યો, દેવો કે રાક્ષસો પૈકી કામદેવને માટે કોઈ પણ અસાધ્ય ન હતું. તે ધારે તે
માણસ, દેવ કે રાક્ષકને પોતાનાં પુષ્પબાણોથી સંમોહિત કરી દેતો
હતો. એનાં પાંચ પુષ્પબાણો પોતાનું કામ સિદ્ધ કરીને હંમેશાં વિજયશીલ બનીને પાછાં
ફરતાં હતાં.
પોતાની
સંમોહનશક્તિથી સહુને પરાજીત કરવાના ખ્યાલવાળા કામદેવને લાગ્યું કે મહાદેવજી પણ
અન્ય દેવોના જેવા જ એક સામાન્ય અને સાધારણ દેવ છે. આવા ખોટા ખ્યાલથી કામદેવ
પાર્વતી તરફ શિવને અભિમુખ કરવાનું બીડું ઝડપીને શિવના તપોવનમાં ગયો. પાર્વતી
જ્યારે શિવજીની પૂજા કરવા આવ્યાં ત્યારે કામદેવે શિવનો તપોભંગ કરવા માટે પોતાનું
બાણ ચઢાવ્યું. સાવધાન બનેલા શિવે ચારે તરફ નજર દોડાવી અને કામદેવની આ ધૃષ્ટતા
જોઈને એને ક્ષણવારમાં ભસ્મીભૂત કરી દીધો. શિવ કોઈ સામાન્ય દેવ નથી. એમની
અસાધારણતાને ન સમજી શકેલો કામદેવ આ રીતે માત્ર સ્મરણશેષ બની રહ્યો. કવિ કામદેવના
ઉદાહરણ દ્વ્રારા સમજાવે છે કે માણસની સંયમી માણસોનો પરાભવ કરવાની ઈચ્છા ક્યારેય
હિતકર બનતી નથી. શિવના કામદહનનું વર્ણન શિવપુરાણમાં આ પ્રમાણે પ્રાપ્ત થાય છે.
(૮) શિવનું
તાંડવનૃત્ય
જવાબ:-વારંવાર
ભગવાન શિવનો મહિમા ગાવાનું પસંદ કરતા કવિ પુષ્પદંત ભગવાન પ્રભાવક તાંડવનૃત્યનું
વર્ણન કરે છે. ભગવાન શિવનું તાંડવનૃત્ય જગતનું રક્ષણ કરવા માટે જ છે. આ તાંડવનૃત્ય
જોરદાર હોય છે. એમાં ભગવાન શિવ પોતાના ચરણોના જોરદાર પ્રહારો કરે ચ્ય્હે, એને પરિણામે પૃથ્વી એકાએક સંશયમાં પડી જાય છે કે પોતે રસાતળ જતી રહેશે કે
શું ? તાંડવનૃત્ય સમયે ભગવાન શિવની જે ભુજાઓ ચારે બાજુ
વીંઝાય છે, એના પરિઘમાં પીડા પામેલા ગ્રહમંડળયુક્ત આકાશ પણ
ભયમાં આવી પડે છે. એમની તાંડવનૃત્ય સમયે વીખરાઈ ગયેલી જટાથી પ્રહાર પામતા તટવાળું
આકાશ વારંવાર મહામુશ્કેલીએ ટકી શકે છે. આમ શિવનું તાંડવનૃત્ય પૃથ્વીને માટે
પ્રતિકૂળ બની રહે છે. કવિ એ ઉપરથી તારણ કાઢે છે કે ખરેખર પ્રભુતા પ્રતિકૂળ બની
રહેનારી હોય છે.
શિવનાં
તાંડવનૃત્ય અંગે એક એવો પૌરાણિક સંદર્ભ છે કે એક રાક્ષસે ઉગ્ર તપસ્યા કરી.
બ્રહ્માજી પાસે ત્રણે લોકનો સંહાર કરવાનું વરદાન માગ્યું. બ્રહ્મા આવું વરદાન કેવી
રીતે આપી શકાય એ બાબતે વિચારમાં પડી ગયા. બ્રહ્માજી શિવની સલાહ લેવા ગયા. શિવે
તાંડવનૃત્ય કરીને એ રાક્ષસની મનોવૃતિ બદલી નાખવાનું વચન આપ્યું અને રાક્ષસ એ નૃત્ય
જોવામાં એવો તો લીન બની ગયો કે એ પેલું વરદાન માગવું જ ભૂલી ગયો.
શિવજી
સાયંકાળે પ્રસન્ન થઈને પાર્વતીજીને રીઝવવા પણ આ નૃત્ય કરે છે એમ મનાય છે.
(૯) શિવનું
વિરાટસ્વરૂપ
જવાબ:-આકાશ, પાતાળ અને પૃથ્વીને વ્યાપી લેનારી અને સઘળા સમુદ્રોને ભરપૂર કરનારી મહાનદી
ગંગા જ્યારે શિવજીના જટાજૂટમાં સમાઈ ત્યારે તે ગંગાનો પ્રવાહ તમારા મસ્તક ઉપર નાના
ટીપાં જેવો ગણાય છે. તેણે જગતને સમૃદ્રથી વીંટળાયેલા બેટના આકારનું બનાવી દીધું.
આનો મતલબ એ થયો કે શિવજીનું મસ્તક ગગનમંડળ કરતાં પણ વિશાળ ચે અને એમનો દેહ તો ચૌદે
લોકોને અંદર સ્માવી દે એટલો વિરાટ છે. ત્યાં આકાશગંગા એક જલબિંદુ જેવી લાગે છે.
જગત સાગરમાં રહેલા બેટ જેવું નાનું ભાસે છે. જેમ પર્વતના શિખર ઉપર રહેલું નગર
નીચેથી નાના ટપકા જેવું જણાય એમ આકાશગંગાને જટામાં સમાવી લેનારા ભગવાન શિવની
કાયાનો વિસ્તાર પણ અપાર છે.
(૧૦) શિવનો
ત્રિપુરદાહ
જવાબ:-ત્રિપુરાસુરથી
ત્રાસેલા દેવો બ્રહ્મા અને વિષ્ણુને લઈને કૈલાસ પર્વત ઉપર ગયા. શિવને માટે આ ત્રણે
નગરો તણખલા જેવાં તુચ્છ હતાં અને એને બાળવાઉં કામ પણ સ્વાભાવિક હતું પણ શિવ દેવોનો
પણ મહિમા કરવા માગતા હતા. એમણે દેવોને કહ્યું કે હે દેવો ! જો તમારી સઘળી શક્તિઓ
ભેગી થાય તો મારામાં વિશેષ બળ પ્રગટે. બધા દેવોની શક્તિનો શિવજીમાં સંચય થયો.
પૃથ્વીને રથનું રૂપ આપ્યું. બ્રહ્મા એના સારથિ થયા. પર્વતોના રત્ન મેરુને ધનુષ્ય
તેમજ સૂર્ય અને ચંદ્રને એ રથનાં ચક્ર બનાવવામાં આવ્યાં. વિષ્ણુ પોતે બાણ બન્યા.
ખરેખર નગરોંર સંહારવા માટે શિવે ઘણો મોતો આડંબર કર્યો. આમ તો શિવ પોતે આ નગરોને એક
દ્રષ્ટિ ફેંકવા માત્રથી જ બાળી મૂકવાને સમર્થ હતા. આમ છતાં એમણે આ પ્રમાણે જ બધું
કર્યું. કવિ શિવજીની આ નગરસંહાર લીલા ઉપરથી એક સત્ય તારવતાં કહે છે કે પોતાને અધીન
એવા પદાર્થો સાથે ખેલનારી સમર્થ માણસોની બુદ્ધિ સાચે જ પરાધીન હોતી નથી. કંઈ પણ
કરવું એ શિવજીના પોતાના તાબાની વાત છે અને છતાં માત્ર લીલા માટે તેઓ આમ કરે છે.
બાકી સમર્થ માણસોની બુદ્ધિ સાચે જ પરતંત્ર હોતી નથી.
(૧૧) વિષ્ણુને
સુદર્શનચક્રનું દાન
જવાબ:-ભગવાન
વિષ્ણુ શિવના અનન્ય ભક્ત છે. આ વિષ્ણુએ એકવાર ભગવાન શિવજીને કમળપૂજા ભેટ ધરી. તેઓ
શિવજીનાં ચરણોમાં એક હજર કમળો સમર્પિત કરવા ઇચ્છતા હતા પણ બધાં કમળો ગણીને એકપછી
એક જેમ જેમ ચઢાવતા ગયા તેમ અંતે એમને જણાયું એ એક હજાર કમળમાં એક કમળ ઓછું પડ્યું
છે. હવે આ સહસ્ત્રકમળ અર્પણ પૂજા તો પૂર્ણ થવી જ જોઈએ. આથી એમણે જરા પણ ખંચકાટ
અનુભ્વ્યા વિના પોતાનું નેત્રકમળ ચેંચી કાઢીને શિવના ચરણૉમાં ધરી દીધું અને આ
કમળપૂજા પૂર્ણ કરી. વિષ્ણુની ભક્તિનો આ ઉદ્રેક જોઈને શિવે વિષ્ણુને ચક્ર સમર્પિત
કર્યું જે આજે પણ ત્રણે જગતનું રક્ષણ કરવા માટે તત્પર રહે છે.
(૧૨) યજ્ઞયાગાદિ કર્મફળના દાતા
જવાબ:-આ
જગતમાં લોકો નિ:શ્રેયસ કર્મની સાધના માટે યજ્ઞયાગ વ. પવિત્ર કાર્યો કર્યા કરે છે. આ યજ્ઞ કર્મો પતી જતાં એ યજ્ઞનું ફળ યજમાનને મળી રહે એ માટે ભગવાન શિવ
હંમેશાં જાગૃત રહે છે અને એ ફળ જે તે યજમાનને મળે જ એ માટે પ્રયત્નશીલ પણ બને છે,
અને આ બાબત સ્વાભાવિક પણ છે કારણ કે પરમપુરુષની આરાધના વિના નષ્ટ
થયેલું કર્મ માણસને ક્યાંથી ફળ આપી શકે ? યજ્ઞનું ફળ મેળવી
આપવામાં સદાશિવ હંમેશાં જાગૃત હોય છે અને તેઓ જામીન બનેલા છે. એ જાણીને લોકો
વેદનાં વાક્યોમાં શ્રદ્ધા રાખીને યજ્ઞ કર્મ કરવા માટે કમર કસે છે.
(૧૩)
અર્ધનારીનટેશ્વર
જવાબ:-શિવજી
પરમ યોગી છે. તેઓ હંમેશાં યમવિષયોમાં રત રહે છે. પોતાના સૌંદર્ય ઉપર મુસ્તાક રહીને
મનુષ્ય ધારણ કરનાર કામદેવ જ્યારે શિવજીનો તપોભંગ કરવા ગયો ત્યારે એના દેહને
શિવજીને તણખલાની જેમ બાળી મૂક્યો. એને તણખલાંની જેમ બાળી મૂકીને શિવજીએ પાર્વતીને
પોતાના ઉછંગે લીધાં, એમણે પાર્વતીને પોતના ડાબા પડખામાં
સમાવી લીધાં અને અર્ધનારીશ્વર બન્યા. પરંતુ શિવજીની આ લીલા પાર્વતી પણ સમજી ન
શક્યાં. એમને લાગ્યું કે શિવ કામી છે અને મારાથી દૂર રહેવું ન પડે માટે મને અસધાં
અંગમાં લઈ લીધાં છે. મહાકવિ પુષ્પદંત કહે છે કે પાર્વતી જેવાં પર્વતી પણ જો આ લીલાને
ને સમજે તો શું કહેવું ? હે વએઅદ ! ખરેખર એમ જ કહેવું પડે કે
યુવતીઓ ખરેખર ભોળી હોય છે કે તે પરમતત્વની લીલાને સમજી શક્તી નથી.
જો કે
શિવપુરાણમાં એવી કથા છે કે બ્રહ્મા જ્યારે પોતાના પ્રભાવથી સૃષ્ટિનો વિસ્તાર કરી ન
શક્યા ત્યારે એમણે શિવની તપશ્ચર્યા કરી એને શિવે પ્રસન્ન થઈને અર્ધનારીસ્વરૂપ
પ્રગટ કર્યું.
(૧૪) યોગીઓના
આરાધ્ય દેવ
જવાબ:-મોટા
મોટા યોગીઓ સદાકાળ શિવનું પોતાના અંત:કરણમાં ધ્યાન ધરે છે. પ્રાણાયામ કરનાર, આનંદનાં અશ્રુઓથી ઉભરાતી આંખોવાળા અને પ્રસન્ન રોમાંચવાળા યોગીઓ મનને
ઈન્દ્રિયોથી વિમુખ બનાવીને એ મનને અંત:કરણમાં સ્થિર કરીને જે અલૌકિક તત્વને
નિહાળીને અમૃતમય સરોવરમાં ડૂબીને આંતરિક આનંદની અનુભૂતિ કરે છે તે પરમતત્વ ખરેખર
તો શિવ પોતે જ છે.
(૧૫) ઓમકારની
શિવસ્તુતિ
જવાબ:-ત્રણે વેદો
(ઋગ્વેદ,યજુર્વેદ અને સામવેદ) ત્રણે ય વૃતિઓ (જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ), ત્રણ ભુવનો (આકાશ,
પાતાળ અને પૃથ્વી) અને ત્રણે દેવતાઓને (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર)ને પણ આકાર વ. ત્રણ વર્ણો (અ, ઉ
અને મ) સહિત ધારણ કરતું અને ત્રણે અવસ્થાઓથી પેલી પારનું ચતુર્થસ્થાન કે જે
સૂક્ષ્મ ધ્વનિઓથી પ્રાપ્ત થાય છે તે ઓમકાર પદ પણૅ હે પ્રભુ શિવ ! સંપૂર્ણ કે
વિભક્ત એવા આપની જ સ્તુતિ કરે છે.
આઠ
નામ ધારી શિવને સાષ્ટાંગ પ્રણામ : શિવજીનાં આઠ નામો છે. ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, મહાન અને ઉગ્ર તેમજ ભીમ અને ઈશાન, એ પ્રમાણેનાં આ જે
આઠ નામો આપનાં છે તે પ્રત્યેકમાં વેદો પણ વિચરણ કરે છે. આથી પ્રિય અને તે જ સ્વરૂપ
આપને અમારા સાષ્ટાંગ પ્રણામ.
પ્ર.૪
ટૂંકનોંધ
શિવનું સ્વરૂપ
– ઐશ્વર્ય
જવાબ:-સ્તોત્રકાવ્યમાં
ભક્તિકવિ ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનનાં નામ, રૂપ, ગુણ, પરાક્રમ, દિવ્ય લીલાનો
મહિમા વર્ણવી રોમાંચિત થાય છે, કૃતકૃત્ય બની જાય છે. શિવમહિમ્ન:સ્તોત્રમાં શિવના સગુણ તથા નિર્ગુણૅ સ્વરૂપનો મહિમા કવિ
પૂર્ણતયા વર્ણવે છે. પુષ્પદંતે શિવના સ્વરૂપને વિવિધ સ્વરૂપને વિવિધ સ્વરૂપે નીચે
પ્રમાણે વર્ણવ્યું છે:
(૧)
વિશ્વેશ્વર શિવ :
જગતની
ઉત્પતિ, સ્થિતિ, પ્રલય તરીકે શિવનું ઐશ્વર્ય
જગપ્રસિદ્ધ છે. પ્રકંતિના સત્વ, રજસ્, તમસ્
ત્રણે ગુણો અનુસાર શિવનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. તેઓ સૃષ્ટિ સર્જન વખતે કઈ ક્રિયા
કરે છે, શરીર કેવું છે, ઉપાયો ક્યા છે,
આધાર ક્યો છે એવા કુતર્કો લોકો કરે કરે છે; પરંતુ
જેમ કરોળિયો કોઈની પણ મદદ લીધા વગર પોતાના શરીરમાંથી જાળાં બહાર કાઢી પોતાનામાં જ
સમેટી લે છે તેમ પરમાત્માને પણ બીજાની મદદની જરૂર નથી, કારણ
કે એ જ જગતના કર્તા તરીકે સર્વસ્વરૂપે છે. શિવનાં ભલે ત્રણે રૂપો ભિન્ન ભિન્ન હોય,
પણ અંતે તો તે એક જ છે. આ જ કારણે તેઓ વિશ્વેશ્વર કહેવાય છે.
(૨)
સર્વવ્યાપી શિવ :
સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, આકાશ, આત્મા સર્વત્ર શિવ વ્યાપીને રહેલા છે. તેઓ સર્વના આત્મામાં છે તેથી નજીક
છે અને વાણીથી અગમ્ય છે તેથી દૂર પણ છે. અણુસ્વરૂપે સૂક્ષ્મ છે. ઘડપણથી અલિપ્ત હોઈ
યુવાન છે અને સર્વ પ્રાણીઓમાં સર્વ પ્રથમ હોવાથી અતિવૃદ્ધ છે. આમ, તેમનો મહિમા અગોચર છે.
(૩) શિવનું
શિવત્વ :
શિવભક્તની
અપ્રતિમ ભક્તિના કારણે તેને શીઘ્ર ફળ આપનારા છે, તેથી તેઓ આશુતોષ
કહેવાયા છે કે વિષ્ણુ દરરોજ સહસ્ત્ર કમળોથી શિવની પૂજા-અર્ચના કરતા હતા. એકવાર
પૂજા કરતી વખતે એક કમળ ઓછું થયું ત્યારે વિષ્ણુએ પોતાના એક નેત્રકમળથી પૂજા પૂરી
કરી. વિષ્ણુની આવી પરમ ભક્તિથી પ્રસન્ન થયેલા શિવે તેમને સુદર્શન ચક્ર ઉપહારરૂપે
અર્પણ કર્યું, જે દ્વારાતેઓ જગતનું રક્ષણ કરે છે.
(૪) મહાદેવ:
શિવ
મહાદેવ છે, એની પ્રતીતિ બ્રહ્મા તથા વિષ્ણુના દ્રષ્ટાંત દ્વારા
પુષ્પદંતે કરાવી છે, જેમાં શિવના સ્વરૂપને જાણવા માટે
બ્રહ્મા ઉપર આકાશમાં અને વિષ્ણુ નીચે પાતાળમાં ગયા, પરંતુ
તેઓને સફળતા ન મળી ત્યારે તેઓએ ભક્તિપૂર્વક શિવની સ્તુતિ કરી ત્યારે શિવ પ્રત્યક્ષ
થયા અને તેમણે બ્રહ્મા-વિષ્ણુને ‘ઓમકાર’નો ઉપદેશ આપ્યો. એટલું જ નહી, દેવો અને દાનવોએ કરેલ
સમુદ્રમંથન વખતે કાલકૂટ વિષ નીકળતાં ત્રણે લોક ભયભીત થયા. કોઈ ઝેર અપનાવવા તૈયાર ન
થયા ત્યારે શિવે તેનું વિષ્પાન જગતની રક્ષાના કારણે કર્યું. આના કારણે તે મહાદેવ
તરીકે ઓળખાયા.
(૫) વરદ શિવ:
શિવમહિમ્ન:સ્તોત્રમાં
શિવને માટે ‘વરદ’ શબ્દ રજૂ થયો છે. જે મનુષ્ય
શ્રદ્ધાપૂર્વક શિવની ભક્તિ કરે છે તેના પર પ્રસન્ન થઈ શિવ ભક્તને તેના ફળસ્વરૂપે
વરદાન આપે છે. અહીં રાવણનું દ્રષ્ટાંત પ્રસ્તુત છે. રાવણે શિવની શ્રદ્ધાભક્તિથી
અપ્રતિમ શક્તિ મેળવી હતી તથા બાણાસુરે ત્રિભુવનનું રાજ્ય મેળવ્યું હતું તથા
ઈન્દ્રની સમૃદ્ધિને નીચી પાડી હતી. આમ, આશુતોષ શિવ ઐશ્વર્યસંપન્ન છે.
(૬) મહાયોગી શિવ :
શિવનું
ચૈતન્ય સ્વરૂપ અખંડ છે. યોગીઓ પ્રાણાયામ દ્વ્રારા શિવના અવર્ણનીય તત્વનો
અંત:કરણમાં આનંદાનુભવ કરે છે. શિવ હંમેશાં યોગીસ્વરૂપે તપોનિષ્ઠ રહે છે તેથી જ
જ્યારે કામદેવ તેમના તપોભંગનું કારણ બને છે ત્યારે શિવ ક્રોધી બનીને તેમના ત્રીજા
નેત્રમાંથી ઉત્પન્ન અગ્નિ દ્વારા તેને ભસ્મીભૂત કરી દે છે.
(૭) શિવનું
તાંડવનૃત્ય :
શિવના
તાંડવનૃત્યમાં તેમના રૌદ્ર સ્વરૂપનું દર્શન થાય છે. જગતના રક્ષણ માટે શિવ
તાંડવનૃત્ય કરે છે. શિવ જ્યારે તાંડવનૃત્ય કરે છે ત્યારે તેમના પગના આઘાતથી
ધ્રૂજતી પૃથ્વી સંદેહમાં પડે છે, હાથની થાપટથી નક્ષત્રો વેરવિખેર થઈ જાય
છે, તેમની છૂટી જટાના ફટકરથી સ્વર્ગ વારંવાર મુશ્કેલી પામે
છે. આ જ એમના તાંડવનું ઐશ્વર્ય છે. સર્વે પ્રાણીઓ માટે શિવ આધાર છે. ત્રિપુરાસુરને
બાળવા માટે શિવે પૃથ્વીને રથ, બ્રહ્માને સારથી, મેરુ પર્વતને ધનુષ્ય, સૂર્ય-ચંદ્રને રથનાં બે ચક્રો
અને વિષ્ણુને બાણ બનાવ્યાં હતાં. આમ, શિવની ક્રીડા અપરંપાર
છે. સમગ્ર જગત તેનું કુટુંબ છે અને તે જગતરૂપી કુટુંબ માટે આધારરૂપ છે.
પ્ર-૫ શિવમહિન્ન: સ્તોત્ર:- શૈલી
- પુષ્પદંતની શૈલી
જવાબ:-
સંસ્કૃત
સાહિત્યકારો પોતાની રચનામાં કાવ્યનાં વિવિધ પાસાંઓને ધ્યાનમાં લઈને કાવ્યરચના કરે
છે,
જેના દ્વારા તેઓ કવ્યને ઉતમ રચના તરીકે રજૂ કરી શકે. કાવ્યનાં વિવિધ
પાસાંઓમાં શૈલી ખૂબ જ ઉતમ પાસું છે. શૈલી કવિની કવિતાનો આત્મા છે, કારણ કે એમાં કવિ શબ્દોના માધ્યમ દ્વારા પોતાના વિચારોને શબ્દદેહ આપે છે.
શીલે ભવા શૈલી- કવિના શીલમાંથી વહેતી શબ્દધારા તે જે શૈલી છે. શૈલીના વિવિધ પ્રકારો છે, જેવા કે વૈદર્ભી, ગૌડી, પાંચાલી, શૌરસેની,
માગધી વગેરે.
શિવમહિમ્ન:સ્તોત્રમાં
વૈદર્ભી તથા ગૌડી શૈલી જોવા મળે છે, પરંતુ વૈદર્ભી શૈલી પ્રાધાન્યરૂપે છે.
વૈદર્ભી શૈલીમાં ઓજસ્, પ્રસાદ, સમતા,
માધુર્ય, સુકોમળતા, અર્થવ્યક્તિ
વગેરે ગુણો રહેલા છે, પરંતુ ગૌડી શૈલીના કારણે ક્યારેક સરળતા
તથા જોડાક્ષરોની પ્રચુરતા અને સંધિસમાસ ભળેલા છે. કવ્યકૃતિની સફળતાનો આધાર તેની
ભાવસમૃદ્ધિ તથા મર્મસ્પર્શી ભાવસંવેદનાઓમાં રહેલો છે. સફળ કાવ્યકૃતિ માટે ભાવપક્ષ
તથા કલાપક્ષની સુંદરતા જરૂરી છે. ભાવસમૃદ્ધિ તથા અભિવ્યંજના શૈલીની દ્રષ્ટિએ
પ્રસ્તુત સ્તોત્રકાવ્ય ઉતમ કાવ્યનું સ્થાન પામે છે.
શિવમહિમ્ન:સ્તોત્રની
શૈલીનો પ્રધાન ગુણ તેની શ્રવણરમણીયતા છે. તેનાં પદ્યો સાંભળતાં જ કર્ણપ્રિય હોવથી
નાદમાધુર્ય ધરાવે છે.વર્ણવિન્યાસની સાથે સાથે તેની રચના પ્રસાદગુણયુક્ત અને શીધ્ર
અર્થબોધ કરાવે છે. પ્રસાદગુણનું લક્ષણ છે – શ્રુતમાત્રા વાક્યાર્થં કરતલબદરમિવ
નિવેદયન્તી....”કાવ્ય સાંભળતાંની સાથે જ હથેળીમાં રહેલા બોરની જેમ વાક્યાર્થની
અનાયાસે પૂર્ણ પ્રતીતિ થાય તેવી રચના પ્રાસાદિક છે.” ઉદા.
ત્રયી સાંખ્યં
યોગ: પશુપતિમતં વૈષ્ણવમિતિ
...નૃણામેકિ
ગમ્યસ્ત્વમસિ પયસામર્ણવ ઈવા।।
પ્રસ્તુત
શ્લોકમાં દર્શનશાસ્ત્રના ગૂઢ સિદ્ધાંતો સરળ, સ્વાભાવિક ભાષામાં વ્યક્ત થાય છે, એમાં કવિની
સિદ્ધિ જોવા મળે છે. બીજી પંક્તિનો ‘પ’ નો વર્ણાનુપ્રાસ નાદમાધુર્ય સર્જે છે. છેલ્લી
પંક્તિમાં ઉપમા અલંકારનું સૌંદર્ય છે. શ્લોક ૮- મહોક્ષ: ખટ્વાઙં... ન હિ સ્વાત્મારામં વિષયમૃગતૃષ્ણા ભ્રમયતિ॥ - ‘આત્મરતને
વિષયોની મૃગતૃષ્ણા ભમાવી શકતી નથી.’ આ અર્થાન્તરન્યાસ અલંકાર દ્વારા અસંગતિ
દૂર કરવામાં કવિનું રચનાકૌશલ જોવા મળે છે. કવિ ઘણું કરીંર ભારેખમ શબ્દોનો પ્રયોગો
ન કરતાં સરળ, પ્રાસાદિક ભાષા તથા સરળતાથી સમજી શકાય તેવા
અલંકારોના પ્રયોગ દ્વારા પોતાના કથયિતવ્યને પોતાની વિદ્વત્તાથી પ્રગટ કરી દે છે.
ભાવને અનુરૂપ ભાષાશૈલીનો તે સ્વાભાવિક રીતે પ્રયોગ કરે છે.
સમુદ્રમંથનપ્રસંદમાં
શિવે હલાહલ વિષપાન કર્યું એ શ્લોક કવિના રચનાકૌશલને સરસ રીતે વ્યક્ત કરે છે. આ
સ્લોકના પૂર્વાર્ધમાં સુદીર્ધસ સમાસયુક્ત દૌડીરીતિનો પ્રયોગ તથા યમક અલંકારનો
પ્રયોગ થયો છે એમાં ભયભીત થઈ ગયેલા દેવ-દાનવોની મન:સ્થિતિ સહજપણે રજૂ થઈ છે.
શ્લોકની અંતિમ પંક્તિમાં અર્થાંતરન્યાસ પ્રયોજી વિશ્વકલ્યાણ માટેનો અપૂર્વ ત્યાગ
અને સમર્પણની ગરિમા પ્રકાશિત છે. તૃતીયા પંક્તિમાં ‘ક’ અને ‘ભ’નું પુનરાવર્તન
શબ્દસંગીતનું મનોરમ્ય વાતાવરણ પ્રસ્તુત કરે છે.
મહીં
પાદાધાતાદ્ શ્લોક કવિની કાવ્યકલાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડે છે. યોગ્ય વર્ણપદની સરસ
ગૂંથણી કરવામાં આવી છે. એક જ વર્ણને નજીકનાં ત્રણ પદોમાં પ્રયોજી વર્ણાનુપ્રાસ, યમક વગેરે શબ્દાલંકારો દ્વારા નાદસૌંદર્ય તથા મર્મસ્પર્શી સંગીત પીરસવામાં
આવ્યું છે. આને કારણે કાવ્યરચના સ્વાભાવિક સૌંદર્ય રજૂ કરે છે. રમણીયામરમણીયમ્ અકાણ્ડંબ્રહ્માણ્ડ,
સમસ્તં વ્યસ્તં ચ વગેરેમાં ટૂંકા યમકનો પ્રયોગ અધિક રમણીયતા
પ્રસ્તુત કરે છે.
કવિ
પુષ્પ્દંત શબ્દાલંકારોની સાથે સાથે અર્થાલંકારોનો પણ યથાસ્થાને સમુચિત પ્રયોગ કરે
છે. જેમકે, નૃણામેકો ગમ્યસ્ત્વમસિ પયસામર્ણવ ઈવ, ભુજપરિઘ, નેત્રકમલમ્ વગેરેમાં રૂપકનો પ્રયોગ
અર્થસૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે છે. અર્થાન્તરન્યાસ કવિને સવિશેષ પ્રિય છે. જેમાં
કવિનું દાર્શનિક જ્ઞાન તથા જીવનનાં સનાતન સત્યો પ્રગટ થાય છે. અધ્દ્રા બત વરદ
મુગ્ધા યૂવતય:માં મનોહર, અર્થગંભીર અર્થાન્તરન્યાસ પ્રસ્તુત
છે. વળી, શિવજટામાં ગંગાનો પ્રવાહ બિંદુ સમાન બની ગયો એ
પ્રસંગમાં અતિશયોક્તિ અલંકારની કલ્પના શિવના અપ્રતિમ પ્રભાવને સુંદર રીતે વ્યક્ત
કરે છે. વળી, પગના અંગૂઠામાત્રથી
રાવણનું પાતાળદમન, શિવનું તાંડવનૃત્યવર્ણન, હલાહલ વિષપાનવર્ણન વગેરેમાં કવિની પ્રભાવપૂર્ણ વર્ણનકલા દેખાય છે.
પુષ્પદંત
વિચારપક્ષને પણ મહત્વ આપે છે, જેમાં શિવનું સગુણ-નિર્ગુણવર્ણન,
અદ્વૈત વૈદાંતના સિદ્ધાંતો પણ કાવ્યમાં વણી લીધા છે. કવિની છંદપસંદગીમાં
પણ તેની સફળતા જોવા મળે છે. શિખરિણી છંદ ઉતમ ભક્તિરસ વહાવે છે. કવિની અપૂર્વ ભક્તિ
અને દર્શનપાંડિત્યને કાવ્યદેહ આપવામાં કવિનું છંદપ્રભુત્વ મહત્વનું પરિબળ છે. આ
ઉપરાંત માલિની, વસંતતિલકા, અનુષ્ટુપનો
સફળ પ્રયોગ પણ કવિએ કર્યો છે. કવિના કાવ્યના ભાવપક્ષ તથા કલાપક્ષ બંનેમાં સમૃદ્ધિ
તથા સૌંદર્ય છે, જેના કારણે હ્રદયની ભાવોર્મિઓ કવિતામાં
ઉત્કૃષ્ટ રહસ્ય પ્રસ્તુત કરે છે. અહીં કવિ ભક્ત અને પંડિત તરીકે રજૂ થયા છે.
કવિતામાં શબ્દ અને અર્થનું સંતુલન હોઈ તેમની સૈલી ક્યારેય કૃત્રિમ કે પરિશ્રમસાધ્ય
બની નથી. તેનું પાંડિત્ય પણ કાવ્યરસથી પ્રેરાઈ કાવ્યમય બની જાય છે. તેથી જ અંતે
કહી શકાય કે, મહિમ્નો નાપરા સ્તુતિ: વિધાન કવિ પુષ્પદંતની
રચના શિવમહિમ્ન: સ્તોત્ર માટે સંપૂર્ણ સાર્થક છે.
પ્ર-૬ સ્તોત્ર કાવ્યના લક્ષણો આપી, સ્તોત્રકાવ્ય તરીકે શિવમહિમ્ન: સ્તોત્ર: મૂલ્યાંકન કરો.
જવાબ:- સ્તોત્રકાવ્યનાં
સામાન્ય લક્ષણો નીચે પ્રમાણે ગણાવી શકાય:
(૧) મંગલાચરણ
(૨)
સ્તોત્રરચના વિશે કવિ અસમર્થ છે એવું નિવેદન
(૩) નિજ –
આત્મનિવેદન
(૪)
ઉપાસ્યદેવનો મહિમા
(૫) દેવના
સ્વરૂપનું નિરૂપણ
(૬) યાચનાની
ઊર્મિ – લાગણી
(૭)
સ્તોત્રમાંથી મળતું ફળ – શ્રેય
‘શિવમહિમ્ન:સ્તોત્ર’
નું સ્તોત્રકાવ્ય તરીકે મૂલ્યાંકન
ગંધર્વરાજ
પુષ્પદંત વિચરિત શિવમહિમ્ન:સ્તોત્રની વિશિષ્ટતા એ છે કે શિવની ભક્તિ ઉપરાંત
વેદાંતદર્શનના મુખ્ય મુખ્ય સિદ્ધાંતોનો સાર દર્શાવ્યો છે. ઘણું કરીને શિવના સગુણ
સ્વરૂપને ગાયું છે, તોપણૅ નવથી દસ સ્તોત્રોમાં નિર્ગુણ
સ્વરૂપનું વર્ણન પ્રાપ્ત થાય છે. સાથે સાથે ઉપનિષદો અને
ભગવદગીતાનો ભક્તિ અને કર્મનો સિદ્ધાંત એમાં ભરપૂર છે.
સંસ્કૃત સાહિત્યકારો ગ્રંથારંભે મંગલસ્તુતિનો જરૂરિયાતને સ્વીકારે છે એ
પ્રમાણે સ્તોત્રનો આરંભ ઉપાસ્ય દેવની સ્તુતિ કે ગુરુવંદનાથી કરવો જેઈએ. પુષ્પદંતે
આમ કર્યું નથી, પરંતુ શિવમહિમ્ન એ તેમનો મુખ્ય વિષય હેતુ
હોવાથી 'મહિમ્ન:’ શબ્દથી જ આરંભ
કરવામાં આવ્યો છે.
શિવજી
અનંત ગુણોના સાગર છે. ક્યાં તેમનો અપાર મહિમા અને ક્યાં કવિની અલ્પમતિ ? પુષ્પદંત પોતાની અલ્પમતિ જણાવી પોતે અસમર્થ હોવા છતાં શિવ પ્રત્યેની અનન્ય ભક્તિ અને અતૂટ શ્રદ્ધાથી
સ્તુતિ કરવા પ્રેરાયો છે, પ્રથમ ત્રણેક શ્લોકમાં કવિએ વિનય
બતાવ્યો છે. કવિ કહે છે કે, 'હું શિવ ! આપના અનંત ગુણોનો પાર
બ્રહ્મા પણ પામી શકતા નથી, તો મારા જેવાની તો વાત જ શી ?
આપના મહિમાને મન માણી શકતું નથી અને વાળી વિસ્તારી શકતી નથી. આવા
અગમ્ય મહિમાની સ્તુતિ હું કઈ રીતે કરી શકું ? છતાં અનન્ય
શ્રદ્ધાએ મને આમ કરવા ઉત્સાહિત કર્યો છે. આપ મારા જેવા ભક્ત પર દયા કરીને પ્રસન્ન
થશો જ એવો મને વિશ્વાસ છે જ.
ગંધર્વરાજ
પુષ્પદંત પોતાનાં પાપ, દોષો, ચંચળતા,
પામરતા, નીચ સ્થિતિનું વર્ણન વગેરે દ્વારા
શિવની કૃપા યાચે છે. ભક્ત પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત કરે છે. અહીં કવિ ભક્તોનો
દાસ્યભાવ, શરણાગતિ અને નિજસમર્પણ વડે ભક્ત અને ભગવાનની
એકતાને દર્શાવે છે. પુષ્પદંત ક્યારેક પોતાની પામરતા પ્રગટ કરે છે. અહીં એકત્રીસમા
શ્લોકમાં કવિ કહે છે, 'હે વરદ ! થોડા જ્ઞાનવાળું મારું મન
ક્યાં કે જે ક્લેશને આધીન છે. ગુણોની સીમાને ઓળંગતી આપની સમૃદ્ધિ ક્યાં ? કૃશપરિણતિ ચેત: ક્લેશવશ્યં ક્વ ચ તવ ગુણસીમોલ્લંધિની શશ્વદદ્ધિ:। કારણ કે, શાસ્ત્રો અનેક છે અને શાસ્ત્રકારોએ અનેક
માર્ગોનું પ્રતિપાદન કરેલું છે. ભોળો ભક્ત તો પોતાના ઉપાસ્ય દેવમાં જ સર્વ દેવોનો
વાસ છે એમ માને છે. જેમકે બધા પાણીના પ્રવાહો છેવટે તો સમુદ્રને જ મળે છે. ‘નૃણામેકો ગમ્યસ્ત્વમસિ પયસામર્ણવ ઈવ' તો ક્યારેક કવિ
શિવના વિરાટ સ્વરૂપનું પણ વર્ણન કરે છે.
શિવમહિમ્નઃસ્તોત્રમાં પુષ્પદંત શિવની
સ્તુતિ કરે છે. શિવનાં નામ, ધામ, રૂપ, ગુણ, પરાક્રમ અને દિવ્ય લીલાનો મહિમા ગાતાં ગાતાં
રોમાંચિત થઈ જાય છે. શિવના સગુણ અને નિર્ગુણ સ્વરૂપનું વર્ણન કરે છે. શ્રુતિનાં
પ્રમાણો અને ભક્તની શ્રદ્ધા ઈશ્વરના અસ્તિત્વનું સાચું પ્રમાણ છે. માટે જ
પ્રસ્થાનત્રયી - સાંખ્ય, યોગ, પાશુપત
અને વૈષ્ણવમત ભલે સ્વરુચિ મુજબ વિવિધ માર્ગોને શ્રેષ્ઠ ગણી ઉપાસના કરે, છેવટે તો બધાનું ધ્યેય શિવ જ છે, નંદિ, ખટ્વાંગ, ફરશી, મૃગચર્મ, ભસ્મ, સર્પો અને ખોપરી જેવાં સાધનોથી શિવ એકદમ દરિદ્ર દેખાય છે. છતાં તેમનો
મહિમા અપાર છે, કારણ કે કટાક્ષમાત્રથી આપેલી સમૃદ્ધિ દેવો
ભોગવે છે. (શ્લોક-૮) શિવકૃપાએ બાણાસુર અને રાવણ જેવા સમૃદ્ધિને પામ્યા એ
શિવપૂજાનું જ ફળ છે ને ? તારકાસુરના ત્રણ પુત્રોએ રચેલાં
નગરોના નાશ માટે પૃથ્વીરૂપી રથ, બ્રહ્મારૂપી સારથિ, મેરુનું ધનુષ્ય, સૂર્ય અને ચંદ્ર રથનાં બે ચક્રો અને
વિષ્ણુને બાણ બનાવી ત્રિપુરદહન કર્યું. (શ્લોક-૧૮) શિવપૂજા વખતે વિષ્ણુએ એક હજાર
કમળોમાં એક ઓછું થતાં નેત્રરૂપી કમળ ભેટ ધર્યું. આ ઉત્કટ ભક્તિથી પ્રસન્ન થઈ શિવે
વિષ્ણુને સુદર્શનચક્ર ભેટ આપ્યું. જે ત્રણેય ભુવનની રક્ષા માટે અત્યંત જરૂરી છે. (શ્લોક-૧૯)
શિવના વિરાટ સ્વરૂપનું વર્ણન કરતાં કવિ
કહે છે કે શિવના લિંગસ્વરૂપને પામવા હરિ અને બ્રહ્મા આકાશ-પાતાળ ફરી વળ્યા, પરંતુ પાર પામી શક્યા નહિ. શિવની સ્તુતિ કરી તો શિવ સ્વયં પ્રગટ થયા.
(શ્લોક-૧૦) પોતાનાં અમોઘ બાણો દ્વારા કામદેવના ગર્વને ક્ષણમાં જ તણખલાની જેમ
ભસ્મીભૂત કરી નાખ્યો. સાચે જ, શિવલીલા અદ્ભુત છે. (શ્લોક-૧૫,
૨૩) શિવે રાવણના તપથી પ્રસન્ન થઈ ત્રિલોકનું રાજ્ય આપ્યું, તેણે વીસ હાથથી કૈલાસને ડગાવવાનો પેંતરો કર્યો. શિવે પત્નીના ભયને દૂર
કરવા અંગુઠાના ટેરવાથી સ્હેજ દબાણ કર્યું. રાવણ પાતાળમાં દબાઈ ગયો. અંતે શિવકૃપાથી
બચ્યો. આવી કૃપાના મહિમાને કોણ વર્ણવી શકે? (શ્ર્લોક ૧૨)
શિવ કરૂણાનિધિ હોવા છતાં રૌદ્ર રૂપ ધારણ
કરે છે, અધર્મનો નાશ કરવા તૈયાર રહે છે. પિતા બ્રહ્મા દ્વારા
ભ્રષ્ટ થવાની બીકે સ્વપુત્રી સંધ્યા મૃગી બની નાસતી હતી, તો
બ્રહ્મા રોહિતમૃગનું રૂપ ધરી પાછળ પડ્યા. કારણ કે ‘કામાતુરાણાં
ન ભયં ન લજ્જા' પરંતુ શિવે પિનાકપાણિ બાણ છોડી દીધું.
(શ્લોક-૨૨) પોતાના સસરા દક્ષપ્રજાપતિના યજ્ઞનો ધ્વંસ કરતાં અચકાયા નહોતા. (શ્લોક-૨૧)
શિવનો વાસ સ્મશાનમાં, ભૂતો-પિશાચો તેમના નોકરો, ચિતાની ભસ્મ શરીરે ચોપડે, ખોપરીઓની માળા ધારણ કરે.
આટલું અમંગળ રૂપ હોવા છતાં ભક્તો માટે કલ્યાણકારી હતા. (શ્લોક-૨૪) સમુદ્રમાંથી
નીકળેલ કાલકૂટ વિષપાન કરી ‘નીલકંઠ’ કહેવાયા.
(શ્લોક-૧૪) અને પોતે ‘ભુવનમયભદંગવ્યસનિન:’ કહેવાયા. વિશ્વમાં જે કાંઈ નામરૂપ પદાર્થો છે તે બધા શિવ છે. ટૂંકમાં,
શિવનું વ્યસ્ત અને સમસ્તપણે વર્ણન કરતાં એકમાત્ર પદ ૐ છે, શિવજી જગતના અણુએ અણુમાં, દૂર છે છતાં નજીક છે,
સૂક્ષ્મ છે અને વિરાટ પણ છે, પ્રત્યક્ષ છે અને
પરોક્ષ પણ છે. આમ, શિવમહિમા ગાતાં કવિ શિવતત્વ સાથે
તાદાત્મ્ય સાથે છે.
શિવમહિમ્નઃસ્તોત્રના પ્રત્યેક પદમાં એક
ઊંચો ભાવ જણાય છે. સગુણ અને નિર્ગુણ બંને પ્રકારની ભક્તિ માર્મિક રીતે જણાય છે, તો કાલકૂટ ઝેરનો નીલ વર્ણ મહાદેવના કંઠનું આભૂષણ બન્યો તે વર્ણન
નવાઈભર્યું લાગે છે. ધરાને વીંટળાઈ જતો અને આકાશને ભરી દેતો ગંગાપ્રવાહ શિવજટામાં
બિંદુ બન્યો તે અતિશયોક્તિ ભક્તિની સૂચક જણાય છે. ત્રિપુરદહનપ્રસંગ, વામભાગે પાર્વતીને ધારણ કરવાનો પ્રસંગ, મદનદહનપ્રસંગ,
દક્ષધ્વંસ અને બ્રહ્માની મર્યાદારક્ષણનો પ્રસંગ – આ બધાં વર્ણનોમાં કવિનો ભક્તિભાવ દેખાયા વિના રહેતો નથી. શિવનાં ભવ,
હર, મૃડ, દવિષ્ઠ,
નેદિષ્ઠ, ક્ષોદિષ્ઠ, યવિષ્ઠ,
વગેરે રૂપોને વંદન કરતાં કવિહૃદય છલકાઈ જાય છે. (શ્લોક-૨૯, ૩૦)
ગંધર્વરાજ પુષ્પદંતે
શિવમહિમ્નઃસ્તોત્રમાં શિવના સગુણ સ્વરૂપ સાથે નિર્ગુણ સ્વરૂપનો મહિમા ગાયો છે, વેદાંતના સિદ્ધાંતો પણ ગૂંથી લીધા છે. વિદ્વાનોએ અદ્વૈત સિદ્ધાંત ઉપરાંત
અન્ય દાર્શનિક મતોનું ખંડન કર્યું છે. જેમકે શિવ પરમ તત્વ છે, પરબ્રહ્મ છે તેથી ઉપનિષદો ‘નેતિ નેતિ’ કહી વર્ણવે છે તો ‘તિસૃષુ ગુણભિન્નસુ તનુષુ’ 'માં સત્વ, રજસ અને તમસ ત્રણ ગુણો વગેરે વર્ણનમાં
સાંખ્ય, દર્શન અને ભગવદગીતામાં પ્રતિપાદિત ત્રણ ગુણો સમન્વિત
છે. ત્રયી, સાંખ્ય, યોગ, પાશુપત, વૈષ્ણવમત વગેરે વડે પ્રતિપાદિત સાધનો શિવને
મળે છે. અહીં વેદનું ‘એકં સત્ વિપ્રા: બહુધા વદન્તિ I’
અભિપ્રેત થતું જણાતું નથી. અષ્ટમૂર્તિયુક્ત શિવનું વર્ણન શિવ
સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વશક્તિમાન એવા
એક બ્રહ્મતત્વ છે એમ જણાયું છે.
આ સ્તોત્રમાં કવિ ઇષ્ટદેવની ઉપાસના કરે
છે. મમ્મટે કાવ્યપ્રકાશમાં કાવ્યના પ્રયોજનમાં ‘શિવેતરક્ષતયે’
- અશુભનો નાશ એ પ્રયોજન ગણાવ્યું છે. કવિ પોતે કરેલાં પાપો સ્વીકારે
છે અને શિવની દયાળુતા અને ફલદાતાપણું એ ઉપર શ્રદ્ધા રાખી, કરેલાં
પાપોની ક્ષમાયાચના કરે છે, તોપણ સંસ્કૃતનાં અન્ય સ્તોત્રોમાં
દેખાતો આવો યાચકભાવ અહીં જણાતો નથી. પરમેશ્વર શિવ અંતર્યામી છે, સર્વત્ર છે, સર્વજ્ઞ છે, ભક્તની
દશા જાણે છે. વિના માંગે જ તે આપે છે. એવી કવિને દૃઢ શ્રદ્ધા છે. માટે જ વરદ,
સ્મરહર, ભુવનભયભંડવ્યવસિન:, શરણદ: વગેરે સંબોધનથી નવાજે છે માટે જ છેલ્લે ઉમળકાભેર કહી દે છે કે
પ્રિયતાં મેં સદાશિવ: I
પ્ર-૭
શિવમહિમ્ન: સ્તોત્ર: - રસદર્શન
જવાબ:-કવિ
ગંધર્વરાજ પુષ્પદંતરચિત શિવમહિમ્નઃસ્તોત્ર સમગ્ર સંસ્કૃત સાહિત્યની
સ્તોત્રપરંપરામાં સર્વશ્રેષ્ઠ તથા મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ સ્તોત્રનું
શિવાલયોમાં, પ્રત્યેક બ્રાહ્મણકુટુંબમાં તથા સાહિત્યિક સંદર્ભે ખૂબ જ
મૂલ્ય છે. કહેવાય છે કે આ સ્તોત્રને એક, બે કે ત્રણવાર
કંઠસ્થ ગાનાર તથા પાઠ કરનાર મોક્ષ પ્રાપ્ત કરે છે, તેની
મુક્તિ થઈ જાય છે. એમાં ગીત, સંગીત અને કાવ્યકલાનો ત્રિવેણી
સંગમ ભક્તિસ્વરૂપે રજૂ થયો છે. એવાં કયાં ઉત્તમ ગુણો, તત્વો
તે ધરાવે છે, જેના કારણે તેનું મહત્તમ મૂલ્ય છે. તો હવે,
એ અંગે નજર કરીએ:
શિવમહિમ્નઃ સ્તોત્રનું રસદર્શન
(૧) ભક્તિનું
ગીત : શિવમહિમ્નઃસ્તોત્ર ભક્તિનો પ્રકાશ પાથરનારું સ્તોત્ર છે, ભક્તિનો રસથાળ છે. શિવભક્તો પરમ શ્રદ્ધાથી તેનો પાઠ કરે છે અને શિવાભિમુખ
બને છે. શ્રી બળદેવ ઉપાધ્યાય કહે છે તેમ, ભક્તિનું મુક્તક એ
જ સ્તોત્ર કાવ્ય છે. જ્ઞાન, કર્મ અને ભક્તિરૂપી ત્રિમાર્ગમાં
ભક્તિમાર્ગ જ ઈશ્વરને પામવા માટે સરળ માર્ગ છે.
શ્રીરામકૃષ્ણ
પરમહંસના શબ્દો છે કે, ‘ભક્તિના સાગરમાં માણસ મરે નહિ, એ તો સચ્ચિદાનંદ સાગર છે, એમાં મરણની બીક નથી. એ
અમૃતનો કુંડ છે, એમાંથી થોડું પણ અમૃત મોમાં જાય તો અમર
થવાય. તમે પોતે કૂદકો મારીને પડો અથવા પગથિયા પરથી ધીમે ધીમે ઊતરીને જરાક પીઓ કે
કોઈક તમને ધક્કો મારીને તેમાં પાડે તોપણ એ બધાયનું એક જ ફળ કે જરાક અમૃત પીવાય
એટલે અમર થવાય. મનને ઈશ્વર તરફ અભિમુખ કરી એનું ગુણકીર્તન કરવું એ જ કલિયુગમાં
ભક્તિયોગરૂપી યુગધર્મ છે.
(૨) સંગીત :
સમગ્ર
સ્તોત્રકાવ્ય શિખરિણી છંદમાં ગવાયું છે. કાવ્યનાં લક્ષણો અનુસાર છેલ્લા કેટલાક
શ્લોકોમાં જ છંદરિવર્તન થયું છે. શિખરિણી છે કર્ણપ્રિય છે, સમગ્ર કાવ્યમાં મધુર સંગીતનું વાતાવરણ પ્રસ્તુત છે. સંગીતમાં પણ એના ગાન
સાથે પખવાજ, મૃદંગ, નગારાં, હારમોનિયમ અને શિવાલયનો ઘંટારવ થયો હોય તો એક પ્રકારનું દિવ્ય, પવિત્ર વાતાવરણ ચારે બાજુઓને પવિત્ર બનાવી દે છે. જેના કારણે આપોઆપ જ ભક્ત
ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. આરાધ્ય દેવ સાથે તન્મમ બની જાય છે. આમ, આ કાવ્ય ગીત, સંગીતનો સુભગ સમન્વય સાધના
સ્તોત્રકાવ્ય છે.
(૩) રસ :
શિવમહિમ્ન:સ્તોત્ર
કાવ્યમાં વિવિધ પ્રસંગોને સ્થાન આપવામાં આવ્યું છે, તેથી
પ્રસંગાનુરૂપ વિવિધ રસો પણ એમાં રેલાયા છે, કાળ ભક્તિસભર હોઈ,
રસભાવથી પરિપૂર્ણ છે. ભક્તિકાવ્ય મુખ્યતયા શાંતરસને રજૂ કરે છે,
પણ અહીં તો એની સાથે સાથે ભિન્ન ભિન્ન પ્રસંગોના કારણે વીર, ભયાનક, અદભુત, કરુણ વગેરે
રસોને પણ સ્થાન મળ્યું છે, ભગવાન શિવની અનુપમ ભક્તિથી રાવણે પરમ
શક્તિ પ્રાપ્ત કરી. અહીં રાવણની ભુજાઓમાં યુદ્ધ કરવાની તત્પરતામાં વીરરસ નિરૂપિત
છે. તો વળી, શિવના તાંડવનૃત્યમાં રૌદ્રરસ જોવા મળે છે;
સાથે સાથે પૃથ્વી, આકાશ, સ્વર્ગ વગેરે જે અનુભૂતિ કરે છે એમાં ભયાનક રસની ભયાનકતા દર્શિત છે. શિવના
દિવ્ય તેજને ઓળખવા ઉપર બ્રહ્મા અને નીચે પાતાળમાં વિષ્ણુના ગમનમાં તથા બંનેને
શિવના શિવલિંગદર્શનની પ્રતીતિમાં અદભુત રસ રજૂ થયો છે. તદુપરાંત આકાશ સુધી
મૃગવેશધારી બ્રહ્માની પાછળ ધનુષ્યબાણ લઈને દોડતા વ્યાધરૂપ શિવના વર્ણનમાં વીરરસની
નિષ્પત્તિ થઈ છે. વીરરસવર્ણનમાં ભાષા પણ વેગવંતી છે. અંતમાં ભક્તિરૂપી સમુદ્રમાંથી
બહાર આવી સ્વર્ગીય આનંદની પ્રાપ્તિ થતાં હર્ષિત થયેલા ભક્તજનના વર્ણનમાં શાંતરસ પ્રસ્તુત
છે. આમ, સમગ્ર કાવ્ય વિવિધ રસોથી વ્યાપ્ત છે.
(૪) શૈલી :
શીલે ભવા શૈલી I કવિને માટે કાવ્યની શૈલી કવિતાના આત્મા સમાન છે. કારણ કે કવિના વિચારો
યોગ્ય શબ્દોના માધ્યમ દ્વારા પ્રગટ થાય છે. કવિના શીલમાંથી જે શબ્દધારા વહે છે તે
જ શૈલી છે. શિવમહિમ્ન:સ્તોત્રમાં વૈદર્ભી તથા ગૌડી શૈલી જોવા મળે છે. સ્તોત્રના
કેટલાક શ્લોકો સાદી, સરળ, મધુર,
ઓજપૂર્ણ ભાષામાં અભિવ્યક્ત છે, જે વાંચતાં જ
સમજાઈ જાય છે. તેમાં માધુર્ય, પ્રસાદ ગુણ જોવા મળે છે. આ
વૈદર્ભી શૈલીનું લક્ષણ છે. જ્યારે ક્યાંક ક્યાંક અટપટા, બોલવામાં
તકલીફ પડે એવા અર્થગાંભીર્ય શબ્દોની પણ પ્રચુરતા જણાય છે. એટલે કે ગૌડી શૈલીનું
લક્ષણ છે. જોડાક્ષરો તથા સંધિસમાસ તેમાં ભળે છે. જેમકે, વૈદર્ભી
શૈલી –ત્વમર્કસ્ત્વં સોમ..।, ગૌડી શૈલી – પરોધ્રોવ્યાધ્રોવ્યે...
ગૌડી શૈલીમાં
સાંખ્ય, ન્યાય, વૈશેષિક, વેદાંત એવાં અનેક શાસ્ત્રોના મતો અર્થાત્ ગાગરમાં સાગર ભરી દેવાની વાત
કવિના શ્લોક્વર્ણનમાં દેખાય છે.
(૫)
પ્રાસાદિકતા, શબ્દોનું માધુર્ય :
કાવ્યમાં પ્રસ્તુત સાદા-સરળ શબ્દો પ્રાસાદિકતા
દર્શાવે છે. જેમકે, મમ ત્વેતાં વાણીં ગુણકથનપુણ્યેન ભવત:। મધુર શબ્દો દ્વારા ભાષાનું પ્રભુત્વ, સૌંદર્ય વિશેષ ખીલી ઊઠે છે – મધુસ્ફીતા વાચ: પરમમૃતં નિર્ભિતવત: વગેરે.
પુષ્પદંતે
પોતાની નિર્મળ, મધુર વાણી દ્વારા શિવસ્તવન કરી ગેયતા, સંગીતમયતા પ્રસ્તુત કરી છે. એક ગંધર્વરાજ તરીકેનું તેનું ઉચ્ચ પદ તેની કર્ણપ્રિય
વાણીમાં પણ પ્રસ્તુત થાય છે. આમ, શિવમહિમ્નઃસ્તોત્ર
સ્તોત્રકાવ્ય-સાહિત્યનું અમૂલ્ય રત્ન છે.
પ્ર.-૮
સસંદર્ભ સમજાવો
જવાબ:-
(૧) ન હિ
સ્વાત્મારામં વિષયમૃગતૃષ્ણા ભ્રમયતિ ।
ખરેખર, પોતાના આત્મામાં જ રમણ કરનારાને વિષયોરૂપી મૃગતૃષ્ણા ભમાવી શકતી નથી.
શિવમહિમ્નઃસ્તોત્રના
આઠમા શ્લોકમાંથી આ વિધાન લેવામાં આવ્યું છે. આ શ્લોકમાં શિવને ‘વરદ’ કહ્યા છે. વર એટલે ઇષ્ટ વસ્તુ, દરેકે દરેક વ્યક્તિની ઇચ્છા પૂર્ણ કરનાર હે વરદ ! આપ તો દરિદ્ર જણાઓ છો.
ઘરડો બળદ એ આપનું વાહન છે. હાથમાં ખટવાંગરૂપી દંડ છે. (લાકડાની ઘોડી) પરશુરૂપી
શસ્ત્ર રાખો છો, મૃગચર્મને ધારણ કરો છો, ચિતાની ભસ્મનું આપ શરીરે લેપન કરો છો, સર્પના
અલંકારો ધારણ કરો છો અને સ્મશાનમાં આપનો વાસ હોવાથી ત્યાંથી મળી આવતી ખોપરીઓની
માળાથી આપના કંઠને શોભાવો છો. આ બધી આપની ઘરવખરી છે, સાધનસામગ્રી
છે. આ વર્ણન દર્શાવે છે કે શિવ તદ્દન દરિદ્ર છે અને દરિદ્રતા પણ સાધકનો ગુણ છે.
ઘરમાં સુખસગવડનાં સાધનો જેમ જેમ વધારે તેમ તેમ તેનો ઉપભોગ વધુ થાય. પછી મનમાં તે
ઘર કરી જાય અને છેવટે તેના ગુલામ બનાવી દે.
પુષ્પદંત
કહેવા માગે છે કે શિવ દરિદ્ર હોવા છતાં દેવતાઓ અને દાનવો સુખ કે સમૃદ્ધિ માગવા તેમની
પાસે જાય છે, પણ ભગવાન વૈભવ ધારણ કરતા નથી, કારણ
કે તે ‘સ્વાત્મારામ’ સ્વ + આત્મા +
આરામમ્ એટલે કે પોતાના આત્મામાં જ સંતુષ્ટ અને આનંદ માણનાર છે. ખરેખર, વિષયરૂપી મૃગજળની તૃષ્ણા શિવમાં ક્યારેય ભ્રમ જન્માવી શકે નહિ.
મનુષ્યમાત્રને મૃગજળમાં ભ્રમ ઉત્પન્ન થવો જોઈએ નહિ એમ કહી કવિ મનુષ્યોને પોતાના
આત્મામાં જ સંતુષ્ટ રહેવા અને એમાં જ આનંદ માણવા જણાવે છે. સદાય મસ્તરામ રહેવા
પ્રયત્ન કરવો જોઈએ. કોઈ હિન્દી કવિએ કહ્યું છે કે, પૂરા હૈ વહી
મર્દ, જો હર હાલ મેં ખુશ હૈ I
(૨) નનુ ધૃષ્ટા મુખરતા ભવતિ।
ખરેખર, વાચાળતા નિર્લજ્જ હોય છે,
શિવમહિમ્નઃસ્તોત્ર'ના નવમા શ્લોકમાંથી આ વિધાન લેવામાં આવ્યું છે. કવિ કહે છે કે ખરેખર,
વાચાળતા નિર્લજ્જ હોય છે. લોકો આપની જે સ્તુતિ જે પ્રમાણે કરી રહ્યા
છે તે જોઈ હું તો બાઘો જ બની ગયો છું. હવે મને ખબર પડી કે જે કાંઈ કરીએ, જે પ્રકારે કરીએ તેનાથી ભગવાન તો ખુશ જ થાય છે, એ
શિવની જ સ્તુતિ છે.
દરેક મનુષ્ય વિવિધ રીતે વિચારે છે – ઈશ્વર છે, ઈશ્વર નથી. ઈશ્વર ઉપર આકાશમાં છે, ઈશ્વર ન્યાયી છે, એ અન્યાયી છે, એ સૌમ્ય છે, એ રૌદ્ર છે વગેરે. દરેક મનુષ્યનું
પ્રત્યેક કાર્ય ઈશ્વરની સ્તુતિરૂપ જ હોય છે. આમ, લોકો આપનો
પાર પામી શકતાં નથી. છતાંય તેઓ અટકતાં નથી. લોકો સર્પને જોઈ કૂદાકૂદ કરતાં હોય છે,
તો જેણે દોરડું જોયું છે તે ક્યાં ચૂપ રહેવાનાં હતાં? તે તો કહી જ દેવાના કે ભાઈ! આ તો દોરડું છે દોરડું. એવી જ રીતે મારી વાણી
વાચાળ થઈને બોલી ઊઠે તો તે વાણી ધૃષ્ટ નથી ‘નનુ મુખરતા ખલુ ન
ધૃપ્ટા’ અથવા તો મારા પ્રેમના વેગમાં આપની સ્તુતિ કરતાં મને
લજ્જા આવતી નથી. આ બધાના મતમતાંતર અને વાદવિવાદ સાંભળીને તો હું આશ્ચર્યચકિત થઈ
ગયો છું, ભાન ભૂલી ગયો છું. માટે જ હું પોકારી પોકારી કહું
છું કે મારી વાચાળતા ધૃષ્ટ નથી. આપની વિભૂતિ જ એટલી મહાન છે કે તે જ મારી વાણીને
આપની સ્તુતિ કરવા પ્રેરે છે.
(૩) ન કસ્ય
ઉન્નત્યૈ ભવતિ શિરસસ્ત્વય્યવનતિ:।
તમારા
ચરણકમળને કરેલા નમસ્કારથી કઈ ઉન્નતિ મળતી નથી ?
'શિવમહિમ્નઃસ્તોત્ર' ના તેરમા શ્લોકમાં કવિ કહે છે કે આપને જે મસ્તક નમાવે તેનું કલ્યાણ,
તેની ઉન્નતિ અવશ્ય થાય છે. ઉપરના શ્લોકના અનુસંધાનમાં જ જાણે કે આ
પંક્તિ છે ! રાવણે પતનને પામી, મસ્તક નમાવ્યું તો આપે કૃપા
કરી. આમ, આપની સામે ‘નમે તે સૌને ગમે'નો ન્યાય હાજર જ હોય તેમ જણાય છે.
આ
શ્લોકમાં કવિ પુરાણકથાના બિલરાજના પુત્ર બાણાસુરની કથા વર્ણવે છે. બાણાસુર શિવનો
પરમ ભક્ત હતો. બદલામાં શિવે ઇન્દ્ર કરતાં પણ વધુ સારી સમૃદ્ધિ તેને બક્ષી હતી. આ
બાણાસુરને ઓખા (ઉષા) નામની પુત્રી હતી. તેને લીધે જ એને લડાઈઓ લડવી પડતી. એકવાર ઓખાને
સ્વપ્નમાં સુંદર પુરુષ એવો અનિરુદ્ધ દેખાયો. બાણાસુર અનિરુદ્ધને નાગપાશથી બાંધી
લાવ્યો. નારદ દ્વારા કૃષ્ણને આ ખબર પડી એટલે કૃષ્ણે લડાઈ કરી, બાણાસુરના એક પછી એક કરી હજાર હાથ કાપવા માંડ્યા. શિવની વિનંતીથી ચાર હાથ
કૃષ્ણે રહેવા દીધા. બાણાસુરનો જીવ શિવે બચાવ્યો, કારણ કે
તેને નરસિંહ અવતાર વખતે ભગવાને પ્રહલાદને વચન આપેલું કે ‘હું
તારા કુળનો નાશ નહિ કરું.’ તેથી બાણાસુરને મરવા દીધો નહિ.
અંતે શિવની મંજૂરીથી ઓખા-અનિરુદ્ધનું દ્વારકા મોકલી લગ્ન કરાવ્યું, જેના આધારે ‘ઓખાહરણ’ની રચના
થઈ. માટે પુષ્પદંતે કહ્યું કે, હે ભગવાન ! તમારા ચરણોમાં
વિનમ્ર ભાવે, શ્રદ્ધાથી નમન કરનારને શું મળતું નથી ? એની કઈ ઉન્નતિ થતી નથી ? બાણાસુરના ઉદાહરણથી ફલિત
થાય છે કે ચાહે દેવ હો યા દાનવ; શિવની દ્રષ્ટિમાં કોઈ ભેદભાવ
કે પક્ષપાત નથી. ટૂંકમાં, આપને નમન કરવાથી કોઈની પણ ઉન્નતિ
થાય જ છે. ભગવાનની કૃપાથી ઇચ્છિત વસ્તુ પણ મળે છે. દેશની સેવા એ દેવની જ સેવા છે.
લોકો તરફનો આપણો પ્રેમ એ પરમાત્મા તરફનો પ્રેમ છે એમ સમજી નમ્રતાપૂર્વક, વિનયપૂર્વક આપણું કર્તવ્ય કરતા રહીએ.
(૪) નનુ
વિભુતા વામા ઈવ ભવતિ ।
ખરેખર! વિભુતા (પ્રભુપણું) પ્રતિકૂળ હોય
છે; વિલક્ષણ
જ હોય છે.
શિવમહિમ્ન:સ્તોત્રના
સોળમા શ્લોકમાં ‘નનુ વામૈવ વિભુક્તા’ કહીને કવિ જણાવે છે કે વિભુતા હંમેશાં પ્રતિકૂળ જ હોય છે.
ભગવાન શિવે
કરેલા તાંડવ નૃત્યની કથાનો અણસાર કવિ આપે છે. ભગવાનની
વિભુતા વિલક્ષણ છે. શિવ જ્યારે તાંડવ નૃત્ય કરે છે ત્યારે સમગ્ર બ્રહ્માંડ
એવું તો ખળભળી ઊઠે છે કે જાણે હમણાં જ તેનો વિનાશ થઈ જશે ! જોકે શિવ તો 'જગદ્રક્ષાયૈ' જગતનું રક્ષણ
કરવા માટે તાંડવ નૃત્ય કરે છે. વાસ્તવમાં તાંડવ નૃત્ય એ શિવની વિભુતા છે.
શ્રીકૃષ્ણને
નટવર કે નટખટ કહેવાય છે, જ્યારે શિવ ‘નટરાજ' છે. આમ, તો બંને ખેલાડી છે. શિવ નટ છે, પણ આ ખેલાડી
સ્વાર્થી નથી. એ જાતજાતના ખેલ ખેલી કોઈને હસાવે છે તો કોઈને રડાવે છે, પણ છેવટે તો
એમાં જગતકલ્યાણની જ ભાવના હોય છે. પુરાણો વર્ણન કરે છે કે કોઈ રાક્ષસે બ્રહ્માની
તપસ્યા કરી. બ્રહ્માએ વરદાન માંગવા કહ્યું તો રાક્ષસે માંગ્યું કે ‘હું સર્વનો
નાશ કરી શકું' એવું
વરદાન આપો. એમણે રાક્ષસને સંધ્યાકાળે બોલાવ્યો અને બ્રહ્મા શિવ પાસે ગયા અને રાક્ષસની
વાત કરી. શિવજી રાક્ષસ પાસે પહોંચી ગયા અને તાંડવ નૃત્ય શરૂ કર્યું. આ નૃત્ય જોતાં
જોતાં રાક્ષસ વરદાન માંગવાનો સમય ચૂકી ગયો, ભૂલી જ ગયો અને બ્રહ્મા પાસેથી વરદાન માંગ્યા વિના જ
પાછા આવવું પડ્યું. માટે જ કહ્યું કે “જગત્ રક્ષાયૈ ત્વં નટસિ।”
શિવના
તાંડવ નૃત્યનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. ‘પાદાઘાતાત્ મહી સહસા સંશયપદં વ્રજતિ’ શિવના પગના
પ્રહારથી પૃથ્વી ક્યાંક એકદમ ફાટી ન જાય એવા સંશયમાં પડી જાય છે, તો તાંડવ
નૃત્ય વખતે એમની ભુજાઓ પરિઘાકારે ઘૂમે છે. એ ભ્રમણથી આકાશમાં લટકી રહેલા
નક્ષત્રસમૂહો વ્યથિત બની જાય છે. એમની જટાના વિખરાવાથી સ્વર્ગલોક ખરાબ દશાને પામે
છે, વારંવાર
ડોલી જાય છે. આમ, ત્રણેય લોક ડોલાયમાન બની જાય છે. આમ, ભગવાન જગતના
રક્ષણાર્થે નૃત્ય કરે, પણ ઘડીભર તો આપણને એમ લાગે કે હમણાં જ જગતનો સંહાર થઈ
જશે, પણ
ગભરાવું નહિ. આ શિવની વિભુતા છે અને તેમની વિભુતા વિલક્ષણ છે. પોતાના બાળકોને આનંદ
આપવા જ આ વિભૂતિએ-શક્તિએ જુદાં જુદાં રૂપો લઈને નૃત્યો કર્યાં છે. ખરેખર ! ભગવાન !
વામા એવ વિભૂતા આપની વિભૂતિ વક્ર જ છે.
(૧૦) હે વરદ !
યુવતય: બત મુગ્ધા: I
હે વરદ, સ્ત્રીઓ ખરેખર
મુગ્ધ હોય છે.
‘શિવમહિમ્ન:સ્તોત્ર' ના ત્રેવીસમા શ્લોકમાંથી આ વિધાન
લેવામાં આવ્યું છે. આખી પંક્તિ આમ છે ‘દૈવતિ ત્વામદ્ધા બત
વરદ મુગ્ધા: યુવતય:' કવિ કહેવા માંગે છે કે, હે શિવ ! હે વરદ ! યુવતીઓ સ્વભાવથી જ અણસમજુ હોય છે, મુગ્ધ હોય છે.
શિવજી
યમનિરત છે એટલે કે યમનિયમાદિ પાળનારા છે, યોગીશ્વર છે. ઉપરાંત 'પુરમથન' એટલે ત્રિપુરારિ છે, ત્રણ
નગરોનો નાશ કરવા સમર્થ છે. એમની સામે કામદેવ ત્યાં સુધી ટકી શકે? કામદેવે વિચાર્યું કે પાર્વતી તો લાવણ્યવતી છે અને હું મારાં અન્ય હથિયારો
લઈને શિવજીને ચલાયમાન કરીશ. પાર્વતી તો ‘સ્વલાવણયાશંસા’
પોતાના લાવણ્યની પ્રશંસા કરનારી હતી. આમ છતાં શિવસમાધિમાં વિક્ષેપ
પડતાં ક્રોધિત થઈને શિવ નેત્રો ખોલ્યાં અને કામદેવ પર નજર પડતાં ત્રીજું નેત્ર
ખોલી તેને બાળીને ભસ્મીભૂત કરી નાંખ્યો અને લાવણ્યવતી પાર્વતીને કશું જ થયું નહિ.
શિવજી પાછા સમાધિમાં ધ્યાનરત થયા. પાર્વતીની શિવને મેળવવાની ઇચ્છા અપૂર્ણ રહેતાં
એણે ઉગ્ર તપશ્ચર્યા આદરી, છેવટે પોતે દીનવત્સલ હોવાથી શિવે
પાર્વતીને સ્વીકાર્યાં અને પોતાના વામાંગમાં તેમને સ્થાપિત કર્યાં. તેથી શિવજીને
અર્ધનારીશ્વર કહેવામાં આવે છે. અર્ધનારીશ્વર રૂપે તેઓ સગુણ સાકાર થયા છે.
સર્વોત્કૃષ્ટ સ્થાન મળતાં પાર્વતીને પોતાના વિશે અભિમાન થયું કે મારા
સૌંદર્ય(લાવણ્ય)થી મુગ્ધ થઈ શિવે મને સ્વીકારી છે. માટે તે સ્ત્રેણ છે. ‘યદિ દૈવી દેહાર્ધઘટનાત્ ત્વાં સ્ત્રૈણમ્ અવૈતિ’ જો
પાર્વતી, પોતાને વામાંગી બનાવવાથી આપને સ્ત્રૈણ(સ્ત્રીવશ)
સમજતાં હોય તો ‘શ્રદ્ધા વરદ બત મુગ્ધા: યુવતય:’ હે વરદ ! અહો ! યુવતીઓ તત્વવિવેકવિહીન જ હોય છે. કવિ મુગ્ધત્વને યુવતીના
સદગુણ તરીકે વર્ણવે છે, પણ વાસ્તવમાં મુગ્ધ એટલે મૂઢ માત્ર
સ્ત્રીઓ નહિ, અવિવેકી બધા જ મૂઢ છે.
શિવજીએ તો પાર્વતીની દયા ખાઈને પોતાની
પાસે સ્વીકાર્યાં છે. યુવતીઓને પીઢ અનુભવ હોતા નથી. તેઓ નાની નાની વાતોમાં માની
જાય એવી ભોળી હોય છે. છતાં પાર્વતી એમ સમજતાં હોય કે શિવ સ્ત્રીવશ(સ્ત્રૈણ) છે, સ્ત્રીમાં આસક્ત છે, તો ખરેખર તેમની ભૂલ છે, અસમજણ છે, ભોળપણ છે. ભગવાન પરમ દયાળુ છે. એમનામાં સ્ત્રૈણત્વ
હોવાનું જણાય છે, તે માયાને લીધે છે. ‘અઘટિત
ઘટના પટિયસી માયા’ ઈશ્વરમાં
જે સ્ત્રૈણત્વની શક્યતા નથી એણે ઘટાવવાની પટુતા-ચતુરાઈ એટલે જ માયા, માટે બધે જ ઈશ્વરની કરૂણાનાં દર્શન કરવાં એનું નામ જ્ઞાન અને ઈશ્વરમાં
આસક્તિ કે રાગદ્વેષાદિ દ્વન્દ્વોનાં દર્શન કરવાં એનું નામ મૂઢતા. માટે જ અહીં કવિએ
કહ્યું કે “યુવતય: બત મુગ્ધા: ભવન્તિ I’
પ્ર-૯ શ્લોક –
ભાષાંતર અને સમજુતિ આપો.
(૨) અતીત: પન્થાનં તવ ચ મહિમા વાડંમનસયો
રતદ્વ્તાવૃત્યા
યં ચકિતમભિધત્તે શ્રુતિરપિ।
સ કસ્ય
સ્તોતવ્ય: કતિવિધગુણ: કસ્ય વિષય:
પદે
ત્વર્વાચીને પતતિ ન મન: કસ્ય ન વચ:॥
ભાષાંતર : ( હે
શિવ ) તમારો મહિમા વાણી અને મનના માર્ગનું અતિક્રમણ કરી રહેલો છે. વેદો પણ વિસ્મય
પામીને જેને અભેદભાવથી વર્ણવે છે. તે તમારા મહિમાની સ્તુતિ કોણ કરી શકે ? તે કેટલા પ્રકારના ગુણોવાળો છે? તે કોના જ્ઞાનનો
વિષય બની શકે ? તમારા સગુણ સ્વરૂપમાં કોનાં મન અને વાણી
પ્રવેશ કરતાં નથી ? (આકર્ષાતાં નથી ?)
પોતાની ભિક્તભરી કાલીઘેલી વાણી પણ પ્રભુ
સ્વીકારશે એવી શ્રદ્ધા પ્રથમ શ્લોકમાં કવિએ વ્યક્ત કરી પણ શિવ તો પરબ્રહ્મ છે, પરમ તત્વ છે, માણસનાં મન, બુદ્ધિ
માટે તે અગોચર છે. ઋષિઓએ યતો નિવર્તંતે અપ્રાપ્ય મનસા સહ કહીને પરમ તત્વને મન-વાણીથી
પર કહ્યું છે. ગીતા પણ બુદ્ધે: પરતસ્તુ સ: કહીને તેને બુદ્ધિથી પણ પર કહે છે. આવા
નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અલક્ષ્ય તત્વનું વર્ણન કરવા મંત્રદ્રષ્ટા ઋષિઓ પણ શક્તિમાન નથી. તેથી સર્વં
ખલિવ્દ બ્રહ્મ । અને તત્વમસિ જેવાં વાક્યો દ્વારા તે પરમતત્વને અભેદભાવથી
વર્ણવે છે. પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ સર્વ ગુણ-ધર્મોથી રહિત છે તેથી તેનું
વાણીથી વર્ણન કરવું શક્ય નથી. ભક્તો ઉપર અપાર કરુણા કરીને તે નિર્ગુણ ઈશ્વર
સગુણ-સાકાર બને છે. આ સગુણ ઈશ્વર પણ અનંત ગુણવાળા હોવાથી તેમની સ્તુતિ અપૂરતી જ
રહે છે. છતાં અનેક ભક્ત કવિઓએ પરમ તત્વની સ્તુતિઓ કરેલી છે. તેમના અનંત ગુણોનો પાર
કોઈ પામી શકતું નથી. તેથી કવિ ઈશ્વરસ્તવન કરવાની પોતાની અસમર્થતાનો નિખાલસ ભાવે
સ્વીકાર કરે છે. છતાં ભગવાન પ્રત્યે ભક્તની ભક્તિ, તેનો અહોભાવ,
તેના મનમાં ઈશ્વર પ્રત્યેનું આકર્ષણ જન્માવે છે. તેની વાણી સ્વતઃ
સ્તુતિ કરવા લાગે છે. પ્રભુના ગુણોનું સંકીર્તન કરવું એ ભક્તનો સ્વભાવ છે. તેને
શ્રદ્ધા છે કે કરુણાસાગર ભગવાન તેની સ્તુતિનો અવશ્ય સ્વીકાર કરશે. શિવનું સગુણ
સ્વરૂપ ભક્તને એટલું પ્રિય છે કે તે સ્તુતિ કર્યા સિવાય રહી શકતો નથી. ત્રીજી
પંક્તિમાં જ વર્ણના પ્રયોગ દ્વારા વર્ણાનુપ્રાસ અલંકાર થાય છે.
(૪)
તવૈસ્જ્વર્યં યત્તજ્જગદુયરક્ષાપ્રલયકૃત્
ત્રયીવસ્તુ
વ્યસ્તં તિસૃષૃ ગુણભિન્નાસુ તનુષુ ।
અભવ્યાનામસ્મિન્વરદ !
રમણીયામરમણી
વિહન્તું વ્યાક્રોશી
વિદધત ઇહઈકે જડધિય: ॥
ભાષાંતર : હૈ
વરદાન આપનાર મહાદેવ | જગતની ઉત્પત્તિ, સ્થિતિ
અને વિનાશ કરનાર, ત્રણેય વેદોએ યથાર્થ રીતે પ્રતિપાદિત કરેલ
અને સત્વ, રજસ અને તમસ એ ગુર્ણાથી ભિન્ન એવાં ત્રણ શરીરોમાં
વહેંચાયેલું જે તમારું ઐશ્વર્ય છે, તેનું ખંડન કરવા આ જગતમાં
કેટલાક જડ બુદ્ધિવાળા લોકો અસુંદર હોવા છતાં પણ ક્ષુદ્ર બુદ્ધિવાળાઓને સુંદર લાગતી
નિંદાથી ભરેલી વાણી બોલે છે.
અહીં શિવના પરમ ઐશ્વર્યનું વર્ણન છે. સૃષ્ટિની
ઉત્પત્તિ પહેલાં પરબ્રહ્મ સ્વરૂપ શિવનું એક માત્ર અસ્તિત્વ હતું. પરમાત્મા શિવની
શક્તિ જ સૃષ્ટિનું સર્જન, પાલન અને વિસર્જન કરે છે. શિવના આ
અર્થનું વર્ણન વેદત્રયીમાં થયેલું છે. વેદોમાં વર્ણવાયેલા વિવિધ દેવો શિવનાં જ
વિવિધ સ્વરૂપો છે. પરમ તત્વ શિવ સૃષ્ટિનું સર્જન કરે છે ત્યારે તે રજોગુણપ્રધાન
બ્રહ્મા કહેવાય છે. તે સૃષ્ટિનું નિર્માણ કરે છે. શિવનું સત્વગુણપ્રધાનરૂપ વિષ્ણુ
કહેવાય છે. તે સૃષ્ટિનું પાલન કરે છે. અને તેમનું તમોગુણપ્રધાન સ્વરૂપ રુદ્ર
કહેવાય છે. તે સૃષ્ટિનો વિનાશ કરે છે. શિવનું ઐશ્વર્ય આ ત્રણ ગુણો દ્વારા ત્રણ
ભિન્ન ભિન્ન સ્વરૂપોમાં વહેંચાયેલું છે. શિવનાં ઉત્પત્તિ, સ્થિતિ
અને લય કરનારાં આ ત્રણ રૂપો ભિન્ન દેખાય છે. છતાં તે એક જ છે. પરમતત્વ, પરબ્રહ્મ સ્વરૂપ શિવના આ ઐશ્વર્યને અલ્પ બુદ્ધિવાળા પામર જનો સમજી શકતા
નથી. તેથી તે શિવની નિંદા કરે છે. તેવા મૂર્ખ લોકોની શિવના ઐશ્વર્યને ખોટું કહેતી
વાણી આમ તો અસુંદર હોય છે પણ તેમના જેવા પામર જનોને તે સુંદર લાગે છે. સંકુચિત
સાંપ્રદાયિક દ્રષ્ટિવાળા લોકો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની
એકતાને સમજી શકતા નથી. તેથી તે પોતાના ઇષ્ટદેવ સિવાયના બીજા દેવની નિંદા કરીને
ગૌરવ લે છે. પણ પુષ્પદંત અદ્વૈતવાદી છે. તેથી વિવિધ દેવોની પાછળ એક જ પરમ દેવ,
પરમ સત્તા રહેલી છે એવું માને છે. આ પરમદેવને શૈવધર્મી શિવ કહે,
વૈષ્ણવ તેને વિષ્ણુ કહે અને નિર્ગુણ ભક્ત તેને પરબ્રહ્મ કહે તેનાથી
તે પરમ તત્વમાં કોઈ ફરક પડતો નથી. અહીં કવિ એકદેવવાદનું સમર્થન કરે છે.
(૫) કિમીહ: સ
ખલુ કિમુપાયસ્ત્રિભુવનં
હિમાધારો ધાતા
સંજતિ કિમુપાદાન ઇતિ ચ ।
અતચૈશ્વર્યે
ત્વક્ચનવસરદ:સ્થો હતધિય:
કુતર્કોડયં
કાંશ્ચિન્મુખરયતિ મોહાય જગત: ।।
ભાષાંતર: તે બ્રહ્મા ખરેખર કઈ ઇચ્છાને લીધે, ક્યા શરીરમાં રહીને, ક્યા શરીરમાં રહીને, ક્યા ઉપાયથી, ક્યા આધારે રહીને કયા ઉપાદાન કારણમાંથી ત્રણે લોકનું
સર્જન કરે છે ? આ પ્રકારનો કુતર્ક, જેના વિષે તર્ક ન થઈ શકે (અતકર્ત) એવા પ્રભાવવાળા તમારા
વિષે અવકાશ વિનાનો અને સ્થિર રહી ન શકે તેવો છે, છતાં પણ કેટલાક
મંદબુદ્ધિવાળા લોકોને જગત વિશે મોહ થાય એ
રીતે વાચાળ બનાવે છે.
અહીં તર્કથી પર એવા શિવના ઐશ્વર્યનું વર્ણન છે.
પરમેશ્વર તો બુદ્ધિથી પણ પર છે. તેથી તર્ક દ્વારા પરમેશ્વરના ઐશ્વર્યને સમજી ન
શકાય. માયાથી ભ્રમિત થયેલા કહેવાતા બુદ્ધિમાન માણસોને જગત અને તેના ભોગોનું જબરું
આકર્ષણ હોય છે. તેવા દુષ્ટબુદ્ધિ લોકોને ઇન્દ્રિયો દ્વારા અનુભવાતું જગત સત્ય લાગે
છે અને ઇન્દ્રિયાતીત પરમેશ્વર અસત્ય લાગે છે. તે ઇશ્વરના પરમ ઐશ્વર્યને સમજવા
પોતાની બુદ્ધિ પ્રમાણે તર્ક કરે છે. વિષાતા કઈ ઇચ્છાને લીધે જગતનું સર્જન કરે છે ? (તેવા
લોકો હંમેશા ફળની આશાથી જ કર્મ કરે છે. તેથી ઈશ્વરના નિષ્કામ ભાવને તે કલ્પી પણ
શકતા નથી.) કયા શરીરમાં રહીને ઈશ્વર જગતનું સર્જન કરે છે ? તે ક્યા
ઉપાયોથી જગત સર્જે છે ? કોના આધારે તે સૃષ્ટિની રચના કરે છે ? ક્યા ઉપાદાન
કારણથી તે જગતનું નિર્માણ કરે છે ? આ બધા પ્રશ્નોનું તર્ક દ્વારા સમાધાન શક્ય નથી. તેથી આવા
લોકો વાચાળ બનીને જગત પ્રત્યે મોહ જન્મે તેવી વાતો કરે છે. પણ કવિ માને છે કે આ
બધા કુતર્ક છે. તર્ક દ્વારા આત્માનુભૂતિ ન થાય. માણસની બુદ્ધિ અને જ્ઞાન સીમિત છે.
તેથી ઈશ્વરની લીલાના રહસ્યને તે તર્ક કે બુદ્ધિ દ્વારા સમજી ન શકે. વેદાંત કહે છે
કે ઈશ્વર જ જગતનું ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ છે. પણ સામાન્ય માણસના ગળે આ વાત
ન ઉતરે. કારણ કે માટી ઘડાનું ઉપાદાન કારણ છે અને કુંભાર નિમિત્ત કારણ છે. એક જ
ઈશ્વર જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ કઈ રીતે બની શકે ? માટી વગેરે
સિવાય એકલો કુંભાર ઘડો બનાવી શકે નહીં તેમ ઈશ્વર કે બ્રહ્મ એકલું જગતનું સર્જન કરી
ન શકે. તેથી વેદાંતનો સિદ્ધાંત ખોટો સાબિત થાય. તેના જવાબમાં કહી શકાય કે જેમ
કરોળિયો પોતાના શરીરમાંથી તંતુ કાઢીને જાળ બનાવે છે અને પાછી સંકેલી લે છે, તેમ ઈશ્વર
કોઈની મદદ વિના જગતને સર્જે છે અને સંકેલી પણ લે છે. જેમ પૃથ્વીમાંથી બધી વનસ્પતિ
અભિન્ન રીતે ઉત્પન્ન થાય છે તેમ બ્રહ્મમાંથી જગત અભિન્ન રીતે ઉત્પન્ન થાય છે. જેમ
સજીવ પુરુષમાંથી તેના સ્વરૂપથી વિલક્ષણ એવા કેશ અને રોમાવલિ ઉત્પન્ન થાય છે તેમ
અક્ષર બ્રહ્મમાંથી કોઈ નિમિત્ત વિના જાત ઉત્પન્ન થાય છે. પરમ તત્વ તર્કથી પર છે.
તેથી તેના જ્ઞાન માટે શ્રુતિએ પ્રબોધેલા જ્ઞાનને તર્ક કર્યા સિવાય શ્રદ્ધાથી
સ્વીકારી લઈએ તો જ આત્મજ્ઞાન થાય. તેથી બ્રહ્માની બાબતમાં તર્કનો કોઈ અવકાશ નથી.
આવા તર્ક ટકી શકતા નથી તેથી શ્રૃતિવિરુદ્ધ તર્ક ત્યાજય છે અને મોક્ષપ્રાપ્તિમાં
બાધક છે એમ કવિ સિદ્ધ કરે છે. અહીં વેદાંતાનુસારી બ્રહ્મતત્વનું જ્ઞાન પ્રસ્તુત
થયું છે. છેલ્લી પંક્તિમાં ક વર્ણનો અનુપ્રાસ પ્રયોજાયો છે.
(૮) મહોક્ષ:
ખટ્વાડ્ગં પરશુરજિનં ભસ્મ ફણિન:
કપાલં
ચૈતીયત્ત્વ વરદ તંત્રોપકરણમ્ ।
સુરાસ્તાં તામૃદ્ધિં
દધતિ તુ ભવદભ્રપ્રણિહિતાં
ન હિ સ્વાત્મારામં
વિષયમૃગતૃષ્ણા ભ્રમયતિ ॥
ભાષાંતર: હે ઇષ્ટ
વરદાન આપનાર મહાદેવ ! મોટો નંદી, ખટ્વાંગ, ફરશી,
મૃગચર્મ, ભસ્મ, સર્પો
અને ખોપરી—આટલું જ તમારું ઘર ચલાવવા માટેનું સાધન છે. છતાં
દેવો તો આપની ભ્રુકુટિના ઈશારાથી અપાયેલી તે તે પ્રકારની સમૃદ્ધિને ધારણ કરે છે.
ખરેખર ! પોતાના આત્મામાં જ આનંદ માણનારાને વિષયોરૂપી મૃગતૃષ્ણા ભમાવી શકતી નથી.
આ
શ્લોકમાં કવિ શિવના અતિપ્રસિદ્ધ સ્વરૂપ વર્ણન કરીને તેમના નિજાનંદી અવધૂત રૂપનો
મહિમા ગાય છે. બાહ્ય દ્રષ્ટિએ તો શિવ સાવ દરિદ્ર લાગે છે. મોટો નંદી, ખટ્વાંગ, પરશુ, મૃગચર્મ,
ભસ્મ, સર્પો અને ખોપરી-આટલાં જ સાધનો શિવ પાસે
છે. આવા દરિદ્ર લાગતા શિવે બધા દેવોને અઢળક સંપત્તિ આપી છે. ઇન્દ્રાદિ દેવોનું
અમાપ ઐશ્ચર્ય શિવની સેવાનું જ ફળ છે. શિવ અનંત ઐશ્ચર્યવાળા દેવાધિદેવ છે. છતાં
દરિદ્રની જેમ કેમ રહે છે ? કારણ એ છે કે તે આત્માનંદી છે.
નિજાનંદની મસ્તીમાં લીન રહે છે. સામાન્ય લોકો વિષય-વૈભવમાં સુખ માને છે. પણ શિવ તો
મહાજ્ઞાની, મહાયોગી છે. સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તેથી
વિષયાનંદમાં નહી પણ બ્રહ્માનંદમાં મસ્ત રહેનારા છે. તેથી સંસારના વિષયોની તૃષ્ણા
તેમને નચાવતી નથી. રણમાં મૃગજળને જોઈને તેને પામવા દોડતા હરણને દુ:ખ અને ક્લેશ જ
મળે છે તેમ વિષયોની પાછળ દોડતા માણસને દુઃખ જ પ્રાપ્ત થાય છે. તેથી જ્ઞાની લોકો
વિષયોને વિષ જેવા માનીને વિષયેચ્છાને ખંખેરી નાંખે છે. યદચ્છાલાભસન્તુષ્ટ: થઈને
અલ્પાતિઅલ્પ સાધનો વડે પણ તે સદા પ્રસન્ન રહે છે. ભગવાન શિવને વિષયોની મૃગતૃષ્ણા
ભમાવતી નથી. તેથી પોતે દરિદ્રની જેમ રહે છે. પણ તે વરદ છે,
ભક્તોને વરદાન આપનારા છે. તેમની શક્તિ અને સંપત્તિ તેમના પોતાના માટે ન વાપરતાં
જગતના કલ્યાણ માટે જ વાપરનારા તે પરમ આત્મા છે. અહી અર્થાન્તરન્યાસ અલંકાર પ્રયોજાયો
છે.
(૧૧) અયનદાપાદય
ત્રિભુવનમવૈખ્યતિકરં
દશાસ્યો યદ
વાહૂનભૂત રણકણ્ડૂપરવશાન ।
શિર: પદ્મ
શ્રેણીરચિતચરણામ્ભોરહબલે:
સ્થિરાયાસ્ત્વદ્ધસ્ત્રિપુરહર
વિસ્ફૂર્જિતમિદમ્ ॥
ભાષાંતર: હે ત્રિપુરહર- કોઈપણ પ્રયત્ન વગર, વૈરજનિત વિરોધ
કર્યા વિના ત્રણેય ભુવનોનું આધિપત્ય પ્રાપ્ત કરીને રાવણ, યુદ્ધની ચળ
મટી નથી તેવા અનેક હાથ ધારણ કરતો હતો. તેણે પોતાનાં મસ્તકોરૂપી કમળની માળા તમારા
ચરણકમળમાં બલિદાન કરી હતી એ તમારા વિશેની દ્રઢ ભક્તિનો જ મહાન પ્રભાવ છે.
રાવણ
પરમ શિવભક્ત હતો. શિવને પ્રસન્ન કરવા તેણે અનેક વર્ષો સુધી કઠોર તપ કર્યું અને
પોતાના હાથે એક પછી એક પોતાનાં નવ મસ્તક કાપીને શિવનાં ચરણે અર્પણ કર્યાં. ત્યારે
શિવે પ્રસન્ન થઈને તેને અતુલ બળ અને પરાક્રમનું વરદાન આપ્યું. શિવની કૃપાથી તેણે
કોઈ પ્રયત્ન સિવાય અને વૈરજનિત વિરોધ કર્યાં વિના ત્રણ લોકનું આધિપત્ય મેળવ્યું.
ઇન્દ્રાદિ દેવોને જીતીને તેણે પોતાના દાસ બનાવ્યા. તેની સામે લડે તેવો એકેય સમર્થ
શત્રુ ન રહ્યો. તેથી તેના પરાક્રમી બાહુની યુદ્ધની ચળ શમી નહીં. શિવ પ્રત્યેની દ્રઢ
ભક્તિના કારણે જ શિવની કૃપાથી આ બધું પ્રાપ્ત થયું હતું. આમ શિવની ભક્તિનો પ્રભાવ
અદ્ભુત છે એવું કવિ સિદ્ધ કરે છે.
(૧૩) યહદ્ધિ સુત્રામ્ણો
વરદ પરમોચ્ચૈરપિ સતી
મધશ્ચક્રે
બાણ: પરિજમવિધેયત્રિભુવન: ।
ન તચ્ચિત્રં તસ્મિંન્
પરિવસિતરિ ત્વચ્ચરણયો
ર્ન કસ્યાપ્ન્ઉન્નત્યૈ
ભવતિ શિરસસ્ત્વચ્ચવનતિ:
ભાષાંતર : હે
વરદાન આપનાર મહાદેવ ! ત્રણેય ભવનોને જેણે સેવકની જેમ આજ્ઞાંકિત બનાવ્યાં હતાં તે
બાણાસુરે બધા કરતાં અતિ મહાન (ઉચ્ચ) ઇન્દ્રની સમૃદ્ધિને પણ નીચી કરી હતી
(તિરસ્કારી હતી). તમારા ચરણોની સેવા કરનાર તે બાણાસુર વિશે એ આશ્ચર્યજનક ન હતું, કારણ કે તમારી
આગળ મસ્તકનું નમન કોને ઉન્નતિ કરનાર નથી થતું ?
શિવની
કૃપાથી સર્વ સિદ્ધિઓ પામનાર બાણાસુરની પુરાણપ્રસિદ્ધ કથાના આધારે શિવની ભક્તિથી
પ્રાપ્ત થતા ઉત્કર્ષનું કવિ વર્ણન કરે છે. બાણાસુર બલિરાજાનો જ્યેષ્ઠ પુત્ર હતો, તેની રાજધાની
શોણિતપુર હતી. રોજ એક હજાર કમળથી તે શિવની પૂજા કરતો. શિવની કૃપાથી તેને અમાપ બળ
પ્રાપ્ત થયું. તેણે ત્રણેય લોક ઉપર વિજય મેળવ્યો. તેની પુત્રી ઉષાએ કૃષ્ણના પુત્ર
અનિરુદ્ધ સાથે પિતાની સંમતિ સિવાય ગાધર્વ લગ્ન કર્યું. તેથી બાણાસુરે કેદ કરેલા
અનિરુદ્ધને છોડાવવા કૃષ્ણ આવ્યા. યુદ્ધમાં બાણાસુરને મારવા કૃષ્ણે ચક્ર ફેંક્યુ
ત્યારે તેને બચાવવા શિવ-પાર્વતી પ્રગટ થયાં અને કૃષ્ણને તેમણે શાન્ત કર્યા.
બાણાસુરનો ગર્વ ઉતારવા કૃષ્ણે તેના બે હાથ રાખીને બાકીના બધા હાથ કાપી નાખ્યા.
શિવની કૃપાથી તેના બે હાથ બચી ગયા અને તેની વેદના શાન્ત થઈ.
શિવની કૃપાથી
જ બાણાસુરને અપ્રતિમ બળ મળ્યું. તેને ત્રિલોકનું ઐશ્વર્ય મળ્યું. ઇન્દ્ર કરતાં પણ
અધિક સંપત્તિ મળી. સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. તેથી કવિ કહે છે કે શિવને નમાવેલું
મસ્તક કોને ઉન્નતિકારક બનતું નથી ? અર્થાત્ શિવની ભક્તિ સર્વ પ્રકારની સમૃદ્ધિ આપે છે.
શિવને કરેલું નમન પણ ઉન્નતિકારક બને છે. અહીં અર્થાન્તરન્યાસ અલંકારનો પ્રયોગ
કરીને કવિએ શિવની ભક્તિનો સર્વોત્તમ પ્રભાવ દર્શાવ્યો છે. શિવની કૃપાથી મળતું અનંત
ફળ વર્ણવ્યું છે.
(૧૪)
અકાણ્ડબ્રહ્માણ્ડયચકિતદેવાસુરકૃપા
વિધેયસ્યાસીદયસ્ત્રિનયન
વિષં સંહ્રતવત: ।
સ કલ્માષ: કણ્ઠે તવ ન
કુરૂતે ન શ્રિયમહો
વિકારોડપિ લાધ્યો
ભુવનભયભડગવ્યસનિન: ।
ભાષાંતર: હે ત્રિલોચન | ચિંતા
થઈ જતાં બ્રહ્માંડના નાશને લીધે ભયભીત થયેલા દેવો દાનવો ઉપરની કૃપાને વશ થઈ
સમુદ્રમંથનમાંથી નીકળેલા હળાહળ ઝેરને પી ગયેલા તમારા કંઠમાં જે ડાઘ છે તે શોભા
કરતો નથી એમ નથી. (અર્થાત્ શોભા જ કરે છે.) અહો ! જગતના ભયને ટાળવાના વ્યસનવાળા
તમારો વિકાર પણ પ્રશંસનીય બને છે.
જગતનાં
દુઃખદર્દના ભયને ટાળવાનું શિવનું વ્રત દર્શાવતી પુરાણકથા આ પ્રમાણે છે. દુર્વાસાના
શાપથી ઇન્દ્રની લક્ષ્મી ચાલી ગઈ. તેથી તે સર્વ દેવો સાથે બ્રહ્માના શરણે ગયો.
ઇન્દ્રાદિ દેવો અને બહ્માએ વિષ્ણુની સ્તુતિ કરી. ત્યારે વિષ્ણુએ દેવોને દૈત્યોની
મદદ લઈ સમુદ્રમંથન કરવાની સલાહ આપી. ઇન્દ્રે બલિરાજાને વાત કરી. દેવોએ અને દાનવોએ
મંદરાચલ પર્વતનો રવૈયો અને વાસુકિ નાગનું નેતર કરીને સમુદ્રમંથન કર્યું. તેમાંથી
લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાત વગેરે
ચૌદ રત્નો નીકળ્યાં. અને કાલકૂટ નામનું હળાહળ ઝેર પણ નીકળ્યું. આ ઝેરથી
બ્રહ્માંડનો નાશ થશે એવા ભયથી દેવો અને દાનવો ભગવાન શિવ પાસે આવ્યા. શિવ દયા કરીને
સ્વયં તે વિષ પી ગયા. કાલકૂટ વિષના પાનથી શિવનો કંઠ નીલ રંગના ડાધવાળો થઈ ગયો.
તેથી તે નીલકંઠ કહેવાયા. લોકોનો ભય ટાળવા સ્વયં ઝેર પીનારા શિવ કારુણ્યની મૂર્તિ
છે. લોકોનાં દુ:ખો દૂર કરવાનું તેમનું વ્યસન છે. લોકોનું કલ્યાણ કરવા જતાં તેમને
લાગેલો ડાઘ દૂષણ પણ શિવ માટે ભૂષણ બન્યું છે. અહીં અર્થાન્તરન્યાસ અલંકાર છે.
કવિના રચનાકૌશલનું આ શ્લોક ઉત્તમ ઉદાહરણ છે. પૂર્વાર્ધમાં દીર્ધ સમાસયુક્ત ગૌડી
શૈલીનો પ્રયોગ અને પ્રથમ પંક્તિનો યમકનો પ્રયોગ હળાહળ વિષ જોઈને ભયભીત થયેલા
દેવોની મનઃસ્થિતિને સરસ રીતે વ્યક્ત કરે છે. વિશ્વકલ્યાણ માટે શિવે કરેલા અપૂર્વ
ત્યાગ અને સમર્પણની ગરિમા અહીં ઘોતિત થઈ છે.
(૧૬) મહી
પાડાઘાતાદ્ વ્રજતિ સહસા સંશયપદં
પદં
વિષ્ણોર્ભ્રામ્યભ્દ્રુજપરિધસ્રણૅગ્રહગણમ્ ।
મુહુદયૌદૌસ્થયં
યાત્યનિભૃતજટાતાડિતતટા
જગદ્રક્ષાર્થ ત્વં નટસિ
નનુ વામૈવ વિભુતા ॥
ભાષાંતર : હે
ઈશ્વર | તમે જગતનું રક્ષણ કરવા માટે તાડવનૃત્ય કરો છો. (તે વખતે)
પૃથ્વી તમારા પાદપ્રહારથી એકદમ સંદેહમાં પડે છે, આમતેમ ફરતા
પરિધ જેવા હાથથી પીડાયેલા ગ્રહોના સમૂહવાળું આકાશ પણ સંશયમાં પડે છે. છૂટી જટાના પ્રહારથી
સ્વર્ગ વારંવાર અસ્થિરપણાને પ્રાપ્ત કરે છે. ખરેખર | વિભુતા
પ્રતિકૂળ જ હોય છે.
શિવના
વરદાનથી છકી ગયેલા રાક્ષસોને ભયભીત કરવા માટે સાયંકાળે શિવ તાંડવનૃત્ય કરે છે એવી
માન્યતા છે. આસુરી શક્તિઓને દબાવીને શિવ જગતનું રક્ષણ કરે છે. આમ શિવનું તાંડવ
ત્રિભુવન માટે ઉપકારક છે. અહીં શિવનું તાંડવ અને તેનાથી પીડિત થતા ત્રિલોકનું
વર્ણન છે. નૃત્ય સમયે શિવના પાદપ્રહારથી પૃથ્વીને પોતાનો વિનાશ થશે એવો સંદેહ થાય
છે. નૃત્ય કરતી વખતે આમતેમ ફરતા હાથથી આકાશમાં રહેલ નક્ષત્રો અને તારાગણ પીડા પામે
છે. છૂટી જટાના પ્રહારથી વારંવાર સ્વર્ગ અસ્થિર થાય છે. આમ તાંડવના કારણે પૃથ્વી, આકાશ અને સ્વર્ગ ત્રણને ત્રાસ થાય છે. આ ઘટના દ્વારા કિવ તારણ કાઢે છે કે
વિભુતા હંમેશાં પ્રતિકૂળ હોય છે. ત્રણેય લોકનું કલ્યાણ કરવા નૃત્ય કરતા ભગવાન
શંકરનો વૈભવ પ્રતિકૂળ બને છે. દૈવી શક્તિ કયારેક દુઃખકર લાગે તો પણ અંતે તે
કલ્યાણકારી હોય છે. શિવની કલ્પનાતીત વિભુતાની અહીં સરસ વ્યંજના થાય છે. તાંડવનૃત્ય
વખતની પૃથ્વી આકાશ અને સ્વર્ગની સ્થિતિનું માર્મિક નિરૂપણ અહીં થયું છે. અહીં
અર્થાન્તરન્યાસ અલંકાર છે. સમુચિત વર્ણ અને પદની ગૂંથણી અભિવ્યક્તિને અધિક
પ્રભાવત્પાદક બનાવે છે.
(૧૯) હરિસ્તે
સાહસ્વં કમલબલિમાધાય પદયો
પદેકોનૅ
તસ્મિન્ નિજમુદહરન્નેત્રકમલમ્ ।
ગતો ભક્ત્યુદેક:
પરિણતિમસૌ ચક્રવપુષા
ત્રયાણાં રક્ષાયં
ત્રિપુરહર જાગતિ જગતામ્ ।
ભાષાંતર : હે
ત્રિપુરહર ! વિષ્ણુએ તમારા ચરણોમાં જ હજાર કમળોના પુષ્પોની ભેટ ધરી હતી, તે સમયે તેમાં
એક કમળ ઓછું થતાં તેમણે પોતાનું નેત્રકમળ કાઢીને અર્પણ કર્યું. આ અતિશય ભક્તિનો
પ્રકર્ષ સુદર્શન ચક્રના રૂપે પરિણામે પામી ત્રણે જગતના રક્ષણ માટે (હજુ) જાગૃત રહે
છે.
અહીં
વિષ્ણુની શિવભક્તિનું વર્ણન છે. પુરાણ પ્રમાણે એક વાર ભગવાન વિષ્ણુ હજાર કમળપુષ્પો
લઈને ભગવાન શંકરની ભક્તિપૂર્વક પૂજા કરવા લાગ્યા. ત્યારે વિષ્ણુની ભક્તિની પરીક્ષા
કરવા શિવજીએ એક કમળ છુપી રીતે લઈ લીધું. પૂજા કરતાં વિષ્ણુને ખ્યાલ આવ્યો કે એક
કમળ ઓછું છે. શિવને એક હજાર કમળ અર્પણ કરવાનો પોતાનો સંકલ્પ પૂર્ણ કરવા ભગવાન
વિષ્ણુએ પોતાનું નેત્રરૂપી કમળ કાઢીને શિવને અર્પણ કર્યું. વિષ્ણુની આવી અનન્ય
ભક્તિ જોઈને મહાદેવજી પ્રસન્ન થયા. તેમણે તેમને નેત્ર પાછું આપ્યું અને ઇચ્છિત
વરદાન માગવા કહ્યું. વિષ્ણુએ વિપત્તની વાત કરી. દાનવોના સંહાર માટે બળ અને અમોધ
શસ્ત્ર માગ્યું. શિવે તેમને રાક્ષસો સામે લડવા માટે અમાપ શક્તિ આપી અને પોતાનું
ચક્ર વિષ્ણુને આપ્યું. વિષ્ણુએ શિવજીએ આપેલા બળ વડે દેવો અને મનુષ્યોની રક્ષા કરી.
ચક્ર વડે વિષ્ણુ સદૈવ જગતનું રક્ષણ કરે છે.
(૨૩) સ્વલાવણ્યાશંસા
ધૃતધનુષમહાય તૃણવત્
પુર: પ્લુષ્ટં
દ્રષ્ટ્વા પુરમથન પુષ્પાયુધમપિ ।
યદિ સ્ત્રૈણં દેવી
યમનિરત દૈહાર્ધઘટના
દવૈતિ ત્વામદ્ધા બત વરદ
મુગ્ધા યુવતય: ॥
ભાષાંતર: હે
યમનિયમ પાળનાર ! હે પુરમથન | પોતાના સૌદર્યની આશાથી ધનુષ્ય ધારણ કરનાર કામદેવને તણખલાની
જેમ (પોતાની) સામે જ જલદી બળી ગયેલો જોઈને પણ દેવી પાર્વતી જેને તમે પોતાના અર્ધા
શરીરમાં ધારણ કર્યાં છે તે, હે વરદાન આપનાર મહાદેવ ! તમને જો સ્ત્રીઓ મૂઢ હોય છે.
પરમબ્ર્હ્મ
રૂપ શિવમાં પરસ્પર વિરોધી લક્ષણો પણ એક સાથે સમાયેલાં છે, તે જ તેમનું
યોગ ઐશ્વર્ય છે. તેથી સામાન્ય લોકો તેમના મહિમાને તેમની અકળ લીલાને સમજી શકતા નથી.
શિવ જિતેન્દ્રિય છે, મહાયોગી છે. કામવિજેતા છે. છતાં આ જ શિવે પાર્વતીને
પોતાના અર્ધા અંગમાં સ્થાપિત કર્યાં છે. તે અર્ધનારીશ્વર બન્યા છે. તે સર્વદા પાર્વતીની
સાથે જ રહે છે. તેથી સામ્બ કહેવાયા છે. એક બાજુ જિતેન્દ્રિય યોગી હોવું અને બીજી
બાજુ સ્ત્રીવશ રહેવું—આ બે લક્ષણ એક સાથે ધારણ કરવામાં શિવની શ્રેષ્ઠતા, પ્રભુતા
સમાયેલી છે. તપશ્ચર્યામાં લીન શિવને પાર્વતીના અદ્ભુત સૌંદર્ય દ્વારા જીતી લેવા
પ્રયત્ન કરનાર કામદેવને શિવે ઘાસના તણખલાની જેમ બાળી નાખ્યો હતો. પાર્વતીએ આ ઘટના
નજરે જોઈ હતી. તેથી પોતાના સૌંદર્ય દ્વારા શિવને પામવાનો પ્રયત્ન તેમણે છોડી
દીધેલો. પાર્વતીની અનન્ય ભક્તિ અને તપથી પ્રભાવિત થઈને શિવે તેમની સાથે લગ્ન
કરેલાં અને તેમને અર્ધા અંગ તરીકે સ્થાને આપેલું. શિવનો પોતાની સાથે આવો વ્યવહાર
જોઈને પાર્વતી એમ માનતાં હોય કે શિવ મને વશ છે, શિવ સ્ત્રીમાં આસક્ત છે, તો તે તેમની મુગ્ધતા છે, ભોળપણ છે. કવિ કહે છે કે સાચે- જ સ્ત્રીઓ ભોળી-મુગ્ધ-મૂઢ
હોય છે.
શિવના આ બે પરસ્પર વિરોધી લક્ષણોના વર્ણન
દ્વારા કવિ સૂચવે છે કે સાચા યોગીજનો સતત સ્ત્રીના સહવાસમાં રહેવા છતાં તે જળમાં
રહેલા કમળપત્રની જેમ નિર્લેપ રહે છે. તેમની ભગવદભક્તિમાં સ્ત્રીનો સહવાસ બાધક બનતો
નથી. પરબ્રહ્મનો સાક્ષાત્કાર કરેલો યોગી સાંસારિક કર્મો પૂરી નિષ્ઠાથી કરે છે.
છતાં તેનું મન સંસારના વિષયોથી પર રહે છે. સંસારમાં રહીને પણ સંસારના વિકારોથી પર
રહેવું, સાક્ષીભાવે
રહેવું એ જ સાચી યોગસિદ્ધિ છે. અહીં અર્થાન્તરન્યાસ અલંકાર પ્રયોજાયો છે.
(૨૪)
સ્મશાનેષ્વાક્રીડા સ્મરહર પિશાચા: સહચરા
શ્ચિતાભસ્માલેપ:
સ્ત્રગપિ નૃકરોટીપરિકર: ।
અમડ્ગલ્યં શીલં તવ ભવતુ
નામૈવમખિલં
તથાપિ સ્મર્તૃણાં વરદ
પરમં મડ્ગલમસિ ॥
ભાષાંતર : હે
કામદેવનો નાશ કરનાર ! સ્મશાનોમાં ક્રીડા કરવી, પિશાચોનો સહચાર, ચિતાની ભસ્મનો લેપ અને મનુષ્યની
ખોપરીની માળા પહેરવી, આમ તમારું આચરણ ભલે અમંગલ હોય છતાં હે
વરદાન આપનાર ! તમારું સ્મરણ કરતા ભક્તો માટે તો તમે પરમ મંગલસ્વરૂપ છો.
ભગવાન
શિવનો બાહ્ય દેખાવ અમંગલ લાગે છે. પણ વસ્તુતઃ તે મંગલમય છે. સંસાર પ્રત્યે પૂર્ણતઃ
વિરક્ત શિવનું જીવન સાદું અને વૈભવ વિનાનું છે. પણ ભક્તોને તે અખૂટ વૈભવ આપે છે.
આવા ભગવાન શંકરના વિલક્ષણ વ્યક્તિત્વનો કવિ અહીં મહિમા વર્ણવે છે. શંકર સ્મશાનમાં
રહે છે. પરમ યોગી સ્મશાનમાં રહે કે રાજમહેલમાં રહે, તેને તો બન્ને
સરખાં જ લાગે છે. પિશાચો તેમના સહચરો છે. તે શરીરે ચિતાની ભસ્મનો લેપ કરે છે,
માણસની ખોપરીની માળા પહેરે છે. આમ શિવનો વેશ અને વ્યવહાર અમંગલ છે.
અહીં શિવના સંસાર પ્રત્યેના વિરક્તિભાવની વ્યંજના થાય છે. કામવિજેતા શિવ અનાસક્ત
અને નિષ્કામ છે, તે વિનાશના દેવ છે. આમ બહારથી અમંગલ વેષ અને
આચરણવાળા શિવનું સ્વરૂપ પરમ મંગલકારક છે. નિજાનંદની મસ્તીમાં સતત મસ્ત રહેતા શિવની
આ બધી લીલા છે. તેથી તેમનાં વેષ અને વર્તન વિલક્ષણ લાગે છે. અમંગલ વેષધારી,
અમંગળ આચરણવાળા, સંસારથી પૂર્ણતઃ વિરક્ત ભગવાન
શિવ વરદ છે. તેમનો વૈરાગ્ય તે ભક્તોના માથે ઠોકી બેસાડતા નથી. તેથી તે ભક્તોને
મનોકામના પૂર્ણ કરનારાં વરદાન આપે છે. તેમનો ત્યાગ અને વૈરાગ્ય તેમનામાં
અકર્મણ્યતા પેદા કરતાં નથી. તે ભક્તોનું સર્વોત્તમ કલ્યાણ કરવા માટે સતત જાગ્રત
રહે છે. પોતાના માટે કઠોરતા અને બીજાઓ પ્રત્યે ઉદારતા દાખવે તે જ સાચો મહાત્મા
કહેવાય છે. કામનાઓને વશ થાય તે જીવ અને કામનાઓને વશ કરે તે શિવ એવું કવિ અહીં
સૂચવે છે.
(૨૭) ત્રયી
તિસત્રો વૃત્તીસ્ત્રિભુવનમથો ત્રીનપિ સુરા
નકારાવભિરભિદવતીર્ણવિકૃતિ
।
તુરીયં તે ધામ
ધ્વનિભિરવરૂન્ધાનમણુભિ:
સમસ્તં વ્યસ્તં ત્વાં
શરણદ ગૃણાત્યોમિતિ પદમ્ ॥
ભાષાન્તર : હે
શરણ આપનાર દેવ ! અ, ઉ, અને મ આ ત્રણ વર્ણો વડે ત્રણ વેદ્(ઋક્, યજુ:, સામ),
ત્રણ વૃત્તિઓ (જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ, ત્રણ ભુવન (પૃથ્વી, અંતરિક્ષ અને
સ્વર્ગ), ત્રણ
દેવો (વિષ્ણુ અને મહેશ), એમને જણાવતું અને સૂક્ષ્મ ધ્વનિઓ વડે, અવિકારી તમારા
ચોથા સ્થાનને સમજાવતું ઓમ આ પદ સમસ્ત (સમાહારવાળું ) હોય અથવા વ્યસ્ત (છુટું
પાડેલું) હોય પણ તમારા પરમ સ્વરૂપની
સ્તુતિ કરે છે. (તમને જ વર્ણવે છે.)
ઓમકાર
બ્રહ્મનો વાચક છે. ઓમને પ્રણવ પણ કહે છે. વાણી દ્વારા પરમ તત્વનું વર્ણન કરી
શકાતું નથી. પરંતુ ઓમ અથવા પ્રણવ દ્વારા પરમ તત્વનો નિર્દેશ થાય છે. આ ઓમ પરમ શિવતત્વની
જ સ્તુતિ કરે છે. ઓમ પરમ શિવતત્વનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. પ્રણવનાં બે રૂપ (અવસ્થાઓ)
છે. એક સમસ્ત અને બીજું વ્યસ્ત. વ્યસ્ત અને સમસ્ત બન્ને અવસ્થાઓમાં ઓમ શિવતત્ત્વનો
નિર્દેશ કરે છે. શિવની જ સ્તુતિ કરે છે. ત્રણનો અંક ભારતીય દર્શનોનો પ્રિય અંક છે.
ઓમકારની ત્રણ અવસ્થા છે. તેમ વેદ ત્રણ (ઋક્, યજુ, સામ) છે. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એમ વૃત્તિઓ પણ ત્રણ છે. પૃથ્વી, અંતરિક્ષ અને
સ્વર્ગ ત્રણ લોક છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણ દેવ છે. સત્વ, રજસ અને તમસ્
ત્રણ ગુણ છે. સૃષ્ટિપ્રક્રિયા સાથે આ બધાં જોડાયેલાં છે. ઓમ પદ જયારે વ્યસ્ત
અવસ્થામાં હોય ત્યારે સૃષ્ટિ સર્જન અવસ્થામાં હોય છે અને ત્રણ વર્ણોને સ્વતંત્ર
હોય છે. તે સમયે ઓમકારમાંનો અ વર્ણ ઋગ્વેદ, જીવની જાગૃત
અવસ્થા, સર્જનનું
સ્થાન એવો ભૂર્લોક (પૃથ્વીલોક) અને સર્જનનું કાર્ય કરનાર બ્રહ્મા આ બધાનો વાચક હોય
છે. ઉ વર્ણ યજુર્વેદ, જીવની સ્વપ્ન અવસ્થા, ભુવલ્લુક (અંતરિક્ષલોક) અને સૃષ્ટિનું પાલન કાર્ય કરનાર
વિષ્ણુનો નિર્દેશ કરે છે. – મ વર્ણ સામવેદ, જીવની સુષુપ્તિ અવસ્થા સ્વર્લોક (સ્વર્ગલોક) અને વિસર્જન
કાર્ય કરનાર મહેશનો વાચક હોય છે. આ બધાં શિવતત્વનાં જ સ્વરૂપો છે. સૃષ્ટિનું સર્જન, પાલન અને
વિનાશ કરનાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ શિવનાં જ સ્વરૂપો છે. જીવો પણ શિવનાં
સ્વરૂપ છે. પણ જાગૃત અવસ્થામાં અજ્ઞાનવશ હોવાથી, સ્વપ્નમાં સંસારથી બંધાયેલા હોવાથી અને સુષુપ્તિ
અવસ્થામાં પોતાના અસ્તિત્વના ભાન વિનાના હોવાથી જીવો પોતાના શિવસ્વરૂપને જાણતા
નથી. જીવની જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ અવસ્થાઓ આ રીતે પરમ તત્વની
અવસ્થાઓ છે. પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ આ ત્રણ લોક મનુષ્ય અને દેવ રૂપધારી
શિવનાં નિવાસસ્થાન છે તેથી શિવસ્વરૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને તેમનાં સર્જન, પાલન અને વિસર્જન-ત્રણ
કાર્યો પણ પરમ તત્વનાં જ કાર્યો છે. ત્રણ વેદ પરમ તત્વોનો નિઃશ્વાસ છે. તેથી તે
શિવસ્વરૂપ જ છે. આમ વ્યસ્ત રૂપે ઓમકાર શિવતત્વનું જ સ્વરૂપ છે. સમગ્ર વ્યક્ત જગત
શિવનું જ સ્વરૂપ છે. સમગ્ર સગુણ સાકાર સૃષ્ટિમાં શિવ વ્યાપ્ત થયેલા છે.
યોગદર્શન
પ્રમાણે ઓમકારની ત્રણ માત્રાઓ એ સમગ્ર વ્યક્ત સૃષ્ટિ છે. તેમાં પરમ તત્ત્વ અભરે
ભરેલું છે. આ ઉપરાંત ૐકારની એક ચોથી માત્રા છે. ચોથી અવસ્થા— તુરીય અવસ્થા
છે. તુરીય અવસ્થા પરમ તત્ત્વના અવ્યક્ત સ્વરૂપનો, નિરંજન, નિરાકાર, નિર્ગુણ સ્વરૂપનો નિર્દેશ કરે છે. આમ વ્યક્ત જગત અને
તેના મૂળમાં રહેલ અવ્યક્ત બ્રહ્મ
બધું જ શિવ છે. આ પરમ તત્ત્વ સૂક્ષ્મ ધ્વનિઓના ગુંજારવથી ભરેલું હોય છે. ૐકારનો આ
સૂક્ષ્મ ધ્વનિ યોગીઓ જ સાંભળી શકે છે. આ સમસ્ત બ્રહ્મ એક અખંડ અને નિરવયવ છે. આ ૐકાર
શિવનું પરમ પદ છે તે વ્યસ્તરૂપે શિવતત્ત્વનો જ નિર્દેશ કરે છે. વ્યક્ત અને અવ્યક્ત
બન્ને પ્રકારના જગતમાં એક જ પરમ તત્ત્વ વ્યાપ્ત છે એમ કહીને અહીં અદ્વૈતવાદનું
સમર્થન થયું છે. સાચા જ્ઞાનીને તો અત્ર, તત્ર, સર્વત્ર, શિવનું જ દર્શન થાય છે. “જ્યાં
જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની” એવું અનુભવીને ભક્ત સતત શિવમય રહે છે.
(૨૮) ભવ:
શર્વો ઋદ્ર: પશુપતિરથોગ્ર: સહમહાં
સ્તથા
ભીમેશાનાવિતિ યદભિધાનાષ્ટૅકમિદમ્ ।
અમુષ્મિન્ પ્રત્યેકં
પ્રવિચરતિ દેવ શ્રુતિરપિ
પ્રિયારાસ્મૈ ધામ્ને
પ્રવિહિતનમસ્યોડસ્મિ ભવતે ॥
ભાષાંતર : હે
દેવ ! ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાદેવ, ભીમ અને ઈશાન—એ જ આપનાં આઠ
નામો છે. તેમાનાં દરેક નામનું વેદો પણ સ્તવન કરે છે. આપના એ પ્રિય રૂપને હું
વિનમ્રભાવે નમસ્કાર કરું છું.
અહીં
આઠ મુખ્ય રૂપોનો નિર્દેશ છે. શ્લોકમાં શિવને અષ્ટમૂર્તિ કહ્યા છે. શિવનાં વિવધ
સ્વરૂપોના આધારે તેમનાં આઠ મુખ્ય નામ છે. શિવની આઠ મૂર્તિઓમાં આખું વિશ્વ સમાઈ જાય
છે. આ આઠ મૂર્તિઓ-સ્વરૂપોની ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાદેવ, ભીમ અને ઈશાન નામોથી સ્તુતિ થાય છે. શિવના પ્રત્યેક નામનું
વેદો પણ સ્તવન કરે છે. આ પ્રત્યેક નામ શિવતત્ત્વનો બોધ કરાવે છે. પૌરાણિક માન્યતા
પ્રમાણે પરમેશ્વરનું નામસ્મરણ સઘળી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. ભગવાન કરતાં પણ ભગવાનનું
નામ વધુ મહત્ત્વનું છે. કારણકે નામ ભક્ત માટે સુલભ સાધન છે. ઈશ્વરનું નામ ભક્તનાં
ભવબંધન કાપવા સમર્થ છે. નામનો આટલો બધો મહિમા છે. તેથી કવિ નમ્રભાવે પ્રાર્થના કરે
છે, “હે
પ્રભો, આપના
એક એક નામનું વેદો પણ સ્તવન કરે છે. આપની વિધિવત્ ભક્તિ-આરાધના કરવાની મારી
યોગ્યતા નથી. હું સાવ અબુધ છું. તેથી મને અત્યંત પ્રિય એવા આપના તેજોમય સ્વરૂપને
હું વિનમ્ર ભાવે નમસ્કાર કરું છું."
(૩૨)
અસિતગિરિસમં સ્યાત્કજ્જલં સિંધુપાત્રે
સુરતસ્વરશાખા
લેખની પત્રમુર્વી ।
લિખિતિ યદિ ગૃહીત્વા
શારદા સર્વકાલં
તદપિ તવ ગુણાનામીશ પારં
ન યાતિ ॥
ભાષાંતર : હે
ઈશ્વર ! મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરિના જેટલી શાહી હોય, કલ્પવૃક્ષની ડાળીરૂપ કલમ હોય અને પૃથ્વીરૂપ કાગળ લઈ સરસ્વતી દેવી એ હમેશા
લખે તો પણ તમારા ગુણોનો તે પાર ન પામે.
પરમેશ્વરના
ગુણોની અનંતતા સૂચવવા કવિએ અહીં અતિશ્યોક્તિનો પ્રયોગ કર્યો છે. સમુદ્રરૂપી
પાત્રમાં નીલગિરિ પર્વત જેટલી શાહી હોય, કલ્પવૃક્ષની શાખાની કલમ હોય. પૃથ્વી
જેટલો વિશાળ કાગળ હોય અને દેવી સરસ્વતી સતત લખ્યા કરે તો પણ ઈશ્વરના ગુણોનો પાર
આવતો નથી. પ્રભુના અનંત ગુણોનો પાર પામી શકાતો નથી. કોઈ સાક્ષાત્કારી ભક્ત જ
વિશ્વાસપૂર્વક આવું કહી શકે. પરબ્રહ્મની અપરોક્ષ અનુભૂતિ કરનાર કવિ મન-વાણીથી પર
અનિર્વચનીય પરમ તત્ત્વનું આવું ભક્તિરસભર્યુ કાવ્યમય આલેખન કરી શકે છે. પુષ્પદંત આ
કોટિના કવિ લાગે છે. કવિ મહાજ્ઞાની છે પણ તેનું જ્ઞાન ભક્તિરસથી ભીંજાઈને સ્વતઃ
કાવ્યરૂપે વહે છે. તેથી આ સ્તોત્રમાં હૃદયને આવર્જિત કરવાની અપૂર્વ ક્ષમતા છે.
શિવમહિમાના વર્ણન દ્વારા પોતાની વાણીને પવિત્ર કરવાની કવિની ભાવના તેની નમ્રતા
સૂચવે છે. અહીં માલિની છંદ છે.
પ્ર-૧૦.
હેતુલક્ષી
પ્રશ્નોના જવાબ લખો.
(1)
પુષ્પદંતનો સંક્ષિપ્ત પરિચય આપો.
ઉત્તર :
પુષ્પદંત ગંધર્વોનો રાજા હતો. તેનું બીજું નામ ‘કુસુમદશન' હતું. તે કુંદપુષ્પની કળીઓ સમાન શ્વેત, સુંદર દાંત
ધરાવતો હોવાથી તેનું નામ ‘પુષ્પદંત’ પડ્યું
હતું. પુષ્પદંત દૈવી શક્તિઓ ધરાવતો હતો. તેની અદશ્ય થવાની શક્તિ પ્રસિદ્ધ હતી. તે
કાશીનરેશના ઉદ્યાનમાંથી પુષ્પો ચોરી જતો હતો, પરંતુ
શિવનિર્માલ્ય (બિલ્વપત્ર)નું ઉલ્લંઘન કરતાં તેની શક્તિઓ નષ્ટપ્રાય બની.
પશ્ચાત્તાપપૂર્વક તેણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે 'શિવમહિમ્નઃસ્તોત્ર'ની રચના કરી.
(2) પુષ્પદંતમાં કઈ શક્તિ હતી? તે કયા કારણે નાશ પામી ?
ઉત્તરઃ
પુષ્પદંતમાં અદ્ર્શ્ય રહેવાની શક્તિ હતી. તેણે શિવનિર્માલ્યનું ઉલ્લંધન કર્યું
હોવાથી તેની શક્તિનો નાશ થયો.
(3) શિવમહિમ્ન:સ્તોત્રમના રચિયતાનું નામ આપો તથા તેઓ બીજા ક્યા નામથી શા માટે
ઓળખાય છે તે જણાવો.
ઉત્તર :
શિવમહિમ્ન:સ્તોત્રમના રચયિતાનું નામ ગન્ધર્વરાજ પુષ્પદંત છે. તેમના દાંત સફેદ પુષ્પ
જેવા ચમકદાર હોવાથી તેઓ કુસુમદશન તરીકે પણ ઓળખાય છે.
(4) ‘શિવમહિમ્ન:સ્તોત્રમ’ શીર્ષકની યથાર્થતા સમજાવો.
ઉત્તર :
શિવસ્ય મહિમ્ન સ્તોત્રમ્ એટલે કે શિવસ્ય મહિમા, તમ્ અધિકૃત્ય
કૃતમ સ્ત્રોતમ્ શિવના મહિમાને આધારે જે સ્તોત્ર રચાયું છે તે સ્તોત્ર એટલે
શિવમહિમ્ન: સ્તોત્ર. શ્રીપુષ્પદંતે સાચે આ સ્તોત્રમાં શિવનો
મહિમા સુંદર રીતે ગાયો છે. તેથી આ સ્તોત્રનું 'શિવમહિમ્ન:સ્તોત્રમ્’ શીર્ષક સાચે જ યથાર્થ છે.
(5) શિવમહિમ્ન:સ્તોત્રમાં કયા કયા મતો તથા સંપ્રદાયો બતાવ્યા છે?
ઉત્તર :
શિવમહિમ્ન:સ્તોત્રમાં સાંખ્ય-યોગ, પાશુપત, વૈષ્વણવ,
વેદાંત વગેરે મતો તથા વિવિધ સંપ્રદાયો(શિવ, શાક્ત,
વૈષ્ણવ વગેરે)ની વાત કરવામાં આવી છે.
(6) સ્તોત્રના પ્રથમ પદ મહિમ્ન:નું મહત્ત્વ તથા ૨હસ્ય સમજાવો.
ઉત્તરઃ આ પદ
ઘણું સૂચક છે. અહીં જે ‘મ કાર છે તે શિવનો બોધક વર્ણ છે. એમાં
કવિએ પોતાના ઇષ્ટદેવતાની ભક્તિને પ્રગટ કરી છે. એમાં શિવ સમાવિષ્ટ છે.
(7) 'હર' શબ્દનો અર્થ દર્શાવી, જણાવો
કે આ શબ્દ શા માટે શિવ માટે વપરાયો છે ?
ઉત્તર : હ્ર્.
ધાતુ – ‘હરવું’ આ એનો અર્થ છે. ભક્તનાં સર્વ
પાપો તથા ત્રિવિધ સંતાપોને ભગવાન શિવ હરી લે છે. તેઓનું તમોગુણ સંહારક સ્વરૂપ આ
સ્તોત્રમાં દર્શાવ્યું હોઈ, તેઓ હર તરીકે ઓળખાય છે.
(8) 'વરદ' શબ્દ સમજાવો.
ઉત્તર : વર
એટલે ‘વરદાન’ અને દ એટલે ‘આપનાર’, જેઓ પૂરેપૂરી શ્રદ્ધા, વિશ્વાસ, એકાગ્રતાથી શિવની ભક્તિ, આરાધના કરે છે, શિવ તેમના પર તરત પ્રસન્ન થઈ તેઓને
ઇચ્છિત વરદાન આપે છે. તેથી દેવો, અસુરો, ગંધર્વો તેમને ‘વરદ’ તરીકે
આરાધે છે.
(9) શિવ 'ત્રિનયન' શબ્દથી કેમ
ઓળખાય છે ?
ઉત્તરઃ સૂર્ય, ચંદ્ર અને અગ્નિ આ શિવનાં ત્રણ નેત્રો છે, તેથી તેઓ
ત્ર્યમ્બક (ત્રિનયન) તરીકે ઓળખાય છે.
(10) યમનિરત તરીકે શિવની સમજ આપો.
ઉત્તર :
વિષ્ણુ યોગેશ્વર છે, જ્યારે શિવ યોગીશ્વર કહેવાય છે. અષ્ટાંગ
યોગમાં યમ પ્રથમ અંગ છે. તેઓ પાંચ યમનું પાલન કરે છે, તેથી
યમનિરત કહેવાય છે.
(11) રાવણ શિવભક્ત હોવા છતાં શા માટે દંડપાત્ર બન્યો ?
ઉત્તર : રાવણ
મહાશિવભક્ત હતો. તેની અપાર ભક્તિથી શિવે પ્રસન્ન થઈ અપ્રતિમ શક્તિ પ્રદાન કરી હતી, પણ પોતાની શક્તિથી મોહિત રાવણે શિવનાનિવાસસ્થાન કૈલાસ પર્વતને પણ ઉપાડી
જવાની દુષ્ટ ચેષ્ટાને કારણે શિવે તેને પાતાળમાં મોકલી દીધો.
(12) શિવે હલાહલ વિષનું પાન કેમ કર્યું ?
ઉત્તર : શિવ
સિવાય હલાહલ વિષપાન કરવા કોઈ તૈયાર ન હતું, તેથી લોકો પર ઉપકાર કરવા અને ભયમાંથી
તેમને મુક્ત કરી, રક્ષણાર્થે શિવે વિષપાન કર્યું હતું.
(13) ભગવાન શિવે ‘કામદહન' શા માટે
કર્યું?
ઉત્તર : કામદેવે બ્રહ્મા તથા અન્ય દેવોની વિનંતીથી શિવને સામાન્ય દેવ માની સંમોહન
બાણનો ઉપયોગ તેમના તપભંગ માટે કર્યો. પોતાનો તિરસ્કાર થયો માની શિવે ત્રીજા
નેત્રથી તેમને ભસ્મીભૂત કરી દીધા.
(14) શિવે
ગંગાને શા માટે જટામાં બાંધી દીધાં ?
ઉત્તર :
ગંગાવતરણ પ્રસંગે ગંગાએ વિનાશક ભાવ ધારણ કર્યો, તેથી આ શિવ માટે
અસહ્ય હોઈ તેમણે ગંગાને જટામાં બાંધી દીધાં.
(15) શિવનાં
શ્રુતિપ્રસિદ્ધ નામો દર્શાવો.
ઉત્તર : ભવ:, શર્વ, રૂદ્ર, પશુપતિ,ઉગ્ર,સહમહાન્, ભીમ, ઈશાન વગેરે.
(16) ‘શિવનો મહિમા અગોચર છે.' સમજાવો.
ઉત્તર : શિવ
સૌના હ્રદયમાં આત્મારૂપે હોઈ અત્યંત નિકટ છે, તો વાણી અને મનથી અગમ્ય હોઈ અતિ દૂર છે,
તેઓ કણકણમાં વ્યાપ્ત હોવાથી વિશાળ સ્વરૂપ છે, જરા
વગેરેથી અલિપ્ત હોઈ યુવાન છે, તેઓ અનુભવગમ્ય હોવાના કારણે
પરોક્ષ છે, જ્યારે સર્વ પદાર્થોમાં વ્યાપ્ત હોવાથી પ્રત્યક્ષ
છે.
(17) શિવના
જીવનનિર્વાહ માટે કેટલાં અને ક્યાં ક્યાં સાધનો છે?
ઉત્તર : શિવના
જીવનનિર્વાહ માટે કુલ સાત સાધનો છે : નંદી, ખટ્વાંગ,
પરશુ (ફરશી), ચર્મ, ભસ્મ,
સત તથા ખોપરી.
(18) વિભિન્ન
માર્ગે ચાલનારાઓનું ગંતવ્યસ્થાન કોણ છે? કેવી રીતે ?
ઉત્તર : જેવી
રીતે સર્વ નદીઓનું સંગમસ્થાન સમુદ્ર છે તેમ જુદા જુદા માર્ગે ચાલનારાઓનું
ગંતવ્યસ્થાન ભગવાન શિવ છે.
(19) શિવના
ચૈતન્યસ્વરૂપને કવિ કેવી રીતે નમસ્કાર કરે છે? કોણ એમના ગુણોનો પાર પામી શકતા નથી?
ઉત્તરઃ મન, વાણી, કર્મથી શિવના ચૈતન્યસ્વરૂપને પામવા કવિ
નમસ્કાર કરે છે. ખુદ સરસ્વતી પણ શિવના ગુણો લખવા બેસે તોપણ તેમના ગુણોનો પાર પામી શકે
નહિ.
(20) જે
મનુષ્ય દરરોજ એકવાર કે બેવાર કે ત્રણવાર આ સ્તોત્રનો પાઠ કરે છે તેને શું ફળ મળે
છે ?
ઉત્તર : જે
મનુષ્ય દરરોજ એકવાર કે બેવાર કે ત્રણવાર આ સ્તોત્રનો પાઠ કરે છે તે સર્વ પાપોમાંથી
મુક્ત થઈ શિવલોકમાં જાય છે.
બહુવૈકલ્પિક પ્રશ્નોના ઉત્તરો
કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો: (ઘાટા
અક્ષરોમાં ઉત્તરો આપેલા છે.)
(1) બ્રહ્મા અને વિષ્ણુએ .............. શિવલિંગનું
દર્શન કર્યું હતું.
(જળલિંગ, પૃથ્વીલિંગ, તેજોમયલિંગ)
(2) સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર શિવનું નામ ..........
છે.
(ભવ, હર , મૃડ)
(3) શિવનાં વેદપ્રસિદ્ધ .......... નામો છે.
(છ, આઠ, દસ)
(4) શિવે
.........નું મસ્તક છેધું હતું.
(વિષ્ણુ, ઇન્દ્ર, બ્રહ્મા)
(5) શિવે
જગતના .......... માટે તાંડવ નૃત્ય કર્યું હતું.
(સંહાર, રક્ષણ, સર્જન)
(6) પુષ્પદંત
વિભુતાને .......... જેવી ગણાવે છે.
(દક્ષિણા, વામાં, ક્ષુદ્ર)
(7) રાવણે
શિવની ભક્તિ અર્થે ..........થી પૂજા કરી હતી.
(કરકમળ, નેત્રકમળ, મસ્તકકમળ)
(8) વિષયોની
તૃષ્ણાને પુષ્પદન્ત ....... સાથે સરખાવે છે.
(સુધાતૃષ્ણા, જળતૃષ્ણા, મૃગતૃષ્ણા)
(9) શિવનું
સત્વગુણી સ્વરૂપ ..........ના નામે ઓળખાય છે.
(મૃડ, શિવ, હર)
(10) શિવભક્ત
બાણાસુરે ..........ની સંપત્તિનો તિરસ્કાર કર્યો હતો.
(બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર)
(11) શ્રદ્ધા
વગર કરેલાં કર્મો .......... જેવાં છે.
(વરદાન, અભિચાર, આશીર્વાદ)
(12) તારકાસુરના
પુત્રોએ બ્રહ્મા પાસેથી ત્રણ .......... પ્રાપ્ત કર્યાં.
(પુત્રો, નગરો, સિંહાસનો)
(13) પુરાણોમાં
ઉત્ક્રાંતિવાદનાં દર્શન .............માં થાય છે.
(અવતારવાદ, દેવસ્વરૂપો, સૃષ્ટિવિદ્યા)
(14) ...........
ઋષિએ સમુદ્રપાન કર્યું હતું.
(વિશ્વામિત્ર, ભારદ્વાજ, અગસ્ત્ય)
(15) પુષ્પદંત
..........ની ચોરી કરતો હતો.
(અલંકારો, પુષ્પો, ફૂલછોડ)
(16) શિવમહિમ્નઃસ્તોત્રમાં
યમિન:નો અર્થ ......... થાય.
(યોગીરાજ, યમપુત્ર, યમમિત્ર)
(17) પુષ્પદંત
.......... હતો.
(રાક્ષસરાજ, યક્ષરાજ,
ગંધર્વરાજ)
(18) સ્તોત્ર
કાવ્યના .......... પ્રકારમાં આવે છે.
(લઘુકાવ્ય, મહાકાવ્ય, ખંડકાવ્ય)
(19) કલ્માષ:નો
અર્થ ............. છે.
(કાંટો, ડાઘ, અડદ)
(20) ‘વિરંચી’ એટલે........ અર્થ થાય.
(વિષ્ણુ, મહેશ્વર, બ્રહ્મા)
(21) પાર્વતી
શિવના ............. અંગમાં બિરાજે છે.
(હૃદય, જમણા, ડાબા)
(22) હ્રદ
એટલે ........ અર્થ.
(હૃદય, સરોવર, અંતઃકરણ)
(23) ક્રતુ:
શબ્દનો અર્થ ............. થાય છે.
(કર્તા, યજ્ઞ, યજમાન)
ઉત્તર : ખાલી જગ્યા
માટેના યોગ્ય વિકલ્પો :
(1) તેજોમયલિંગ
(2) ભવ
(3) આઠ
(4) બ્રહ્મા
(5) રક્ષણ
(6) વામા
(7) મસ્તકકમળ
(8) મૃગતૃષ્ણા
(9) મૃડ
(10) ઇન્દ્ર
(11) અભિચાર
(12) નગરો
(13) અવતારવાદ
(14) અગસ્ત્ય
(15) પુષ્યો
(16) યોગીરાજ
(17)
ગંઘર્વરાજ
(18)
લઘુકાવ્ય
(19)
ડાઘ
(20)
બ્રહ્મા
(21)
ડાબા
(22)
સરોવર
(23)
યજ્ઞ
ખાલી જગ્યાઓ
નીચેનાં વિધાનોમાં યોગ્ય શબ્દ દ્વારા ખાલી જગ્યા પૂરો.
(કૌસમાં ઘાટા અક્ષરોમાં ખાલી જગ્યા માટેના યોગ્ય શબ્દો આપ્યા છે.)
(1) ત્રિપુરારિએ
.......... નગરનો નાશ કર્યો હતો. (ત્રણ)
(2) ત્રિપુર ...........માં
આવ્યાં હતાં. (અંતરિક્ષ)
(3) શિવનું સંહારક
સ્વરૂપ .......ના નામે
ઓળખાય છે. (હર)
(4) શિવે .........
નું પાન કર્યું.(હલાહલ ઝેર)
(5) ..............એ
શિવની નેત્રકમળથી પૂજા કરી હતી. (વિષ્ણુ)
(6) શિવે
............. યજ્ઞનો નાશ કર્યો હતો.
(દક્ષ)
(7) શિવની...........મૂર્તિઓ
પુજાય છે. (આઠ)
(8) શિવનાં
શ્રુતિપ્રસિદ્ધ ............. નામો છે. (આઠ)
(9) શિવના ગુણોને
.......... દેવી લખે એમ પુષ્પદંત ઇચ્છે છે. (સરસ્વતી) (ક્ષીરસાગર)
(10) શેષશાયી વિષ્ણુ
.........માં શયન કરે છે. (ક્ષીરસાગર)
(11) વિષયોની
મૃગતૃષ્ણાથી ........... ભ્રમિત થતા નથી. (શિવ)
(12) શિવમહિમ્નસ્તોત્ર
મહદંશે ............ છંદમાં રચાયું છે.
(શિખરિણી)
(13) પુષ્પદંત
..........નો રાજા હતો.(ગંઘર્વો)
(14) ..............
પુષ્પદંતને પદભ્રષ્ટ થવાનો શાપ આપ્યો. (પાર્વતીએ)
(15) શિવમહિમ્ન:સ્તોત્રનો
આરંભ .............. દ્વારા થયો છે. (વસ્તુનિર્દેશ).
(16) પુરમથન શબ્દ...........
માટે પ્રયોજાયો છે. (શિવ)
(17) શિવના
જીવનનિર્વાહનાં ………સાધનો છે. (સાત)
(18) ત્રિપુરનાશ
માટે .........ને બાણ બનાવવામાં આવ્યા.
(વિષ્ણુ)
યોગ્ય જોડકાં
જોડકાં જોડો:
(અહીં યોગ્ય
રીતે જોડેલાં જોડકાં આપ્યાં છે.)
(અ) |
(બ) |
(1) ગિરિશ: |
(1) શિવ |
(2) હર: |
(2) સંહારક
દેવ |
(3) શતધૃતિ: |
(3)બ્રહ્મા |
(4) દશાસ્ય: |
(4) રાવણ |
(5) સ્મર: |
(5) કામદેવ |
(6)
સુત્રામ્ણ: |
(6) ઇન્દ્ર |
(7) પુરમથન |
(7)
ત્રિપુરનાશ |
(8) ભૂતપતિ |
(8) શિવ |
(9) શારદા |
(9) સરસ્વતી |
(10) ઉર્વી |
(10) પૃથ્વી |
(11) યન્તા |
(11) સારથિ |
(12) રથવરણપાણિ: |
(12) વિષ્ણુ |
(13)
વિષ્ણુ: |
(13) ક્ષીરસાગર
|
(14) વિભૂતા |
(14) વામા |
(15)
અગસ્ત્ય: |
(15)
સમુદ્રપાન |
(16)
અષ્ટમૂર્તી: |
(16) શંકર |
(17)
શેષશાયી |
(17) વિષ્ણુ |
(18)
બાણાસુર: |
(18)
બલિપુત્ર |
(19) રાવણ: મસ્તકપૂજા
|
(19) શિવની |
(20) શિવ: |
(20) કામદહન |
(21)
વિષ્ણુ: |
(21) નેત્રકમળથી
પૂજા |
(22) વરદ: |
(22) શિવ |
(23) મુડ દેવ |
(23)
સુખદાતા |
(24)
બ્રહ્મા-વિષ્ણુ લિંગ |
(24) તેજોમય |
પ્રશ્નોના ટૂંકા
ઉત્તરો
પુષ્પદંત
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો.
(1)પુષ્પદંત
કોણ હતો ?
ઉત્તર : પુષ્પદંત ગંધર્વોનો રાજા હતો.
તેનું બીજું નામ ‘કુસુમદશન’ હતું. તે
કંદપુષ્પની કળીઓ સમાન શ્વેત, સુંદર દાંત ધરાવતો હોવાથી તેનું
નામ ‘પુષ્પદંત’ પડ્યું હતું. તે
મહેશ્વરનો ગણ હતો. તે ઊડવાની અને અદશ્ય થવાની દૈવી શક્તિઓ ધરાવતો હતો. તે શિવનો
ભક્ત હતો. તેણે ‘શિવમહિમ્નસ્તોત્ર'ની
રચના કરી હતી.
(2) કુસુમદશન
એટલે શું? આ શબ્દ કોના માટે પ્રયોજાયો છે?
ઉત્તર : કુસુમદશન
એટલે પુષ્પની કળી જેવા સુંદર દાંતવાળો. આ શબ્દ ગંધર્વરાજ પુષ્પદંત માટે પ્રયોજાયો
છે.
(3) પુષ્પદંતની
દૈવી શક્તિ કેમ નષ્ટ થઈ?
પુષ્પદંતને શા
માટે પદભ્રષ્ટ થવું પડ્યું?
ઉત્તર :
પુષ્પદંત શિવની પૂજા કરવા માટે દરરોજ પોતાની અદશ્ય થવાની શક્તિને કારણે કાશીનરેશના
ઉદ્યાનમાંથી પુષ્પોની ચોરી કરતો હતો. રાજાએ ઉદ્યાનમાં ઠેર ઠેર શિવનિર્માલ્ય
(બિલ્વપત્ર) મુકાવ્યા. નિત્યક્રમ પ્રમાણે આવેલા પુષ્પદંતના ચરણનો તેને સ્પર્શ થયો
એટલે કે તેનાથી શિવનિર્માલ્યનું ઉલ્લંઘન થયું. પરિણામે, તેની ઊડવાની અને અદશ્ય થવાની દૈવી શક્તિઓ નાશ પામી, આ
રીતે તે પકડાઈ ગયો અને પદભ્રષ્ટ થયો.
(4)
પુષ્પદંતને પાર્વતીએ શા માટે શાપ આપ્યો ?
ઉત્તર : પુષ્પદંતે
પોતાની અદશ્ય થવાની શક્તિને પરિણામે એકાંતમાં થયેલી શિવ અને પાર્વતીની ગુપ્ત વાત
પોતાની પત્ની જયાને કહી. જયા પાસેથી આ વાત પાર્વતીએ સાંભળી. શિવ-પાર્વતીની
ગુપ્ત વાત સાંભળવાના ગુનાને લીધે પાર્વતીએ તેને શાપ આપ્યો. પાર્વતીના
શાપને લીધે પુષ્પદંતે પૃથ્વી પર ગરીબ બ્રાહ્મણને ઘેર જન્મ લીધો.
શિવમહિમ્ન:સ્તોત્ર
(5) ‘શિવમહિમ્ન:સ્તોત્રમ્’ માં મહદંશે ક્યો છંદ
પ્રયોજાયો છે?
ઉતર:
‘શિવમહિમ્ન:સ્તોત્રમ્’માં મહદંશે શિખરિણી છંદ પ્રયોજાયો છે.
(6)
‘શિવમહિમ્ન:સ્તોત્રમ્’ શીર્ષક સમજાવો.
ઉતર: શિવસ્ય મહિમ્ન: સ્તોત્રમ્ એટલે
શિવસ્ય મહિમા, તમ્ અધિકૃત્ય કૃતમ્ સ્તોત્રમ્। શિવના મહિમાને આધારે જે સ્તોત્ર એટલે શિવમહિમ્ન:સ્તોત્ર.
શ્રીપુષ્પદંતે
સાચે આ સ્તોત્રમાં શિવનો મહિમા સુંદર રીતે ગાયો છે. તેથી આ સ્તોત્રનું ‘શિવમહિમ્ન:સ્તોત્રમ્’ શીર્ષક સાચે જ
યથાર્થ છે.
(7)
શિવમહિમ્ન:સ્તોત્રની વિશેષતા શું છે?
ઉતર :
શિવમહિમ્ન:સ્તોત્રમાં ભગવાન
શિવ પ્રત્યેની હેતુપૂર્વકની ભાવમયી ભક્તિની સાથે સાથે દાર્શનિક સિદ્ધાંતોનું
નિરૂપણ થયું છે એ તેની મુખ્ય વિશેષતા છે.
(8)
શિવમહિમ્ન:સ્તોત્રમાં ક્યં
ક્યાં દર્શનોનો ઉલ્લેખ છે ?
ઉત્તર: શિવમહિમ્નસ્તોત્રમાં
સાંખ્ય, યોગ અને વેદાંત દર્શનોનો ઉલ્લેખ છે; સાથે સાથે તેમાં શાક્ત, પાશુપત, વૈષ્ણવ વગેરે
સંપ્રદાયોના મતોનો પણ ઉલ્લેખ છે.
(9) ‘શિવમહિમ્ન:સ્તોત્રમ્ 'ના કુલ 31 શ્લોકો મધ્યપ્રદેશના
કયા મંદિરમાં કોતરેલા જોવા મળે છે ?
ઉત્તર :
શિવમહિમ્ન:સ્તોત્રમ ના કુલ 31 શ્લોકો મધ્યપ્રદેશમાં નર્મદાતીરે આવેલ અમરેશ્વર
મહાદેવના મંદિરમાં કોતરેલા જોવા મળે છે.
(10) શિવના વિષ્ણુપરક
અર્થો કરનારા ટીકાકારનું નામ લખો.
ઉત્તર : મધુસૂદન સરસ્વતીએ ‘શિવવિષ્ણવર્થવ્યાખ્યા ’માં શિવના વિષ્ણુપરક
અર્થો તારવીને અદ્વૈત સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે.
(11) શિવનાં શ્રુતિપ્રસિદ્ધ નામો જણાવો.
શિવનાં વિવિધ સ્વરૂપોને આધારે અપાયેલાં
આઠ નામ જણાવો.
ઉત્તર :
ભવ, શર્વ, રૂદ્ર, પશુપતિ, ઉગ્ર, સહમહાન, ભીમ અને ઇશાન એ આઠ શિવનાં
શ્રુતિપ્રસિદ્ધ નામો છે.
(12) શિવનાં
તન્ત્રોપકરણો કયાં છે ?
ઉત્તર : શિવનાં સાત તન્ત્રોપકરણો
છે: (1) નંદી (2) ખટ્યાંગ (3) પરશુ (ફરશી) (4) મૃગચર્મ (5) ભસ્મ (6) સર્પ અને (7) ખોપરી.
(13)
શિવમહિમ્નઃસ્તોત્રમાં શિવ માટે પ્રયોજાયેલા શબ્દો લખો.
ઉત્તર :
શિવમહિમ્નઃસ્તોત્રમાં શિવ માટે પ્રયોજાયેલા શબ્દો આ પ્રમાણે છેઃ ગિરિશ, ચંદ્રમૌલિ, મહાદેવ, યોગી, જિતેન્દ્રિય, આશુતોષ, મહેશ, ત્રિનયન, ત્રિપુરહર, ત્રિપુરારિ, પુરમથન, હર, સ્પરહર, વરદ, પશુપતિ, યમનિરત વગેરે.
(14) હજારો કમળો
લઈને શિવની પૂજા કરનારા વિષ્ણુએ એક કમળ ઓછું થતાં શું કર્યું?
ઉત્તર : હજારો કમળો
લઈને શિવની પૂજા કરનારા વિષ્ણુએ એક કમળ ઓછું થતાં કમળની જગ્યાએ પોતાના એક
નેત્રકમળથી શિવની પૂજા કરી.
(15) રાવણે શિવની
ભક્તિ કરવા માટે શું કર્યું હતું?
ઉત્તર : શિવભક્ત
રાવણે પોતાનાં મસ્તકો છેદી મસ્તકરૂપી કમળની માળા વડે શિવના ચરણકમળની પૂજા કરી હતી.
(16) શિવે શા માટે
ગંગાને જટામાં બાંધી હતી?
ઉત્તર : ગંગાવતરણ
પ્રસંગે ગંગાએ વિનાશક ભાવ ધારણ કર્યો, તેથી શિવે ગંગાને જટામાં બાંધી હતી.
(17) ગંગા નદીનું
નામ ભાગીરથી કેવી રીતે પડ્યું ?
ઉત્તર : રાજા ભગીરથ પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે ગંગાનો પ્રવાહ
પૃથ્વી પર લાવ્યા, તેથી ગંગા નદીનું નામ ભાગીરથી પડ્યું.
(18) બ્રહ્મા અને
વિષ્ણુની શિવે કયા સ્વરૂપે પરીક્ષા કરી હતી ?
ઉત્તર : તેજોમય લિંગ સ્વરૂપ ધારણ
કરી તેનું રહસ્ય પામવાની પ્રેરણા આપી શિવે બ્રહ્મા અને વિષ્ણુની પરીક્ષા કરી હતી.
(19) શિવનું કયું
સ્વરૂપ બ્રહ્માના નામથી ઓળખાય છે ?
ઉત્તર : પરમતત્વ શિવ, એની શક્તિ વડે જ્યારે
સૃષ્ટિનું નિર્માણ કરે છે તે સત્વગુણ સ્વરૂપ બ્રહ્માના નામથી ઓળખાય છે.
(20) શિવે બ્રહ્માજી
પર બાણ શા માટે છોડયું ?
ઉત્તર : મૃગલી બનેલી
પોતાની પુત્રી શતરૂપાથી આકર્ષાઈને તેની સાથે મૃગના શરીર વડે બળાત્કારે રતિક્રીડા
કરવા ગયેલા બ્રહ્માજી પર શિવે બાણ છોડ્યું.
(21) શિવે કામદહન શા
માટે કર્યું હતું?
ઉત્તર : કામદેવે
શિવને બીજા દેવો જેવા સામાન્ય ગણીને સંમોહન બાણનો ઉપયોગ તેમના તપોભંગ માટે કર્યો. પોતાનો તિરસ્કાર થવાથી
શિવે તેના ત્રીજા નેત્રના અગ્નિથી કામદેવને ભસ્મીભૂત કરી દીધો.
(22) રુદ્ર શિવ શા માટે
તાંડવ કરે છે?
ઉત્તરઃ રુદ્ર શિવ
જગતના કલ્યાણ માટે — લોકકલ્યાણ માટે તાંડવ કરે છે.
(23) શિવભક્ત બાણાસુરે
કોની સંપત્તિનો તિરસ્કાર કર્યો ?
ઉત્તર: શિવભક્ત
બાણાસુરે ઇન્દ્રની સંપત્તિનો તિરસ્કાર કર્યો.
(24) શ્રદ્ધા વગર કરેલાં
કર્મો કેવાં નીવડે છે ?
ઉત્તરઃ શ્રદ્ધા વગર
કરેલાં કર્મો અભિચાર એટલે વિનાશ માટે હોય છે.
(25) વિષયોની મૃગતૃષ્ણા
કોને ભ્રમિત કરતી નથી?
ઉત્તરઃ જે પોતાના
આત્મામાં રમમાણ હોય છે તેને વિષયોની મૃગતૃષ્ણા ભ્રમિત કરતી નથી.
(26) 'તુરીય તે ધામ' પદ સમજાવો.
ઉત્તર : અ કાર, ઉ કાર અને મ કાર એ
જાગ્રત, સ્વપ્ન અને
સુષુપ્તિની અવસ્થા છે. ઓમ એ સમસ્ત પદ એ તુરીય અવસ્થા દર્શાવે છે, જે તુરીય એ તમારું
ચોથું નિવાસસ્થાન (ધામ) સાચે જ અદ્વિતીય છે. અહીં શિવનું નિરાકાર સ્વરૂપ દર્શાવીને
કવિએ અદ્વૈતવાદનું સમર્થન કર્યું છે
.
(27) ‘નેદિષ્ઠાય’ અને ‘દવિષ્ઠાય' એટલે શું?
ઉત્તર : ‘નેદિષ્ઠાય' અને ‘દવિષ્ઠાય' બંને શબ્દો ‘શિવ' માટે પ્રયોજાયા છે. નેદિષ્ઠાય એટલે ખૂબ જ નજીકમાં રહેલા (શિવ) અને દવિષ્ઠાય એટલે
ખૂબ જ દૂર રહેલા (શિવ)
(28) શિવને ‘ત્રિનયન' શા માટે કહે છે?
ઉત્તર : સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એ ત્રણ શિવનાં નેત્રો હોવાથી શિવને ‘ત્રિનયન’ કે ‘ત્ર્યમ્બક’ કહે છે.
(29) શિવનું 'સ્મરહર' નામ શું સૂચવે છે?
ઉત્તર : શિવનું ‘સ્મરહર' નામ કામદહનના
પ્રસંગને સૂચવે છે.
(30) શિવ ‘નીલકંઠ' શા માટે કહેવાયા?
ઉત્તર : શિવે હાલાહલ
વિષનું પાન કર્યું હતું, તેથી તેમનો કંઠ નીલવર્ણનો થઈ ગયો અને તેઓ ‘નીલકંઠ’ કહેવાયા.
(31) શિવને ‘યમનિરત’ શા
માટે કહે છે?
ઉત્તર : શિવ
યોગીશ્વર છે. અષ્ટાંગ યોગમાં યમ પ્રથમ અંગ છે. શિવ પાંચ યમનું પાલન કરે છે, તેથી શિવને ‘યમનિરત’ કહેવામાં આવે છે.
(32) શિવ ‘ત્રિપુરહર' શા માટે કહેવાય છે?
ઉત્તર : તારકાસુરના
ત્રણ પુત્રો વિદ્યુત્માલી, તારાક્ષ અને કમલાશે
સુવર્ણ, રજત અને લોહનાં ત્રણ નગરો નિર્માણ કર્યાં હતાં. શિવે
પૃથ્વીને રથ, બ્રહ્માને સારથિ, મેરુ પર્વતને ધનુષ્ય,
સૂર્ય-ચંદ્રને
રથનાં પૈડાં અને વિષ્ણુને બાણ બનાવીને ત્રિપુર એટલે કે ત્રણેય નગરોનો નાશ કર્યો
હતો. તેથી શિવ ત્રિપુરહર કે પુરમથન કે
ત્રિપુરારિ કહેવાય છે.
(33) શિવ માટે 'હર હર' શા માટે કહેવાય છે?
ઉત્તરઃ શિવ ભક્તોનાં
પાપોને અને ત્રિવિધ તાપોને હરે છે, દૂર કરે છે. હ નો અર્થ
હરતિ – હરવું એટલે કે દૂર કરવું થાય છે. શિવ સંતાપહારક હોવાથી ‘હર’ કહેવાય છે. શિવ
અજ્ઞાનનો પણ નાશ કરે છે. તેથી શિવને માટે 'હર હર ' શબ્દ વપરાય છે.
(34) 'વરદ'
એટલે શું ?
ઉત્તર : વરદ એટલે
વરદાન આપનાર શિવ. શ્રદ્ધા અને ભક્તિથી જે શિવની આરાધના કરે છે તેના પર તરત પ્રસન્ન
થઈ શિવ તેને ઈચ્છિત વરદાન આપે છે.
(35) ‘પશુપતિ' શબ્દ સમજાવો.
ઉત્તર : પશુ એટલે જીવ.
જીવોના પતિ – પશુપતિ એટલે શિવ.
વિવિધ પાશથી બંધાયેલા જીવને શિવ મુક્ત કરાવે છે,
તેથી
શિવ 'પશુપતિ' કહેવાય છે.
(36) સ્તોત્ર શબ્દની વ્યુત્પત્તિ આપો.
ઉત્તર :સ્તોત્ર શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. સ્તૂયતે અનેન
ઈતિ સ્તોત્રમ જેનાથી સ્તુતિ કરાય છે તે સ્તોત્ર. સ્તુ ધાતુમાંથી સ્તોત્ર શબ્દ
નિષ્પન્ન થયો છે.
(37) સ્તોત્રકાવ્યનો ઉદ્દેશ શું છે?
ઉત્તર : સ્તોત્રકાવ્યમાં
કવિ ભક્તિભાવપૂર્વક આરાધ્ય દેવનું ઐશ્વર્ય (મહાનતા) દર્શાવી સ્તુતિ કરે છે.
ઈશ્વરની અનન્ય ભક્તિથી મનુષ્યોનાં પાપો દૂર થઈ તેઓ પવિત્ર બને છે. અંતે પાપમુક્ત
થતાં તેઓ ઈશ્વરના પરમ સ્થાનને પામે છે.
(38) કોઈપણ બે ભક્તિપ્રધાન સ્તોત્રોનાં નામ
આપો.
ઉત્તર :
વિષ્ણુસહસ્રનામ સ્તોત્ર, સૂર્યશતક, ગંગાલહરી વગેરે ભક્તિપ્રધાન સ્તોત્રો છે.
(39) દેવીસ્તોત્ર ‘ચંડીશતક'ની રચના કોણે કરી છે?
ઉત્તર : દેવીસ્તોત્ર
'ચંડીશતક'ની રચના બાણે કરી
છે.
(40) આદિત્યહ્રદય સ્તોત્રમ્ કયા ગ્રંથ અંતર્ગત
આવે છે ?
ઉત્તર : આદિત્યહ્રદય સ્તોત્રમ્ વાલ્મીકિકૃત રામાયણ
અંતર્ગત આવે છે.
(41) પૌરાણિક
સ્તોત્રોનાં નામ લખો.
ઉત્તર : માર્કન્ડેય
પુરાણમાં દેવોએ કરેલી દુર્ગાસ્તુતિ અને શક્રાદયસ્તુતિ તેમજ વામનપુરાણનું
અચ્યુતાષ્ટક પૌરાણિક સ્તોત્રો છે.
(42) પૌરાણિક
સ્તોત્રોની વિશેષતા શું છે?
ઉત્તર : પૌરાણિક
સ્તોત્રોમાં આારાધ્ય દેવોની સ્તુતિઓ છે; જેમાં ભક્તિભાવનાનું સુરેખ આલેખન છે.
(43) જૈન અને બૌદ્ધ
સાહિત્યનાં બે સ્તોત્રોનાં નામ આપો.
ઉત્તર: માતૃચેટરચિત
શતપંચાશિકાસ્તોત્ર અને હર્ષવર્ધનરચિત સુપ્રભાસ્તોત્ર એ બે બૌદ્ધ સ્તોત્રો છે.
સિદ્ધસેન દિવાકરરચિત કલ્યાણમંદિરસ્તોત્ર અને વાદિરાજરચિત જ્ઞાનલોચનસ્તોત્ર એ બે
જૈન સ્તોત્રો છે.
ખાલી જગ્યાઓ
કૌસમાં આપેલ
શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો.
(ઘાટા અક્ષરોમાં
ખાલી જગ્યા માટેના યોગ્ય શબ્દો આપ્યા છે.)
(1) ‘સ્તોત્ર' શબ્દ સૌપ્રથમ
.......... પ્રયોજાયો છે.
(ઋગ્વેદમાં, યજુર્વેદમાં, સામવેદમાં)
(2)
શિવમહિમ્નઃસ્તોત્રના રચયિતા ........... છે.
(કાલિદાસ, જગન્નાથ, પુષ્પદંત)
(3) શિવમહિમ્ન:સ્તોત્રમાં
મોટે ભાગે .............. છંદનો પ્રયોગ થયો છે.
(શિખરિણી, અનુષ્ટુપ, મંદાક્રાન્તા)
(4) શિવમહિમ્ન:
સ્તોત્રનો આરંભ............ દ્વ્રારા થાય છે.
(નમસ્કાર, આશીર્વાદ, વસ્તુનિર્દેશ)
(5) શિવમહિમ્નઃ
સ્તોત્રમાં શિવનું ....... સ્વરૂપ જોવા મળે છે.
(સગુણ અને નિર્ગુણ, ફક્ત નિર્ગુણ, ફક્ત સગુણ)
(6) બ્રહ્મા અને
વિષ્ણુએ ............... શિવલિંગનું દર્શન કર્યું.
(પૃથ્વીલિંગ, જળલિંગ, તેજલિંગ) .
(7)
................એ શિવની નેત્રકમળથી પૂજા કરી હતી.
(રાવણ, બાણાસુર, વિષ્ણુ)
(8) રાવણે શિવભક્તિ
............. થી કરી હતી.
(કમળ, નેત્રકમળ, મસ્તકકમળ)
(9) .........ઋષિએ
સમુદ્રપાન કર્યું હતું.
(અગસ્ત્ય, વસિષ્ઠ, વિશ્વામિત્ર)
(10) શિવે
.........નું પાન કર્યું હતું.
(અમૃત, વિષ, મધ)
(11) શિવે
............. નૃત્યુ કર્યું હતું.
(તાંડવ,
લાસ્ય, ભરતનાટ્યમ્)
(12) વિષયોની
મૃગતૃષ્ણાથી ............ ભ્રમિત થતા નથી.
(વિષ્ણુ,
શિવ, બ્રહ્મા)
(13) શિવે
.............. અસુરનો નાશ કર્યો હતો.
(રાવણ, ત્રિપુરાસુર, મહિષાસુર)
(14)‘પુરમથન' શબ્દ ............ માટે
વપરાયો છે.
(બ્રહ્મા, વિષ્ણુ, શિવ)
(15) ત્રિપુર ............
આવ્યાં હતાં.
(સ્વર્ગમાં,
પૃથ્વી
પર, અંતરિક્ષમાં)
(16)“દશાસ્ય' શબ્દ ............. માટે
વપરાયો છે.
(બ્રહ્મા, વિષ્ણુ, રાવણ)
(17) શિવનું સત્વગુણી
સ્વરૂપ ................નામથી ઓળખાય છે.
(મુડ,
હર, ભવ)
(18) સૃષ્ટિનું
નિર્માણ કરનારું રજોગુણ પ્રધાન શિવનું સ્વરૂપ .......... જાણીતું છે.
(રુદ્ર,
બ્રહ્મા, વિષ્ણુ)
ઉત્તર : ખાલી જગ્યા
માટેના યોગ્ય વિકલ્પો :
(1) ઋગ્વેદમાં
(2) પુષ્પદંત
(3) શિખરિણી
(4) વસ્તુનિર્દેશ
(5) સગુણ અને
નિર્ગુણ
(6) તેજલિંગ
(7) વિષ્ણુ
(8) મસ્તકકમળ
(9) અગસ્ત્ય
(10) વિષ
(11) તાંડવ
(12) શિવ
(13)
ત્રિપુરાસુરઋષિએ
(14) શિવ
(15) અંતરિક્ષમાં
(16) રાવણ
(17) મુડ
(18) વિષ્ણુ
યોગ્ય જોડકાં
જોડકાં જોડો :
(અહીં યોગ્ય રીતે
જોડેલાં જોડકાં આપ્યાં છે.)
(અ) |
(બ) |
(1) પુષ્પદન્ત: |
(1) ગન્ધર્વરાજ: |
(2) પુષ્પદન્ત: |
(2) કુસુમદશન |
(3)
સ્તોત્રકાવ્યમ્ |
(3) શિવેતરક્ષતયે |
(4)
ભક્તામરસ્તોત્રમ્ |
(4)
જૈનસમ્પ્રદાય: |
(5) ગિરિશ: |
(5) શિવ: |
(6)
અષ્ટમૂર્તિ: |
(6) શંકર: |
(7)
ત્રિગુણાતીતદેવ |
(7) શિવ |
(8) સંહારક દેવ |
(8) હર |
(9)
સૂત્રામ્ણ: |
(9) ઈન્દ્ર: |
(10)
શતધૃતિ: |
(10)
બ્રહ્મા |
(11) વિરંચિ |
(11)
બ્રહ્મા |
(12) વિરચિ |
(12)
ઉપરિગત: |
(13) યન્તા |
(13)
શતધૃતિ: |
(14)
વિષ્ણુ: |
(14)
ક્ષીરસાગર: |
(15) વિભૂતા |
(15) વામા |
(16)
અગસ્ત્ય |
(16)
સમુદ્રપાન |
(17)
બલિપુત્ર: |
(17)
બાણાસુર: |
(18) કામદેવ |
(18) રતિ |
(19)
કામદેવ: |
(19)
સ્મરણશેષ: |
(20)
ત્રિપુરનાશ |
(20)
ત્રિપુરારિ |
(21)
ત્રિપુરનાશ |
(21) પુરમથન |
(22)
તેજોમયલિડંગદર્શન |
(22)
બ્રહ્મા-વિષ્ણુ |
(23) ઈશ: |
(23) ઈશ્વર: |
(24) ફણિન: |
(24) સર્પા: |
(25) ઉર્વી |
(25) પૃથ્વી |
(26) રથ: |
(26) ક્ષોણી |
પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તરો
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો :
(1) વેદોની
વાણી કેવી છે?
ઉત્તરઃ વેદોની
વાણી મધ જેવી મધુર છે.
(2) પુષ્પદન્ત
કેવા સ્તુતિ કરનારને નિર્દોષ માને છે ?
ઉત્તરઃ
પુષ્પદન્ત પોતાની બુદ્ધિ (સ્વમતિ)ની મર્યાદા પ્રમાણે સ્તુતિ કરનારને નિર્દોષ માને
છે.
(3) શિવ
ઐશ્વર્ય કેવું છે ?
ઉત્તર: શિવ
ઐશ્વર્ય તર્ક ન કરી શકાય તેવું એટલે કે સમજી ન શકાય તેવું છે.
(4) જડ
બુદ્ધિવાળા લોકો શું બોલે છે ?
ઉત્તર : જડ
બુદ્ધિવાળા લોકો અસુંદર હોવા છતાં હલકી બુદ્ધિવાળા લોકોને સુંદર લાગતી નિંદાથી
ભરેલી વાણી બોલે છે.
(5) શિવનાં
જીવનનિર્વાહનાં સાધનો કયાં છે?
ઉત્તર :
શિવનાં જીવનનિર્વાહ કરનારાં સાત સાધનો છે : (૧) નંદી (૨) ખટ્વાંગ (૩) પરશુ (ફરસી)
(૪) મૃગચર્મ (૫) ભસ્મ (૨) સર્પ અને (૭) ખોપરી.
(6)
યજ્ઞાદિનું ફળ કોની આરાધના વિના મળતું નથી ?
ઉત્તર:
યજ્ઞાદિનું ફળ શિવની આરાધના વિના મળતું નથી.
ખાલી જગ્યાઓ
ખાલી જગ્યા
પૂરોઃ
(ઉત્તરો ઘાટા
અક્ષરોમાં આપેલા છે.)
(1) ‘શિવમહિમ્ન:સ્તોત્રમ્'ના રચયિતા ........ છે.
(કાલિદાસ, પુષ્પદન્ત,
બાણ)
(2) ‘શિવમહિમ્ન: સ્તોત્ર'માં મોટેભાગે ......... છંદનો
પ્રયોગ છે.
(અનુષ્ટુપ, શિખરિણી, મંદાક્રાન્તા)
(3)
શિવમહિમાને ન જાણનારની સ્તુતિ ............ કહેવાય.
(અપૂર્ણ, આકર્ષક, સુંદર)
(4) શિવના
ગુણગાનથી કવિ તેમની વાણીને .......... બનાવે છે.
(સંસ્કૃત, પ્રાકૃત, પવિત્ર)
(5) ‘શિવમહિમ્નઃસ્તોત્રમ્'નું બીજું નામ ...........
સ્તોત્ર છે.
(મધુર, ધૂર્જટિ, વિજય)
(6) …………. મંત્રથી ઉત્તમ કોઈ મંત્ર નથી.
(અઘોર, અમોઘ, આમોદ)
(7) કવિએ
શિવમહિમ્નઃસ્તોત્રને ............ પૂજા કહી છે.
(વાડંગમયી, પુષ્પમયી, શ્રદ્ધામયી)
(8) રાવણે
શિવભક્તિ ..........થી કરી હતી.
(કમળ, નેત્રકમળ, મસ્તકકમળ)
ઉત્તર : ખાલી જગ્યા માટેના યોગ્ય શબ્દો :
(1) પુષ્પદન્ત
(2) શિખરિણી (3) અપૂર્ણ (4) પવિત્ર (5) ધૂર્જટિ (6) અધોર (7) વાડ્મયી (8) મસ્તકકમળ
બહુવૈકલ્પિક પ્રશ્નોના ઉત્તરો
પ્રશ્ન- 3. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(યોગ્ય
વિકલ્પો ઘાટા અક્ષરોમાં આપેલા છે.)
(1)
શિવમહિમ્નઃસ્તોત્ર મહદંશે કયા છંદમાં રચાયું છે?
(શિખરિણી, અનુષ્ટુપ, મંદાક્રાન્તા)
(2) શિવના
જીવનનિર્વાહનાં સાધનો કેટલાં છે?
(સાત, આઠ)
(3) શિવભક્ત
બાણાસુરે કોની સંપત્તિનો તિરસ્કાર કર્યો?
(ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ)
(4) વિષયોની
મૃગતૃષ્ણાથી કોણ ભ્રમિત થતા નથી?
(બ્રહ્મા, શિવ, વિષ્ણુ)
(5) શિવને
માટે 'હર હર' શબ્દ શા માટે વપરાય છે?
(દુઃખોને હરનાર,
દુઃખોને આપનાર)
(6) વિષ્ણુએ
શિવપૂજામાં એક કમળ ઓછું થતાં શું કર્યું?
(નેત્રકમળ, મસ્તક)
(7) શિવનું
શ્રુતિપ્રસિદ્ધ નામ જણાવો.
(રુદ્ર, મહેશ)
(8) કયા પુરાણના
અનેક પ્રસંગોની છાયા શિવમહિમ્ન:સ્તોત્રમાં જોવા મળે છે?
(શિવપુરાણ, મત્સ્યપુરાણ)
ઉતર : યોગ્ય
વિકલ્પો :
(1) શિખરિણી (2) સાત (3) ઇન્દ્ર (4) શિવ (5) દુ:ખોને હરનાર (૯) નેત્રકમળ (7)
રુદ્ર (૪) શિવપુરાણ
યોગ્ય જોડકાં
પ્રશ્ન 4.
જોડકાં જોડો : (અહીં યોગ્ય રીતે જોડેલાં જોડકાં આપ્યાં છે.)
(A) |
(B) |
(1)
સમુદ્રપાનમ્ |
(d) અગસ્ત્ય: |
(2) વિષ્ણુ: |
(C) ક્ષીરસાગર: |
(3) વિરંચિ: |
(f) બ્રહ્મા |
(4) કામદેવ: |
(b) રતિ |
(5)
સુત્રામ્ણ: |
(e) ઈન્દ્ર: |
(6) ગિરિશ: |
(a) શિવ: |
No comments:
Post a Comment